Mar 6, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1091






હવે આપણે વિચાર કરીએ કે-નિરાકાર આકાશમાંથી પૃથ્વી સુધીની સાકાર સૃષ્ટિ શી રીતે થાય?
(વિચારમાં) જો ઘણા આગળ ગયા પછી પણ છેવટે (આત્માના) 'અનુભવ'ને 'પ્રમાણ-રૂપ' માનવો પડે,
તો પહેલાંથી જ તે આત્માને 'પ્રમાણ-રૂપ' ગણી "તે આત્મા જ સ્વપ્નની જેમ,પોતાના વિવર્ત-રૂપે
આ જગતને કલ્પી લે છે " એવા નિર્મળ (શુદ્ધ) સિદ્ધાંતને સ્વીકારી લેવામાં શું દોષ હોઈ  શકે? કે જે સિદ્ધાંત,
"અધિષ્ઠાન-ચૈતન્યની સત્યતા અને સર્વ ખલ્વિદં બ્રહ્મ" આદિ શ્રુતિના બળથી યથાર્થ સિદ્ધ થયેલા છે.

એટલે વસ્તુતઃ તો આ પંચમહાભૂતો પણ કોઈ ઠેકાણે છે જ નહિ,એ પંચભૂતો અસત્ય છતાં સ્વપ્ન-દશાની જેમ અનુભવમાં
આવે છે.સ્વપ્નમાં જેમ, પોતાનું આત્મ-સ્વરૂપ જ નગર-આદિ રૂપે જાણે થઇ રહ્યું દેખાય છે,
તેમ જાગ્રત અવસ્થામાં પણ સુખ-રૂપ આત્મ-સ્વરૂપ જ જાણે જગત-રૂપે થઇ રહેલું હોય,તેમ પ્રતીતિમાં આવે છે.
હું ને જગત (દ્વૈત) એ બંને એક ચિદાકાશ રૂપ છીએ અને ચિદાકાશ એક (અદ્વૈત) જ છે,કે જે શિલાના જેવું એકરસ અને
નિરાવકાશ પણ છે.આ સૃષ્ટિની,ઉત્પન્ન-વર્તમાન અને લયમાં સ્થિતિ પણ ચિદાકાશ-રૂપ જ છે.

દેહ લાંબા કાળ સુધી રહે કે ના રહે,પરંતુ પોતાનું નિર્મળ ચિદાકાશ-રૂપ ઓળખાઈ જતાં સુખ-દુઃખથી રહિત થઇ,
પરમાનંદ માં અક્ષય સ્થિતિ રાખવી તે મોક્ષ છે,જેમાં તમે વિશ્રાંતિને પ્રાપ્ત થઈને રહો.

(૧૦૫) જાગ્રત તથા સ્વપ્ન ચિદાત્મારૂપ જ છે

વસિષ્ઠ કહે છે કે-ચિત-રૂપ આત્મા પોતાની મેળે,પોતાના સ્વરૂપને સ્વપ્નના આકારે દેખે છે,કે જે પોતાનાથી જુદું નથી
પણ એક જાતની પોતાની કલ્પના જ છે,તે જ પ્રમાણે ચિદ-રૂપ આત્મા પોતાની મેળે જ પોતાના સ્વરૂપને જગતના
આકારે થઇ રહેલું અનુભવે છે કે જે વસ્તુતઃ પોતાનાથી જુદું નથી પણ પોતાની એક કલ્પના જ છે.
એ ચિદ-રૂપ (ચિદાત્મા) શિલાના જેવું ઘન-રૂપ છે તો આકાશના જેવું શૂન્ય પણ છે.
તે જગતભાવને ન છોડતાં,જાગ્રત-પ્રપંચ (માયા) રૂપ થઇ રહ્યું છે.અને તેનું દૃષ્ટાંત એ 'સ્વપ્ન' છે.

પોતાની મેળે જ પોતાનામાં સદાકાળ રહેનાર ચિદાકાશ,પૃથ્વી-પર્વત-આદિ રૂપ થઇ રહેલા પોતાના ચમત્કારને,
જાગ્રત અને સ્વપ્નમાં પોતાના સ્વરૂપની અંદર (અજ્ઞાન-રૂપ આવરણને લીધે) પોતાને જગત-રૂપ સમજે છે.
દૃશ્ય-જગતનો અભાવ કરવામાં આવે તો ચિદાત્માનું દૃષ્ટા-પણું પણ કંઈ જ નથી,તેમ છતાં ચિદાકાશ-રૂપી
દૃષ્ટા અને દૃશ્ય-રૂપી જગત-એ બંને જાણે કંઇક દૃષ્ટા-દૃશ્ય-રૂપે વાસ્તવ જ હોય તેમ પ્રતીત થાય છે.
જેમ સ્વપ્નમાં દેખાતું ત્રૈલોક્ય વસ્તુતઃ કંઈ જ નથી,શૂન્ય જ છે તેમ જાગ્રતમાં દેખાતું ત્રૈલોક્ય કંઈ જ નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE