Mar 10, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1094

આત્મ-ચૈતન્ય,ચક્ષુ-આદિ ઇન્દ્રિય દ્વારા,પળવારમાં એક પ્રદેશમાંથી ઘણા દૂરના પ્રદેશમાં જાય છે
ત્યારે વચમાં તેનું જે કંઈ નિર્વિશેષ સ્વરૂપ છે-તે ચિદાકાશ કહેવાય છે.
પૃથ્વી પર સ્થિર થઇ રહેલાં અને પોતાના મૂળ વડે પૃથ્વીના સ્વચ્છ રસને ખેંચનારાં વૃક્ષમાં,
ક્ષય વિનાનો જે કંઈ નિર્વિક્ષેપ આનંદ રહ્યો છે-તે ચિદાકાશ કહેવાય છે.
સર્વ વાસનાઓથી રહિત થઇ ગયેલા અને કશો વિક્ષેપ ન આવવાથી,ચિત્તને શાંત રાખનારા તત્વજ્ઞ પુરુષને,
વિષમ-ભાવથી રહિત પોતાના સહજ સુખમય સ્વરૂપનો,જે કંઈ અનુભવ થાય છે-તે ચિદાકાશ-રૂપ કહેવાય છે.

જે સમયે (જે નિંદ્રા જેવી લાગતી સ્થિતિમાં) નિંદ્રા ના આવી હોય,પણ સર્વ માનસિક વિક્ષેપો (વિષયોનો) લય થઈને
જાગ્રત અવસ્થા જતી રહી હોય -તે સમયે (તેવી સમાધિની સ્થિતિમાં) જે કંઈ નિર્વિષય આનંદ અનુભવમાં આવે છે
તે ચિદાકાશ કહેવાય છે.પોતપોતાની ઋતુમાં વૃદ્ધિને પ્રાપ્ત થનારાં ઘાસ-ઝાડી-લતા વગેરેમાં જે કંઈ નિર્વિષય આનંદનો
ભાવ રહે છે તે ચિદાકાશ કહેવાય છે.દૃષ્ટા-દૃશ્ય-દર્શન.એ ત્રણેનો જેનાથી ઉદય થાય છે
અને પાછો જેમાં લય થઇ જાય છે,તે નિર્વિકાર ચિદાકાશ છે-તેમ તમે સમજો.

જેનાથી વિચિત્ર પ્રકારના પદાર્થોના સર્વ અનુભવ ઉદય પામે છે અને પાછા જેનામાં લય પામે છે તે ચિદાકાશ કહેવાય છે.
આ સર્વ (જગત અને જગતના પદાર્થો) જેનાથી રહેલું છે,જેનાથી આ સર્વની પ્રતીતિ થાય છે,
જે પોતે જ સર્વના આકારે થઇ રહેલું છે,જે સર્વત્ર રહેલું છે અને જે સર્વના ખરા તત્વ-રૂપ છે તે ચિદાકાશ
કહેવાય છે.જે આકાશમાં,પૃથ્વીમાં,જે બહાર અને અંદર પ્રકાશ-રૂપે પ્રતીતિમાં આવે છે અને બીજા પદાર્થોની
જેમ જ,વ્યવહારના માટે જેની સંજ્ઞાઓ (નામો)કલ્પવામાં આવે છે,તે ચિદાકાશ કહેવાય છે.

જેમ,દૃઢ દોરામાં માળા રહી હોય છે-તેમ,નિત્ય-સર્વવ્યાપી એવું જે તત્વ,પોતાની અંદર જગતને ધારણ કરે છે,
અને, જે તત્વની અંદર આ સાકાર-નિરાકાર જગત ખડું થઇ સ્થિર થઈને રહેલું દેખાય છે તે ચિદાકાશ કહેવાય છે.
સૃષ્ટિ-પ્રલય-આદિ સર્વ વિકારો જેનાથી ઉત્પન્ન થાય છે અને જેનામાં પાછા લય પામી જાય છે તે ચિદાકાશ
કહેવાય છે.નિંદ્રા નિવૃત્ત (પુરી) થઇ જતાં,જેનાથી વિક્ષેપ-શક્તિને લીધે આ જગત આવિર્ભાવ પામે છે અને
વિક્ષેપ-શક્તિની શાંતિને લીધે જેમાં પાછું તે જગત લીન થઇ જાય છે તે ચિદાકાશ કહેવાય છે.

બહિર્મુખ થતાં જગતની સત્તા અનુભવમાં આવે છે અને અંતર્મુખ થતાં જગતની સત્તાનો લય થઇ જાય છે,
તેમ જ જે પોતાના અનુભવ-રૂપે પોતાની અંદર જ રહેલું છે-તે ચિદાકાશ છે એમ તમે સમજો.
તે સત્ય-તત્વ,અમુક-રૂપ નથી એવો નિર્ણય થયા પછી તે કશા-રૂપ પણ નથી,એવો નિર્ણય થયા છતાં પણ,
તે તત્વ સર્વ-રૂપ થઇ રહેલું છે તે ચિદાકાશ કહેવાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE