Mar 25, 2026

ભાગવત રહસ્ય-૧૦૩-Bhgavat Rahasya-103

કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.પણ ભાગવતમાં નિંદ્રા લાવવા માટે એક સુંદર દવા આપી છે.નિંદ્રા ના આવે તો –પથારીમાં આળોટશો નહિ,પથારીમાં બેઠા થઇ,
માળા લઇ-હરે રામ,હરેકૃષ્ણ- મંત્ર નો જપ કરો.નિદ્રાદેવી જ્યાં હશે ત્યાંથી દોડતાં આવશે. કારણ –કુંભકરણની સ્ત્રીનો શાપ છે.
કુંભકરણની સ્ત્રી (નિંદ્રા) વિધવા થઇ.તેણે ભગવાન પાસે આવી-કહ્યું- આપે મારા પતિને માર્યો, હવે હું ક્યાં જાઉં ? ભગવાને કહ્યું-તું નાટક-સિનેમા જોવા જજે. કુંભકરણની વિધવાએ કહ્યું-હું તો નાટક-સિનેમા જોવા જાઉં નહિ, હું પતિવ્રતા છું, એકલી કેમ જાઉં? તમે મારા પતિ ને માર્યો-એટલે તમારા સાથે મારે વેર થયું છે,મારે વેરનો બદલો લેવો છે, એટલે તમારી –જ્યાં કથા વાર્તા થતી હશે,સ્મરણ થતું હશે-ત્યાં હું જઈશ.

એટલે કથામાં બેઠા હોવ,કે માળા હાથમાં લો-એટલે નિંદ્રા દેવી દોડતાં આવે છે,
બે-ત્રણ દિવસના ઉજાગરા હોય તો પણ નાટક-સિનેમામાં ઊંઘ આવતી નથી.......
આ તો હળવા અર્થમાં કહ્યું-માળા કરતા નિંદ્રા આવે તો-માનજો-મારું પાપ હજુ વધારે છે.

નિંદ્રામાં ચેતન પરમાત્માના સ્પર્શથી સુખ મળે છે,આનંદ મળે છે.મન નિર્વિષય બને એટલે ચેતન પરમાત્માનો સ્પર્શ મળે છે.પરંતુ નિદ્રાનું સુખ અજ્ઞાનથી ઢંકાયેલું હોવાથી, તેને તામસ સુખ માન્યું છે.

કપિલ કહે છે કે-મા, આત્મા તો નિત્ય શુદ્ધ છે,આનંદરૂપ છે,સુખ-દુઃખ એ મનના ધર્મો છે. 
મન નિર્વિષય થાય –એટલે આનંદ મળે છે.દૃશ્ય પદાર્થ (જગત)માં થી દૃષ્ટિ (મન-બુદ્ધિ) હટી જાય-
અને દ્રષ્ટા (પ્રભુ)માં દૃષ્ટિ (મન-બુદ્ધિ) સ્થિર થાય-એટલે આનંદ મળે છે.
દૃશ્ય (જગત) નો સાચો દ્રષ્ટા (જોનાર- (પ્રભુ) છે. અને જે દ્રષ્ટાને –સાક્ષી- કહે છે. જે દ્રષ્ટા આનંદ રૂપ છે.
દૃશ્ય (જગત) એ દુઃખ રૂપ છે,એટલે તેમાંથી દૃષ્ટિ (મન-બુદ્ધિ) હટાવી-દ્રષ્ટા (પ્રભુ)માં સ્થિર –કરો-એટલે આનંદ-આનંદ.
અને દૃષ્ટિ –દ્રષ્ટામાં મળી જાય-એકરૂપ થઇ જાય-તો –પરમાનંદ.

દેવહુતિ કહે છે-મહારાજ,તમે ભલે ના પાડો,પણ ભાવતું ભોજન(જીભ-નો વિષય) મળે તો –આનંદ થાય છે.
કપિલદેવ કહે છે-ભોજનમાં આનંદ છે-તે કલ્પના ખોટી છે.કારણ તે આનંદ સર્વકાળ એક સરખો નથી.

ઉદાહરણ તરીકે –કોઈને શિખંડ ખાવામાં આનંદ આવે છે. પણ જો તેનું પેટ ભરેલું હોય,કે તેને અજીર્ણ થયું હોય,કે માંદો-તાવમાં હોય.તેની સામે શિખંડ મુકવામાં આવે તો તેને આનંદ નહિ થાય.ખરેખર- જો શિખંડમાં આનંદ હોય તો-તેને અત્યારે શિખંડ ખાવામાં આનંદ મળવો જોઈએ. પણ અત્યારે એ શિખંડ સામે નજર પણ નહિ કરે. એટલે શિખંડ માં-ભોજનમાં આનંદ નથી.
કલ્પના કરો-કે –કોઈ શ્રીમંત શેઠ આનંદથી –શિખંડ-પૂરી જમે છે. ત્યાં મુંબઈની પેઢીમાંથી ફોન આવ્યો-કે –પેઢી ડૂબી ગઈ છે-ત્યારે એ જ શિખંડ ઝેર જેવો થઇ જાય છે, ભાવતો નથી.

મા, ભોજનમાં –સંસારના જડ પદાર્થોમાં આનંદ નથી. જે આનંદ દેખાય છે-તે ક્ષણિક છે, થોડા સમય પુરતો છે. જયારે જયારે.ચેતન પરમાત્માનો સ્પર્શ થાય ત્યારે –આ આનંદ ઉદ્ભવે છે. સતત આનંદ માત્ર પરમાત્મા માં છે.આનંદનો કોઈ વિરોધી શબ્દ જડશે નહિ. આનંદ એ બ્રહ્મ-પરમાત્મા સ્વરૂપ છે. એટલે જ જીવાત્મા (આત્મા) પણ આનંદ રૂપ છે.જીવાત્માની અંદર આત્મા રૂપે આનંદ બેઠેલો છે-પણ જીવ (મનુષ્ય) આનંદ બહાર(જડ પદાર્થો માં-બીજામાં) શોધવા જાય છે.અને જે આનંદ(સુખ) વધારે વખત ટકતો નથી.- અને દુઃખી થાય છે.

સુખ-દુઃખ એ અજ્ઞાન (આત્મા-પરમાત્માનું અજ્ઞાન) નું પરિણામ છે. સુખ-દુઃખ એ અજ્ઞાનનું સ્વરૂપ છે.આત્મા ને ના તો સુખ થાય છે-ના તો દુઃખ થાય છે.
“મારા મન માં પાપ આવ્યું છે-એ જેને દેખાય છે”-તે આત્મા છે. આત્મા એ મનનો સાક્ષી છે.

સુખ-દુઃખ એ મનની ઊર્મિ (ધર્મ) છે.કોઈ પ્રેમી મળે તો સુખ-લાગે અને પ્રેમી મરે તો દુઃખ લાગે.
ભુખ-તરસ એ શરીરની ઊર્મિ(ધર્મ) છે.બહુ પરસેવો વળી જાય તો તરસ લાગે,સમય થાય એટલે ભુખ લાગે.
જન્મ-મરણ એ પ્રાણની ઊર્મિ (ધર્મ) છે.હરેક અંદર જતો શ્વાસ જીવન છે-અને બહાર જતો શ્વાસ મરણ છે.
(બાળક જન્મે ત્યારે શ્વાસ નથી લેતું હોતું-તેને થપથપાવે-એટલે રુદનનો એક આંચકો આવે અને શ્વાસ –જીવન શરુ થાય છે)

સુખ-દુઃખ મનને થાય એટલે આત્મા કલ્પે છે-મને દુઃખ થાય છે. મનને થયેલાં સુખ-દુઃખનો આરોપ અજ્ઞાનથી-આત્મા –પોતાના પર કરે છે.અહીં મનની –‘ઉપાધિ’-થી આત્મા સુખ-દુઃખનો આરોપ પોતા પર કરે છે.
સુખ-દુઃખ આત્મામાં ઉપાધિથી (અજ્ઞાનથી) ભાસે છે.ઉદાહરણ તરીકે જોઈએ તો-આત્મા સ્ફટિકમણી જેવો શુદ્ધ છે. અને સ્ફટિકમણીની પાછળ જેવા રંગનું ફૂલ મુકો તેવો તે દેખાશે.પણ –તેથી કંઈ સ્ફટિકનો રંગ તે ફૂલ નો રંગ છે તે નથી,પોતે તો શુદ્ધ છે. પણ સંસર્ગથી તે-તે રંગ વાળો દેખાય છે.

જળમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું હોય, અને જો જળમાં તરંગો થાય-હલન ચલન થાય-તો ચંદ્ર હાલતો દેખાશે. પણ હકીકતમાં ચંદ્ર હાલતો નથી.બસ આ ઉદાહરણ મુજબ-દેહ-મન-અને પ્રાણની ઊર્મિઓ (ધર્મો) –પોતાના માં નહિ –હોવાં છતાં-જીવાત્મા તે પોતાનામાં કલ્પી લે છે-બાકી જીવાત્મા પોતે નિર્લેપ છે.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE