Jan 6, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫

અર્જુન ની “બુદ્ધિ” પર “અજ્ઞાન” નો  અંધકાર છવાઈ જવાથી તે પોતાનું જે કર્મ કરવાનું (યુદ્ધ) છે તે ભૂલ્યો છે.એટલે શ્રીકૃષ્ણ સહુ પ્રથમ તો તેના અજ્ઞાન ને દૂર કરવા સાચું જ્ઞાન  (જ્ઞાનયોગ) સમજાવે છે.અને આ સાચું જ્ઞાન (આત્મ-જ્ઞાન) આપી ને તેને તેનો ક્ષત્રિય ધર્મ  (સ્વ-ધર્મ) અને તેનું સાચું કર્મ (કર્મયોગ) સમજાવે છે.  કે જેથી તેની બુદ્ધિ સ્થિર (સ્થિતપ્રજ્ઞ) થાય.એટલે જ આ બીજા અધ્યાય માં જ્ઞાનયોગ અને કર્મયોગની પણ વાત છે.

પણ ટેઢા અર્જુનની “અહંકાર” થી ભરેલી “બુદ્ધિ “ એમ જલ્દી ક્યાં ઠેકાણે આવે તેવી હતી ?
શ્રદ્ધા -વિશ્વાસ ક્યાં હતો કૃષ્ણમાં ?
એટલે કૃષ્ણાજી -જરા ચમત્કાર બતાવી વિશ્વરૂપદર્શન કરાવી-ભક્તિયોગ સમજાવે છે.
શ્રદ્ધા પેદા કરાવી-“સર્વ ધર્મ છોડી માત્ર એક મારે શરણે આવ” કહીને શરણે આવવાનું કહે છે.(૧૮-૬૬)
આ શ્લોક  ગીતાની “શક્તિ” છે.
શરણાગતિ સ્વીકારવાથી –અહમનો વિનાશ થાય –અને શક્તિ  (બુદ્ધિ)  પાછી આવે છે.

ભક્તિયોગની વાત પછી આગળના અધ્યાયમાં આવશે.
એટલે આમ જોઈએ તો- ગીતામાં ત્રણ જુદા જુદા રસ્તાઓ (માર્ગો) બતાવ્યા છે.
જ્ઞાનીઓ માટે જ્ઞાનયોગ, યોગીઓ માટે કર્મયોગ અને ભક્તો માટે ભક્તિયોગ.
અધ્યાત્મમાર્ગે આગળ જવા માં શરૂઆતમાં કોઈ પણ એક માર્ગ ની પોતાની પ્રકૃતિ અનુસાર કરી શકાય.
છેવટે તો બધા માર્ગો આગળ જઈ એક થાય છે.બીજો અધ્યાય તે સાંખ્યયોગ કે જેને જ્ઞાનયોગ પણ કહે છે.

અર્જુનને યુદ્ધમાં મોહને લીધે શોક થયો છે,દુઃખી થયો છે-
આ વાત સમજાવી હવે યુદ્ધની વાત બાજુએ જતી રહે છે. પ્રસ્તાવનાનો અંત થઇ જાય છે.
અને ગીતાના તત્વજ્ઞાનની શરૂઆત થાય છે. જેના વિષે વિચારવાનું છે-તે વિચારવાનું –સમજવાનું
ચાલુ થાય છે. અને આ જ્ઞાનના વક્તા માત્ર શ્રીકૃષ્ણ જ છે. અર્જુન સફળ શ્રોતા છે.
આપણે પણ અર્જુન જેવા શ્રોતા થવાનું છે.તો જ ગીતાના અધિકારી થવાય.ગીતા સમજાય.
ગીતામાં વચ્ચે વચ્ચે –ક્યાંક ક્યાંક –અર્જુન શંકાઓ કરે છે-અને તેનું શ્રીકૃષ્ણ સમાધાન કરે છે.

હવે કૃષ્ણ અર્જુન ને સમજાવવા માગે છે કે-
તું જે જુએ છે-તે શરીરોને જુએ છે. શરીર એ આત્મા નથી.
શરીર બને છે-અને-મરે છે-આત્મા બનતો નથી કે મરતો નથી.
આ સર્વ લોકોના શરીરો અહીં જે બધા ભેગા થયા છે-તે બધા કંઈ નિત્ય માટે રહેવાના નથી -તેમના
શરીરોને ક્યારેક ને ક્યારેક તો મૃત્યુ આવવાનું જ છે. અને ફરી શરીરો પેદા પણ થવાના જ છે.
તું કે હું અહીં પૃથ્વી પર ક્યારેય નહોતા જન્મ્યા કે ક્યારેય નહિ જન્મીશું એવું ય નથી.

આ શરીરોની ઉત્પત્તિ અને વિનાશ એ બંને સાચા નથી પણ માયા ના યોગ થી સત્ય દેખાય છે.
શરીરમાં રહેલ આત્મા અવિનાશી છે.તેની ઉત્પત્તિ કે વિનાશ નથી (૧૨)

આ વાત સમજવા એક ઉદાહરણ જોઈએ.
નાની તલાવડીમાં પાણી સ્થિર છે. પણ પવનની લહેરી આવતાં-તેમાં તરંગ ઉત્પન્ન થાય છે.ત્યારે
કોને ઉત્પન્ન થવું માનવું ? તરંગની ઉત્પત્તિ થઇ- પણ તે પવનના યોગથી થઇ –પણ તરંગ એ પાણી જ છે.
હવે જયારે પવન બંધ થાય ત્યારે પાણી સ્થિર થાય છે –તરંગનો નાશ થાય છે-તો કોનો નાશ માનવો ?
તરંગ પાણીમાં મળી જાય છે.
આમ પાણીમાં તરંગની ઉત્પત્તિ અને તરંગનો નાશ –એ પવનના યોગથી થાય છે.
પાણી તો એમનું એમ જ રહે છે.
એવી જ રીતે પાણીની જેમ આત્મા એનો એ જ રહે છે- માયાના યોગથી શરીર બને છે અને મરે છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)

     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE