Jan 28, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૬

કોઈ પણ પ્રકારના કર્મો હોય-પણ તે બધાં જ કર્મો,પ્રકૃતિના ગુણોને આધારે થાય છે.
(પ્રકૃતિના ગુણો=સાત્વિક,રાજસિક,તામસિક)
(૧)-અજ્ઞાની- મૂર્ખ-દેહાભિમાની મનુષ્યો,આ પ્રકૃતિ ને આધીન થઇ અને વર્તે છે (કર્મો કરે છે)-અને પ્રકૃતિના ગુણોના ફંદામાં ફસાઈ જાય છે.ખરેખર તો ઇન્દ્રિયો જ–આ પ્રકૃતિના ગુણોને આધીન થઈ-વર્તતી હોય છે-તેમ છતાં –એ અજ્ઞાની મનુષ્ય અહંકારથી એમ જ માને છે-કે-“સર્વ કર્મો હું જ કરું છું” -અને બંધનમાં પડે છે.
(૨)-જયારે જ્ઞાની મનુષ્ય –પ્રકૃતિના ગુણો ને આધીન થતો નથી,
     અહંતા (શરીરનું અભિમાન) મમતા (આસક્તિ)નો ભાવ તેનામાં આવતો નથી, અને
     પ્રકૃતિના આ ગુણોથી પર થઇ –શરીરમાં ફક્ત સાક્ષી-ભાવથી જ વર્તે છે.(૨૭-૨૮-૨૯)

સમજવામાં સહેજ અઘરી લાગતી આ વાત-ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ.
ઉનાળાની ભયંકર ગરમી માં બપોર ના સમયે કોઈ તવંગર (પૈસાદાર) શેઠના ઘર આગળ –
ભૂખ અને તરસથી વ્યાકુળ ભિખારી આવે અને શેઠ તેને જમાડે,પાણી આપે,
અને પછી મનમાં મલકાય-કે-“ મેં પુણ્યનું કામ કર્યું. આજે મેં તેને ખવડાવ્યું.”
અહીં –આ ઉદાહરણમાં –શેઠ ના મન માં જે દયા આવી –તે સાત્વિક ભાવ (ગુણ) છે.
પણ આ સત્કર્મ –“મેં કર્યું” તે દેહાભિમાન (દેહનું અભિમાન) છે.-જે રાજસિક ભાવ (ગુણ) છે.

હવે આ જ શેઠ જો –તે ભિખારીને ઘરમાં (એર કન્ડીસનમાં) લઇ જઈ,
સામે બેસી તે ભિખારી તૃપ્ત થાય ત્યાં સુધી ખવડાવે, અને જયારે તે જમી લે તે પછી,
જો તે ભિખારીને હાથ જોડી ને કહે કે-“તમે મારા ત્યાં ભોજન લીધું –તે બદલ તમારો આભાર”
અને મનમાં એમ સમજે કે-“ઈશ્વરનું આપેલું ભોજન ઈશ્વર જ જમ્યા.”
“મેં કશું કર્યું નથી.આ સત્કર્મ પણ ઈશ્વરનું અને સત્કર્મનું પુણ્ય પણ ઈશ્વરનું.

અહીં કોઈ જ જાતનો અહમ રહેતો નથી.પણ શેઠ માત્ર “સાક્ષી ભાવે “ જુએ છે.
અહીં--જમીને ઉભો થયેલ એક “તૃપ્ત આત્મા” બીજા કોઈ ભૂખથી પીડિત આત્માને તૃપ્ત કરે છે.
શેઠે કરેલા સત્કર્મના ફળ ઉપર–તેમણે અધિકાર રાખ્યો નહિ, ફળ ઈશ્વર ને જ ગયું.આ સાચી સમજ છે.

પણ અહીં કંઈ શેઠને જઈ કહેવાય નહિ કે-ભિખારીને ઘરમાં –એર કન્ડીસનમાં –બેસાડી –ખવડાવી-
બે હાથ જોડી-થેંક યુ-કહો. અને જો કહો-તો શેઠ જવાબ આપશે-કે-
આવું કરીએ તો લોકો કહેશે- લોકો માનશે કે- કે શેઠ ગાંડા થઇ ગયા છે.અરે,ભિખારી પણ માનશે –કે-
શેઠ ગાંડા થયા છે-અને કાં તો તે રોજ આવતો થઇ જશે-કે ભિખારીઓની લાઈન લાગી જશે.

આ તો હળવા અર્થમાં સમજાવવા માટે ઉદાહરણ થી કહ્યું.કહેવા નો આશય એટલો જ છે કે-
કર્મ કરવામાં અહંતા (દેહાભિમાન) અને મમતા (આસક્તિ) થી બંધન આવે છે.

શ્રીકૃષ્ણ,અર્જુન ને કહે છે-કે-
(૧)-કર્તવ્ય કર્મોનું આચરણ કરી,તે સર્વ કર્મો અને કર્મોના ફળ મને અર્પણ કરવા.
     (તેના પર -તે કર્મોના ફળ પર-તારો અધિકાર જ નથી)
(૨)-ચિત્ત વૃત્તિને સદા માટે આત્મ સ્વ-રૂપમાં લીન કરવી,
(૩)-“આ કર્મનો હું કર્તા છું અને અમુક ફળ માટે હું આ કર્મ કરું છું” એવું અભિમાન કરવું નહિ.
(૪)-શરીરને  (ઈન્દ્રિયોને) સ્વાધીન થવું નહિ અને સર્વ ઈચ્છાનો ત્યાગ કરીને –પછી
    બધા ભોગો વિવેકથી યથાયોગ્ય સમય સુધી ભોગવજે,

પણ અત્યારે તો ,હાથમાં ધનુષ્ય લઇને યુદ્ધ માટે તૈયાર થા,સમાધાન વૃત્તિ ધારણ કરી,  
માયા,મોહ,શોકને ભૂલી જઈ આનંદપૂર્વક વીરવૃત્તિનો સ્વીકાર કર.અને યુદ્ધમાં લક્ષ્ય આપ....(૩૦)

ઉપર બતાવેલ કર્મ વિશેના શ્રીકૃષ્ણના મતનો શ્રદ્ધાપૂર્વક જે સ્વીકાર કરે છે,
અને તે મુજબ જે કર્મનું આચરણ કરે છે,તેને કર્મનું બંધન થતું નથી.
પણ જેને શ્રીકૃષ્ણમાં શ્રદ્ધા નથી,કે તેમના મતમાં વિશ્વાસ નથી,તે શ્રીકૃષ્ણની નિંદા કરે છે,
અને આવા અજ્ઞાનીઓ શ્રીકૃષ્ણે બતાવેલ કર્મના માર્ગ ઉપર ચાલતા નથી અને સ્વછંદી બનીને-
ઉલટાં (ઊંધાં) કર્મો કરીને બંધનમાં પડે છે-અને -પોતે જ પોતાના નાશ નું કારણ બને છે.(૩૧-૩૨)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE