Jan 20, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૯

એક બીજા પ્રકારથી પણ સ્થિતપ્રજ્ઞ મનુષ્ય ઓળખી શકાય છે.
જેમ,સમુદ્ર હંમેશા પરિપૂર્ણ હોય છે અને પોતાની મર્યાદા કદી છોડતો નથી.
સમુદ્રમાં ચોમાસામાં બધી નદીઓ નું પાણી ઠલવાય છે-પણ તે વૃદ્ધિ પામતો નથી,
ઉનાળામાં નદીઓના પાણી ખૂટી જાય છે-ત્યારે તે સમુદ્ર ઊણો (ઓછો) થતો નથી અને 
સદાય ને માટે પરિપૂર્ણ રહે છે.
તેમ,સ્થિતપ્રજ્ઞ પુરુષ રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થતાં હર્ષ (ઉલ્લાસ) થી ફુલાઈ જતો નથી.અથવા અને  જો તેને રિદ્ધિ-સિદ્ધિ ન પણ મળે તો તેને  શોક (અસંતુષ્ટ)  પણ થતો નથી.કારણકે તેનું અંતઃકરણ મહાસુખ માં –પરમાત્મ સુખમાં-પરમાનંદમાં ડૂબેલું હોય છે.

આશ્ચર્ય તો એ છે-કે-જે સ્થિતપ્રજ્ઞ પુરુષને સ્વર્ગનાં સુખની પણ અપેક્ષા હોતી નથી-
તો પછી તેની આગળ રિદ્ધિ-સિદ્ધિની તો શું વિસાત છે ?
અને જો રિદ્ધિ- સિદ્ધિ મળે તો પણ સાચો મહાપુરુષ જાણી જોઈ ચમત્કાર કરશે નહિ.આ પ્રમાણે,
હોવા છતાં –લોકો કહે છે-કે-સ્થિતપ્રજ્ઞની પાસે રિદ્ધિ-સિદ્ધિ હોવી જ જોઈએ-તે આશ્ચર્ય જનક છે (૭૦)  

હવે નો જે -૭૧ મો –શ્લોક છે તે મહત્વનો છે.શાંતિ કોને મળે ?
જે મનુષ્ય-
(૧) કામ-વાસના (પોતાની પાસે જે નથી તે પામવાની ઈચ્છા) નો ત્યાગ કરી,
(૨) નિસ્પૃહ (અનાસક્ત) થઇ,
(૩) દ્વંદ (મારું-તારું,સુખ-દુઃખ,રાગ-દ્વેષ વગેરે ) છોડીને,
(૪) અહંકાર (હું પણું) વગરનો થઈને રહેતો હોય-તેને શાંતિ પ્રાપ્ત થાય છે.(૭૧)

આ પહેલા અધ્યાય ના અંતમાં શ્રીકૃષ્ણ –ઉપસંહાર કરતાં કહે છે-કે-

જયારે કોઈ મનુષ્ય –સર્વ સકામ-કર્મ ત્યાગીને-
(અથવા નિષ્કામ કર્મ કરીને-અને તે કર્મથી મળતાં ફળને પરમાત્માને અર્પણ કરીને)
આત્મ સ્વ-રૂપ (પરમાત્મ સ્વ-રૂપ) માં મગ્ન થાય છે –ત્યારે તે બ્રહ્મ-રૂપ થયેલો કહેવાય છે-
ને આવી સ્થિતિ ને –બ્રાહ્મી સ્થિતિ-પણ કહેવામાં આવે છે.

અને જયારે મનુષ્ય ને આવી બ્રાહ્મી-સ્થિતિ પ્રાપ્ત થાય છે-
--ત્યારે તેને –“મોહ” –થતો નથી.
--અને દેહ (શરીર) ના અવસાન (મૃત્યુ) વખતે થતી વ્યાકુળતા (ભ્રમ-ભ્રાંતિ) તેના ચિત્તમાં
   આડી આવતી નથી. (વ્યાકુળતા થતી નથી)
--ને મોક્ષ ને (શાંતિને) પ્રાપ્ત થાય છે. (બંધન માંથી છૂટી જાય છે) (૭૨)

કૃષ્ણાજી મહારાજે જે કહેવાનું હતું તે કહી દીધું.
પણ વિચારો માં મશગૂલ અર્જુનના સંશયો દૂર થયા હોય તેવું લાગતું નથી.
કારણ કે હવે પછીના બીજા અધ્યાયમાં –અર્જુને પ્રશ્નો પૂછ્યા છે.
એટલે કે અહીં અર્જુન મનમાં વિચારતો લાગે છે -કે-
શ્રીકૃષ્ણ બધાં કામો (કર્મો) કરવાની ના પાડે છે-અને પાછા તે જ મને યુદ્ધ કરવાનો (કર્મ કરવાનો)
આગ્રહ પણ કરે છે. તો આ યુદ્ધ કરવાનો તેમનો આગ્રહ ખોટો છે-તેમ સાબિત કરી શકાય તેમ છે.
એટલે જ હવે તે –શ્રીકૃષ્ણની વાતમાં –શંકા કરીને –પ્રશ્નો પૂછે છે.

અધ્યાય-૨-સાંખ્યયોગ(જ્ઞાનયોગ) સમાપ્ત


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)

     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE