Dec 1, 2012

રામાયણ-૩૦

      PREVIOUS PAGE
     NEXT PAGE

રાજા દશરથ ની શોકસભામાં ભરત ઉભા થયા છે.
સીતા-રામ ના સ્મરણ માં આંખ માંથી આંસુ નીકળે છે. ગુરુદેવ વસિષ્ઠ ના ચરણ માં વંદન કરે છે
અને કહે છે-કે-
ગુરુદેવ ની અને માતા ની આજ્ઞા નું પાલન કરવું એ મારો ધર્મ છે.
બધાની ઈચ્છા છે કે મારો રાજ્યાભિષેક થવો જોઈએ. પણ આજે સામો જવાબ આપું છું,તો મને ક્ષમા કરજો.
મારે બધા લોકો ને એટલું જ પૂછવાનું છે કે-
મને ગાદી પર બેસાડવાથી શું અયોધ્યા નું કલ્યાણ થશે ?
શું મારું કલ્યાણ  થશે ?
મેં મારા મન થી નિશ્ચય કર્યો છે કે-રામ સેવાથી જ મારું કલ્યાણ થશે.રામ સેવા એ જ મારું જીવન છે.

જેમ જીવ વિના આ શરીર ની શોભા નથી તેમ-રામ વગર આ રાજ્ય ની શોભા નથી.
હું તો રામ ની સેવા કરવા જવાનો છું,
પિતાજી સ્વર્ગ માં અને રામ વનમાં છે,એ વખતે મારો રાજ્યાભિષેક કરવા થી શું હું સુખી થઈશ ?
સર્વ અનર્થ નું કારણ હું છું,જો જગતમાં જો મારો જન્મ જ ન થયો હોત તો –આ પ્રસંગ કદી બનત નહિ.

મારા જન્મ થી અયોધ્યાની પ્રજા દુઃખી થઇ છે,આજે મારા પિતા સ્વર્ગ માં પધાર્યા તેનું દુઃખ નથી,પણ મને
માત્ર એક જ વધુ દુઃખ થાય છે-કે-મારા રામ વલ્કલ ધારણ કરી ઉઘાડા પગે વન માં ફરે છે.
મારા રામ સિવાય જિંદગીમાં સઘળું વ્યર્થ છે. મને શાંતિ ત્યારે જ મળશે જયારે હું રામ-સીતાના દર્શન કરીશ. આ કૈકેયી નો પુત્ર કૈકેયી કરતાં પણ અધમ છે,મારા રામ ની સેવા કરું તો જ જીવન સફળ છે.

આ અયોધ્યા ની પવિત્ર ગાદી છે-કે જેના પર ભગીરથ,રઘુરાજા અને દિલીપ વિરાજતા હતા તે ગાદી ને હું
લાયક નથી.હું પાપી અને અધમ છું, જો મને ગાદી પર બેસાડવામાં આવશે તો-ધરતી રસાતાર માં ડૂબી જશે.આજે મારું ભાગ્ય પ્રતિકુળ છે-તેથી ગુરુદેવ મને આવી સલાહ આપે છે.પણ મારું કલ્યાણ તો માત્ર
રામજીની સેવા કરવામાં છે.

હું આવતી કાલે રામજી ને મળવા જાઉં છું,મને આજ્ઞા આપો. તમે મને આશીર્વાદ આપો કે –મારા રામ
અયોધ્યા પાછા પધારે.હું તો રામજી ની પાસે મારા પાપની માફી માંગીશ,તો રામજી મને ક્ષમા કરશે.
રાજ્ય ના માલિક તો રામ છે,હું તેમણે મનાવીશ.
રામ-સીતા માની જાય,તેઓ પાછા ફરે –તો ચૌદ વર્ષ હું વન માં રહીશ.હું અપરાધી છું,
સર્વ અનર્થ નું કારણ હું છું.
કૈકેયી નો દીકરો જાણી ને પણ તેઓ મારો તિરસ્કાર નહિ કરે. તેમનો મારા પર અતિશય પ્રેમ છે.
નાનપણ માં રમત માં પણ તેમણે કદી મને નારાજ કર્યો નથી.હું રામજી ને શરણે જઈશ.

ભરતજી અતિશય વ્યાકુળ થયા છે,સીતા-રામ નું સ્મરણ કરતાં કરતાં તેમની આંખમાંથી આંસુ નીકળતા હતાં. લોકો ને ખાતરી થઇ કે ભરતજી રામ-પ્રેમની મૂર્તિ છે.
બધાને આનંદ થયો છે.અને કહે છે-કે- તમે રામને મળવા જશો તો અમે પણ તમારી સાથે આવીશું.
ભરતજી કહે છે-કે જેને પણ આવવાની ઈચ્છા હોય તે આવી શકે છે.
બધાને આનંદ થયો છે-કે ભરતજી ના હિસાબે અમને પણ રામજી ના દર્શન થશે.

દરબાર પુરો થયો.લોકો ઘેર જઈ ને ભરતજી ની સાથે જવાની તૈયારી કરવા લાગ્યા.
પુરુષો,સ્ત્રીઓ,બાળકો બધાને રામ ના દર્શન કરવાની આતુરતા થઇ છે.
ક્યારે સવાર થાય અને ક્યારે અમે જઈએ.!!!

      PREVIOUS PAGE
     NEXT PAGE