May 4, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૬

નિત્ય (નૈમિતિક) કર્મો,જન્મ-બંધનના કારણભૂત હોઈને,તે કર્મોનું યુક્તિપૂર્વક આચરણ 
કરીને –કર્મોના બંધનમાંથી મુક્ત થવાય છે,આ કર્મનો મર્મ તામસિક પ્રકૃતિવાળો ભ્રમિત મનુષ્ય સમજી શકતો નથી અને નિત્ય કર્મોનો ત્યાગ કરે છે-આમ,અજ્ઞાનથી 
નિત્ય (નૈમિતિક) કર્મોને ત્યજવામાં આવે તો તેને “તામસ ત્યાગ” કહે છે. (૭)

જે કોઈ કર્મને દુઃખકારક માનીને –શરીરને કલેશ થવાના ભયથી,તે કર્મોનો ત્યાગ કરે છે
-તો તેને-“રાજસ ત્યાગ” કહેવામાં આવે છે.આવા રાજસ ત્યાગનું ફળ તેને પ્રાપ્ત થતું નથી.   (૮)

જે કોઈ –માત્ર કર્તવ્ય સમજીને જ જે નિત્ય-નૈમિતિક કર્મો,ફળની આકાંક્ષા (ફલાશા) વગર 
અને કર્તૃત્વાભિમાન (હું કર્મ કરું છું-તેવું અભિમાન)ના ત્યાગ પૂર્વક  કરે છે
-તે કર્મ ત્યાગને “સાત્વિક ત્યાગ” કહેવામાં આવે છે.(૯)

જે મનુષ્ય,કામ્ય-કર્મોનો (કામનાના બળથી પેદા થતાં કર્મોનો) દ્વેષ કરતો નથી, અને-
પુણ્યકર્મમાં (યજ્ઞ,તપ,દાન-ના કર્મમાં) આસક્ત થતો નથી,
તે શુદ્ધ ચિત્તવાળો (જ્ઞાની) બુદ્ધિમાન –ત્યાગી-સર્વ સંશયો વગરનો થઇ અને મુક્ત થાય છે.(૧૦)

જે દેહધારી છે,તેનાથી સર્વથા (દરેક વખતે) કર્મનો ત્યાગ કરવો તો અશક્ય જ છે,
મનુષ્ય ઊંઘતો હોય ત્યારે પણ શ્વાસોચ્છવાસ રૂપે કર્મ તો થયે જ જાય છે,નિત્યકર્મ પણ કરવાં જ પડે છે,
એટલે –આ શરીરના નિમિત્ત થી,કર્મો તો આપણી પાછળ લાગ્યા જ છે,
જીવીએ કે મરીએ –આનાથી છૂટકો થનાર નથી જ.

આ કર્મો નો ત્યાગ કરવાનો માત્ર એક જ ઉપાય છે- અને –તે-
કર્મ કરવા છતાં ફળની આકાંક્ષા (ફલેચ્છા) ને આધીન થવું નહિ.આસક્ત થવું નહિ.
કર્મના ફળ ઈશ્વરને અર્પણ કરવામાં આવ્યાં,એટલે તેના પ્રસાદથી જ્ઞાન ઉત્પન્ન થાય છે.

જેમ,રજ્જુ (દોરડી)નું યથાર્થ જ્ઞાન મળવાથી સર્પની શંકા દૂર થાય છે-તેમ-
આત્મ-જ્ઞાન આવવાથી અજ્ઞાન સહિત કર્મનો નાશ થાય છે.
અને આ રીતે  (કર્મો નો) જે ત્યાગ કરવામાં આવે તે જ ખરો ત્યાગ છે.

કર્મફળના પણ ત્રણ પ્રકાર છે-ઇષ્ટ(અનુકૂળ),અનિષ્ટ (પ્રતિકૂળ) અને ઇષ્ટાનિષ્ટ (મિશ્ર)

કર્મફળનો ત્યાગ જે મનુષ્યે નથી કર્યો તેને-મરણ પછી પણ એ કર્મફળો પ્રાપ્ત થાય છે,
(બીજો જન્મ લેવો પડે છે-બંધન થાય છે)-
જયારે કર્મફળનો જેને ત્યાગ કર્યો છે-એવા મુક્ત -સંન્યાસી ને -
ઉપરનાં ત્રણે પ્રકારના ફળોની કદાપિ (જીવતા કે મરતાં) પ્રાપ્તિ થતી નથી.(૧૨)

સ્વ-ધર્મને માન આપીને શાસ્ત્રોક્ત (શુભ)કર્મો કરનારને મરણ પછી-ઇન્દ્રાદિક દેવોનો દેહ પ્રાપ્ત થાય છે-
આવા પુણ્યકર્મના કર્મફળને “ઇષ્ટ-કર્મફળ” કહે છે.

વિષયાસક્ત મનુષ્ય વિધિનો ત્યાગ કરી,શાસ્ત્રોએ જે નિષિદ્ધ (અશુભ)કર્મો  કહ્યા છે-તે કર્મોમાં પ્રવૃત્ત થઇ-
અધમ કોટિના દેહને (કૃમિ,કીટક –વગેરે) પ્રાપ્ત થાય છે-આવા કર્મફળને-“અનિષ્ટ કર્મફળ” કહે છે.

શુભ અન અશુભ કર્મ –સમ ભાગે કરવામાં આવતા તેનું મિશ્ર ફળ –કે જે- મનુષ્ય દેહની પ્રાપ્તિ છે-
તેને  ઇષ્ટાનિષ્ટ કર્મફળ(મિશ્ર)  કહે છે.

પણ જેવી રીતે-બીજ માટે રાખેલું અનાજ (ધાન્ય) જો દરરોજના આહાર માટે,
વાપરી નાખવામાં આવે તો-વાવવાનું કાર્ય બંધ પડે છે-તેવી રીતે-
ફળના ત્યાગથી –કર્મના યોગે-પ્રાપ્ત થનારાં જન્મ-મૃત્યુ ટળી જાય છે.(મુક્ત થવાય છે)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE