May 19, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧૧

અત્યંત શુદ્ધ બુદ્ધિથી, દૃઢતાપૂર્વક  પોતાને (પોતાની જાતને) નિયમમાં રાખીને,
વિષયો (શબ્દાદિક-વગેરે) નો અને રાગ-દ્વેષ (દ્વંદો)નો ત્યાગ કરીને, (૫૧)
એકાંત સેવનાર,અલ્પાહાર કરનાર,વાચા,કાયા તથા મનને અંકુશમાં રાખનાર,
ધ્યાનયોગમાં પરાયણ,એવો તે –નિત્ય વૈરાગ્યનો આશરો લઈને, (૫૨)
અહંકાર,બળ,દર્પ (ઉન્મત્તતા),કામ,ક્રોધ,પરિગ્રહને છોડીને-
મમતા વગરનો અને શાંત –એવો તે –બ્રહ્મભાવ પામવા યોગ્ય બને છે (૫૩)

આવો બ્રહ્મભાવને પામેલો પ્રસન્નચિત્ત મનુષ્ય-નથી શોક કરતો –કે-નથી કોઈ આકાંક્ષા રાખતો,
સર્વ પ્રાણીઓમાં સમ-ભાવ રાખનારો,તે-પરમાત્માની પરમ “ભક્તિ” ને પામે છે.(૫૪)

આ ભક્તિથી તે પરમાત્માને “તત્વ”થી યથાર્થપણે જાણે છે,
અને આમ પરમાત્માને જાણ્યા બાદ તે પરમાત્મામાં મળી જાય છે.(૫૫)

આવી રીતે શ્લોક-૫૧ થી ૫૫ માં આધ્યાત્મિક અભ્યાસ-નું ટૂંકમાં (ગીતામાં) પુનરાવર્તન કર્યું છે.
જેનું જ્ઞાનેશ્વરે વિસ્તૃતતાથી કાવ્યમય વર્ણન (પુનરાવર્તન) કર્યું છે.

શ્રીકૃષ્ણે આગળના અધ્યાયોમાં “આત્મા” ને મેળવવાનો  (આત્મા ને હસ્તગત કરવાનો) ઉપાય
વિસ્તારપૂર્વક વર્ણવ્યો છે ખરો, પરંતુ એક જ વખત સાંભળવાથી તે કદાચિત અર્જુનના સમજવામાં
ના આવ્યો હોય –એવો વિચાર કરી –

પરમ કૃપાળુ શ્રીકૃષ્ણ –તે જ સિદ્ધાંત (આત્માને મેળવવાનો) શિષ્ય (અર્જુન)ના હૃદયમાં સ્થિર થાય-
એવા ઉદ્દેશથી આમ ફરીવાર (૫૧ થી ૫૫)માં કહ્યો છે.
અને ગીતા પણ હવે પૂર્ણ થવા આવી છે, તેથી પ્રસંગને અનુસાર-(યુદ્ધના પ્રસંગને અનુસાર)
આ પુનરાવર્તન એકાર્થતા (એક જ મહા-સિદ્ધાંત) પણ બતાવે છે.

કારણકે-ગીતાના મધ્ય ભાગમાં જુદા જુદા અનેક અધિકાર વર્ણવવાના સમયે અનેક જુદાજુદા “સિદ્ધાંતો” નું
નિરૂપણ કર્યું છે, તેથી કોઈ કદાચ-આ વસ્તુનો વિચાર કર્યા વગર એમ પણ માની લે કે-
ગીતામાં તો અનેક (સર્વ) સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું છે.

આથી શ્રીકૃષ્ણ એક મહા-સિદ્ધાંતનું એકંદરે ઐક્ય કરી ને-તેના ઉદરમાં (પેટમાં) યુક્તિથી અનેક સિદ્ધાંતો
મેળવેલી ગીતા પૂર્ણ કરે છે.

જો કે-અજ્ઞાન (અવિદ્યા)નો નાશ એ જ આ ગીતા-ગ્રંથની ભૂમિ છે,
મોક્ષપ્રાપ્તિ-એ જ એનું ફળ છે, અને મોક્ષપ્રાપ્તિના ઉપાયનું સાધન જ્ઞાન છે,
અને આ જ જ્ઞાન  અનેક પ્રકારે આ ગીતા ગ્રંથમાં વર્ણવ્યાથી તેનો વિસ્તાર થયેલો છે.

અને હવે તે જ જ્ઞાન કેવળ થોડા શબ્દોમાં (ફરીથી) કહેતાં શ્રી કૃષ્ણ કહે છે-કે-
“સદા સર્વ કર્મો કરતો હોવાં છતાં –મારો આશ્રય લઇ તે મનુષ્ય મારી કૃપાથી –મારા શાશ્વત અવિનાશી
પદ ને પામે છે” (૫૬)

જેવી રીતે આકાશમાં ફરીને –વાયુ-આકાશમાં જ લય પામે છે-
તેવી રીતે આત્મા –ઠેકઠેકાણે ફરીને –પરમાત્મામાં જ લય પામે છે.

પોતાનાં કર્તવ્યો (કર્મો) દ્વારા કરેલી ઈશ્વરની પૂજા (ઈશ્વરનો આશ્રય) સાધકના હૃદયને વિશુદ્ધ કરે છે.
અને તેને જ્ઞાન-નિષ્ઠા માટે તૈયાર કરે છે-જે છેવટે મોક્ષ-પ્રાપ્તિ (આત્મ-સાક્ષાત્કાર) તરફ દોરી જાય છે.

આમ અહીં ભક્તિયોગની પ્રશંસા ને તેની સર્વોપરિતા પુરવાર કરેલી છે.


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE