Oct 9, 2020

ભાગવત રહસ્ય -૪૧૩

કહે છે કે-અંતર્ધાન થતી વખતે શ્રીકૃષ્ણે રાધાજીને સાથ માં લીધાં છે.આગળ ચાલતાં રાધાજી થાકી ગયાં છે,અને શ્રીકૃષ્ણને કહે છે કે –હું થાકી ગઈ છું,મારાથી ચલાય તેમ નથી,તમને મારી ગરજ હોય તો મને તમારા ખભા પર ચઢાવી અને લઇ જાવ.
શ્રીકૃષ્ણ કહે છે કે-ભલે,તો તમે મારા ખભા પર બેસો.રાધાજી ઝાડની ડાળી પકડીને શ્રીકૃષ્ણ ના ખભા પર બેસવા ગયા અને શ્રીકૃષ્ણ ત્યાંથી અંતર્ધાન થયા,
એટલે રાધાજી ઝાડની ડાળી પર લટકીને રહી ગયાં.

આ તો આપણા માટે શ્રીકૃષ્ણે લીલા કરી છે.તે બતાવવા માટે કે-
જીવ ને અભિમાન થાય છે અને અભિમાન થાય એટલે તે લટકી જાય છે.
બાકી રાધા એ જ કૃષ્ણ અને કૃષ્ણ એ જ રાધા છે,.શ્રીકૃષ્ણની આહલાદિકા “શક્તિ” રાધાજી છે.

રાધાજીને શ્રીકૃષ્ણે બહુમાન આપેલું,પોતાની સાથે લઇ ગયેલા,એટલે રાધાજીને અભિમાન આવ્યું,
શ્રીકૃષ્ણ અંતર્ધાન થવાથી રાધાજી પણ રોવે છે,”હે નાથ,હે પ્યારે,મને દર્શન આપો”
રાધાજીના આ વિયોગ જેવો જ કંઈક મીરાંનો વિયોગ છે.રાધાજી રોતાં રોતાં બેભાન બની ગયા છે.

શ્રીકૃષ્ણને શોધતાં શોધતાં બીજી ગોપીઓ આવી રાધાજીને જગાડે છે.
રાધાજીએ ક્હ્યું-કે- મને અભિમાન આવ્યું એટલે મારો પણ શ્રીકૃષ્ણે ત્યાગ કર્યો છે.
બધી સખીઓ સાથે મળીને ભગવાન જ્યાંથી અદૃશ્ય થયા હતા,ત્યાં આવી છે.
અને પ્રભુ ના ગુણગાન ગાવાના ચાલુ કર્યા છે.

ઈશ્વર નું “ધ્યાન” એ જ્ઞાનમાર્ગમાં પ્રધાન છે.
ઈશ્વરના ગુણો નું “ગાન” એ ભક્તિમાર્ગ માં પ્રધાન છે.
પુષ્ટિમાર્ગમાં તો ભગવાનના “ગુણગાન”ને જ “જ્ઞાન” કહ્યું છે.

વિરહ (વિયોગ) માં વ્યાકુળ થયેલી ગોપીઓ શ્રીકૃષ્ણ નાં “ગુણગાન” ગાવા લાગી તે –“ગોપીગીત”
ગોપીઓએ વિચાર્યું કે જમુનાના કિનારે શ્રીકૃષ્ણની સ્તુતિ કરીશું તો ભગવાન પ્રગટ થશે.
રાસપંચાધ્યાયીના પાંચ અધ્યાય એ ભાગવતના પાંચ પ્રાણ છે.મધ્યમાં ગોપીગીત છે.
રાસમાં ગોપીગીત મુખ્ય છે.ગોપીગીતનો ઘણા ભક્તો પાઠ કરે છે,પણ ગોપી થઈને ગોપીગીતનો
પાઠ કરવો જોઈએ.ગોપી થઇને (એટલે કે જેને કૃષ્ણ દર્શનની તીવ્ર ઈચ્છા છે તેવી ગોપી જેવા થઇ ને) –
એટલે કે કૃષ્ણ દર્શનની તીવ્ર ઈચ્છા રાખીને ગોપીગીતનો પાઠ કરવો જોઈએ.
જે જીવ ઈશ્વરમિલન માટે અતિવ્યાકુળ બને છે,તેને જગતમાં ક્યાંય ચેન પડતું નથી.
અતિ આર્ત સ્વરે ભગવાનને પોકારવાથી,ભગવાનની સ્તુતિ (ગોપીગીત) કરવાથી,
મન શુદ્ધ થાય છે,પ્રભુને દયા આવે છે અને પ્રભુ મળે છે.

ગોવિંદ દામોદર સ્તોત્રમાં કહ્યું છે તેમ-
સુખાવસાને,દુખાવસાને અને દેહાવસાને એમ ત્રણ વાર સ્તુતિ કરવાની છે.
ગોપીગીતના છંદ નું નામ કનકમંજરી છે.
કેટલાક આચાર્યો કહે છે કે-ગોપીગીતમાં ”ઇન્દિરા છંદ”છે. ઇન્દિરા એટલે લક્ષ્મી.
ગોપીઓ બધી લક્ષ્મી સ્વરૂપ છે.એટલે ગોપીગીતમાં ઇન્દિરા છંદ છે.

પ્રત્યેક શ્લોક બોલનાર ગોપી અલગ અલગ છે,પણ વિયોગ બધી ગોપીઓને એક સરખો છે.
અને વિયોગમાં એક જ ભાવ છે એટલે એક જ છંદ છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE