Oct 1, 2013

Sat-Sloki-Gujarati-15

શત-શ્લોકી-15-(આદિ) શંકરાચાર્ય રચિત

જેમ,કેવળ વરસાદનું પાણી,જુદી જુદી સર્વ ઔષધિઓ ની અંદર,જુદા જુદા અમાપ રસો,ગંધો,વગેરે-
પરિણામ-રૂપે (વિપાક-રૂપે) આપે છે,
તેમ,એક જ આત્મા (પરમાત્મા) અનેક પ્રાણીઓ-અનેક પદાર્થો,અને તેઓના જુદા  જુદા સ્વભાવ-રૂપે-
પરિણામે પ્રગટે છે.
વળી તે આત્મા ને લીધે જ પૃથ્વી વિશ્વ (જગત) ને ધારણ કરી રહી છે.
તે આત્મા ને લીધે જ, વરસાદ સારી રીતે વરસે છે,અગ્નિ રાંધવાની તથા બાળવાની ક્રિયા કરે છે,
પરમાત્મા ક્યાં નથી? પરમાત્મા એ સર્વ માં-સર્વ જગ્યાએ- વિરાજેલા છે.(૫૯)

સર્વ પ્રાણીઓમાં અને પદાર્થો માં એક જ આત્મા (પરમાત્મા) નાં દર્શન કરવાં,અને
સર્વ ને (પ્રાણીઓ અને પદાર્થો ને) પરમાત્મા માં જ ઓતપ્રોત રહેલા જોવા.
કારણકે,જેમ,પાણી નાં દરેક મોજાં લગભગ પાણી ને  જ અનુસરી ને રહે છે.
મોજાં કોઈ જુદી વસ્તુ નથી, અને એ બધું પાણી જ છે,
તેમ,આ બધું જગત કેવળ આત્મા જ છે,એમ સર્વ સમયે જોવું.
ઉપનિષદો માં પણ એ જ માનવામાં આવ્યું છે કે-બ્રહ્મ,એક અને અદ્વિતીય છે,તેના કોઈ અનેક જાતના ભેદ જ નથી. છતાં જે મનુષ્ય આ બ્રહ્મ માં જગત-રૂપ ભેદ ને જુએ છે(એટલે કે બ્રહ્મ ને જગત થી જુદું માને છે)
તે આ સંસાર માં મૃત્યુ પછી મૃત્યુ પામ્યા કરે છે (એટલેકે તેનો કદી મોક્ષ થતો નથી)  (૬૦)

જેમ,આ આકાશ ઘડાની પહેલાં અને પાછળ (ઘડાની અંદર અને બહાર) એક સર્વ કાળે હોય છે,
આવું (આ સત્ય) જ્ઞાન છે છતાં,ઘણા અજ્ઞાનીઓ ને એવું માને છે કે-
આકાશ ઘડાની ઉત્પત્તિ વખતે ઉત્પન્ન થાય છે,ઘડો નાશ પામે ત્યારે (આકાશ) નાશ પામે છે,
ઘડા ને એક ઠેકાણે થી બીજી જગ્યાએ લઇ જવાય,ત્યારે આકાશ તેની સાથે એક જગ્યાએ થી બીજી જગ્યાએ જાય છે,અને ઘડો જેવો,નાનો-મોટો,વાંકો-ચૂંકો,ઊંડો-છીછરો હોય,તો આકાશ તેના જેવું થાય છે.

તેમ,આ આત્મા ચારે બાજુ વ્યાપક છે અને દેહાદિ (દેહ-વગેરે) ના પહેલાં અને પાછળ (અંદર અને બહાર)
રહેલો જ છે, આવું સત્ય જ્ઞાન હોય છે છતાં ઘણા અજ્ઞાનીઓ એવું માને છે કે-
આત્મા,દેહાદિ ની ઉત્પત્તિ ની સાથે ઉત્પન્ન થાય છે,અને તે દેહનો નાશ થતાં,તે (આત્મા) નાશ પામે છે,
દેહ એક ઠેકાણે થી બીજે ઠેકાણે જાય ત્યારે આત્મા પણ એક ઠેકાણે થી બીજે ઠેકાણે જાય છે,
અને દેહ –વગેરે જેવા નાના-મોટા,લાંબા-ટૂંકા,વાંકા-ચૂંકા –હોય તેવો જ આત્મા હોય છે.(૬૧)

જેમ ગોળ નો પિંડો જેવડો હોય છે,તેટલી અને તેવડી (આખી) મીઠાશ જ છે, અથવા,
કપૂર નો ગાંગડો જેવડો હોય છે,તેટલી અને તેવડી જ તેમા સુગંધ ભરેલી હોય છે,
તેમ,વૃક્ષો,પર્વતો,શહેરો,બાગ-બગીચા,દેવ-મંદિરો થી સુંદર દેખાતું આ જગત ,
જેટલું અને જેવડું દેખાય છે,તેટલું અને તેવડું કેવળ એક ચૈતન્ય જ પ્રકાશે છે.
આમ,(આવું) આત્મ-તત્વ નું જ્ઞાન થયા પછી,બધું જ -કેવળ આત્મા-રૂપે જ બાકી રહે છે.(૬૨)

જેમ,વાજિંત્ર (જેમ કે નગારા) માંથી નાદ ઉત્પતિ નો જે અનુભવ થાય છે,તે વાજિંત્ર ઉપર કરવામાં  
આવેલ દાંડી ના પ્રહાર થી જ જણાય છે,પણ વાજિંત્ર,તેના પર કરેલો દાંડી નો પ્રહાર અને તેનામાંથી નીકળતો નાદ (અવાજ)-એ ત્રણે નો અનુભવ જુદો જુદો થતો નથી,
પરંતુ ત્રણે એક સાથે જ અનુભવાય છે,
તેમ,માયા,બ્રહ્મ(ઉપાદાન કારણ) ,અને આ જગત –એ ત્રણે નો અનુભવ જાણે એક સાથે થતો હોય તેમ લાગે છે. અને માયા તથા જગત, તે બ્રહ્મ ની સાથે જ રહેલાં હોય તેમ જણાય છે.
પણ ખરી  રીતે,(એમ ના સમજતાં) જો એ બ્રહ્મ ને પ્રત્યેક માં (માયા અને જગતમાં) વ્યાપ્ત જાણવામાં આવે,અને એ બ્રહ્મ સિવાય બીજું કશું નથી,એમ જો અનુભવાય,તો,
તે જગત ને માયા એવી કોઈ વસ્તુ જણાય જ નહિ.(રહે જ નહિ) (૬૩)


PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE