Oct 1, 2013

Sat-Sloki-Gujarati-16


શત-શ્લોકી-16-(આદિ) શંકરાચાર્ય રચિત
જેને (જે મનુષ્યને) સમજાયું છે કે-જગતમાં ઈશ્વર જ્ઞાન-સ્વરૂપ અને બુદ્ધિમાં રહેલા છે,
અને આકાશ ની પેઠે,એક, હોઈને સર્વ ભૂતો (પ્રાણીઓ) ની અંદર અને બહાર ચારે બાજુ વ્યાપી રહેલા છે,
એવા,તે પરમાત્માના આ શરીર માં જ જો (આત્મા તરીકે) સાક્ષાત દર્શન કર્યાં હોય, વળી,
બ્રહ્મ થી જુદું જણાતું,આ સમગ્ર જગત,માત્ર આભાસ-રૂપ જ છે,એમ જો દેખાયું હોય,તો,
સર્વ (ઇન્દ્રિયોના) વ્યાપારો નો ત્યાગ કરી “હું શુદ્ધ બ્રહ્મ છું” (શુદ્ધ અહં બ્રહ્માસ્મિ) –
એમ નિરંતર અનુભવી,એ બ્રહ્મ-ભાવ માં જ સ્થિતિ કરવી જોઈએ.  (૬૪)

જમણા નેત્રમાં તેના દેવ-તરીકે ઇન્દ્ર અને ડાબા નેત્રમાં તેની દેવી તરીકે ઇન્દ્રાણી રહે છે,
આ બંને જયારે –બે ભ્રમર ની વચ્ચે હોય,ત્યારે જાગ્રત અવસ્થા,
અને જો હૃદયાકાશ માં હોય તો,તે સ્વપ્નાવસ્થા,
અને આ અવસ્થામાં (સ્વપ્ન ની અવસ્થામાં) તે બંને શૈયા સુખ ભોગવતાં હોય,
અને તે સુખની અંત અવસ્થા-તે સુષુપ્તિ અવસ્થા.(નિંદ્રા અથવા સમાધિ અવસ્થા)

આ અવસ્થા (સુષુપ્તિ ની સમાધિ અવસ્થા) માં જે અતિ ગહન પદ પ્રાપ્ત થાય છે તે જ “આનંદ-કોશ” છે.
એ આનંદ-કોશ (સમાધિ ની સુષુપ્તિ અવસ્થામાં) માં નિરતિશય સુખ માં લીન થયેલો
જીવાત્મા કંઇ જાણતો નથી,(એટલે કે કોઈ પદાર્થ નું તેને ભાન હોતું નથી)
એ સમયે તેને જો જગાડ્યો હોય તો તે દુઃખી થાય છે,
આવા કારણ થી જ ઉત્તમ-બુદ્ધિ-વાળો સજ્જન-તેવા (સમાધિમાં) સૂતેલા ને જગાડતો નથી, (૬૫)

જેમ,સુષુપ્તિમાં (નિંદ્રામાં) સર્વ જીવો,સમાન સ્થિતિવાળા થઇ,કેવળ આનંદ ને જ અનુભવે છે,
તેમ,જાગ્રત અવસ્થામાં,તે જીવ,કે જે સર્વ પર ઉપકાર કરવા વાળો છે અને
ઇન્દ્રિયો ને અંતર્મુખ કરી (નિદિધ્યાસન માં) સુખ ને પ્રાપ્ત કરનારો છે,
તે જ કેવળ “પરમાનંદ” ને અનુભવે છે.

પરંતુ જાગ્રત અવસ્થા માં જે જીવ,સ્ત્રી-પુત્રાદિ વગેરે ના પેટ ભરવા માટે બહિર્મુખ વૃત્તિઓ વાળો રહે છે,
(ઇન્દ્રિયો ને બહિર્મુખ રાખે છે) તે અનેક જાતના દુઃખો અનુભવે છે,અને
ઇન્દ્રિયો ને વશ થઇ,શોક અને મોહ ને પામે છે.  (૬૬)

જાગ્રત અવસ્થામાં જીવાત્મા વિષયોના સુખ માટે અનેક જાતના યત્નો કરે છે.
પછી જયારે સર્વ ઇન્દ્રિયો નો સમુદાય થાકી જાય છે ત્યારે
તે જાગ્રત અવસ્થા માં -થોડાક પણ મેળવેલા એ વિષય-સુખ ને  પણ ભૂલી જઈ વિશ્રાંતિ
લેવા  અને થાકેલી ઇન્દ્રિયો ને સુખ આપવા માટે નિંદ્રા પામે છે, ત્યારે,
તે નિંદ્રા ના સમયે,ઇન્દ્રિયો થી અલગ થઇ કેવળ આત્મ સ્વ-રૂપ મા જ સ્થિતિ થાય છે, અને.
નિંદ્રા નું તે અતિશય સુલભ અને વિના પ્રયત્ને આવી મળેલું,પરમ સુખ પ્રાપ્ત કરે છે.
એ ઉપરથી સિદ્ધ થાય છે કે,
ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતા અલ્પ સુખ કરતાં
ઇન્દ્રિયો ના સંબંધ વિના નું આત્મ-સ્વ-રૂપ નું (નિંદ્રા વખતના સુખ જેવું) સુખ શ્રેષ્ઠ છે.  (૬૭)

જેમ,આકાશમાં ઉડતા પહેલાં પક્ષી બંને પાંખો પહોળી કરી વારંવાર હલાવી વાયુ (શૂન્યાવકાશ) ઉત્પન્ન કરે છે,અને તે દ્વારા ઉંચે આકાશ માં પહોંચી,ત્યાં રહેલા (મહાન)વાયુ ને પામી ને પોતાની પાંખો પ્રસારીને,
સ્થિર કરીને થાક દૂર કરે છે,અને આનંદથી આકાશમાં ફરે(ઉડે) છે.
તેમ,જાગ્રત અને સ્વપ્ન અવસ્થા ના વિષયો માટે,અનેક જાતના સંકલ્પ-વિકલ્પો વડે હેરાન થયેલું
આ ચિત્ત (મન) થાકી ને વિશ્રાંતિ લેવા માટે –જયારે સુષુપ્તિ અવસ્થામાં (નિંદ્રામાં) હાથ-પગ પહોળા કરી અને  લાંબો સમય સુધી સૂઈ જાય છે અને ત્યારે,તે વેળા આનંદ માં મગ્ન બને છે, (૬૮)

પણ જેમ,પરદેશથી ઘેર આવેલો કામી પુરુષ,પોતાની સ્ત્રીને એકદમ ગાઢ આલિંગન કરી સુખ પામે છે,
ત્યારે ઘરનું કે બહારનું કોઈ વસ્તુ નું કે વ્યક્તિ નું તેને ભાન રહેતું નથી,
તેમ,સુષુપ્તિમાં (સમાધિ માં) એકાએક પરમાત્મા ને ભેટી ને તદ્રુપ થઇ ને પરમાનંદ પામેલા,જીવાત્માને,
બહારનું કે અંદરનું,કોઈ વસ્તુ નું ભાન રહેતું નથી.તે વેળા તેના સર્વ વ્યવહાર,પુણ્ય-પાપ ના પરિણામ,
શોક,મોહ અથવા ભય –એ બધું અસ્ત પામે છે,અને તે સમ-વિષમ કંઈ પણ જાણતો નથી.(૬૯)

PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE