Dec 5, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-2-Sankhya Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-2-સાંખ્ય યોગ




સંજય કહે છે-
આંખમાં આંસુ અને હૃદયમાં શોક તથા વિષાદ ભરેલ અર્જુનને, મધુસૂદને (કૃષ્ણે) આમ કહ્યું.(૧)


હે અર્જુન, યુદ્ધ ભૂમિમાં આ સમયે તને આવા વિચારો ક્યાંથી આવી રહ્યા છે.
કારણ કે જેને લીધે ન તો સ્વર્ગ મળે છે કે ન તો કીર્તિ પ્રાપ્ત થાય છે,
આવા વિચારો તારા જેવા શ્રેષ્ઠ પુરુષો કરતા નથી. (૨)


હે પાર્થ, તું આવા દુર્બળ અને કાયર વિચારોનો ત્યાગ કર અને યુદ્ધ કરવા માટે તૈયાર થા.(૩)


અર્જુન કહે છે
હે મધુસૂદન, હું કેવી રીતે યુદ્ધ ભૂમિમાં ભીષ્મ પિતામહ અને આચાર્ય દ્રોણ સાથે યુદ્ધ કરું ?
હે અરિસૂદન, મારે માટે બંને પૂજનીય છે. (૪)


ગુરુ અને પૂજ્યજનોના લોહીથી ખરડાયેલા હાથે મળેલ રાજ્યનો ઉપભોગ કરવા કરતાં
ભિક્ષા માંગી જીવન વીતાવવું મને બહેતર લાગે છે.
વળી એમને મારીને મને શું મળશે - ધન અને ભોગ-વૈભવ જ ને ? (૫)


મને તો એ પણ ખબર નથી પડતી કે -યુદ્ધ કરવું જોઈએ કે નહીં અને
એ પણ ખબર નથી કે એનું કેવું પરિણામ અમારે માટે યોગ્ય રહેશે - અમારી જીત કે કૌરવોની. ??
કારણ કે જેમને મારીને અમને જીવવાની ઈચ્છા જ ન રહે
એવા ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર ઊભા છે. (૬)


મારું મન દ્વિધામાં છે અને આ સ્થિતિમાં મારો શું ધર્મ છે, મારે શું કરવું જોઈએ ?
એ મારી સમજમાં નથી આવતું. એથી હે કેશવ,
હું આપને પૂછું છું કે -મારે માટે જે સર્વપ્રકારે યોગ્ય અને કલ્યાણકારક હોય એ માર્ગ મને બતાવો.
હું આપનો શિષ્ય છું અને આપની શરણમાં આવ્યો છું. (૭)


સુખ સમૃદ્ધિથી ભરેલ પૃથ્વી તો શું સ્વર્ગનું સામ્રાજ્ય પણ મને મળી જાય તો પણ મારો શોક ટળે એમ નથી.(૮)


સંજય કહે છે- હે રાજન, શ્રીકૃષ્ણને અર્જુન ‘હું યુદ્ધ નહીં કરું’ એવું સ્પષ્ટ કહી શાંત (ચૂપ) થયો. (૯)


ત્યારે બંને સેનાની મધ્યમાં ગ્લાનિ અને વિષાદમાં ડૂબેલ અર્જુનને સ્મિત કરતાં હૃષિકેશે આમ કહ્યું. (૧0)


હે અર્જુન, તું જેનો શોક કરવો યોગ્ય નથી,તેનો શોક કરે છે,અને વિદ્વતાનાં વચનો બોલે છે.
પંડિતો જીવતાં હોય કે મૃત્યુ પામ્યા હોય - એ બંને માટે આંસુ નથી વહાવતા.
જ્યારે તું તો એમને માટે શોક કરી રહ્યો છે જેઓ હજુ જીવે છે. (૧૧)


અને વળી એવું થોડું છે કે-ભૂતકાળમાં, મારું, તારું કે આ યુદ્ધમાં શામેલ રાજાઓનું 
કદી મૃત્યુ જ ન થયું હોય,અથવા ભવિષ્યમાં પણ કદી મૃત્યુ થવાનું જ ન હોય ? (૧૨)



જેવી રીતે મનુષ્ય નો દેહ (શરીર) બાળક બને છે, યુવાન બને છે અને અંતે વૃદ્ધાવસ્થાને પામે છે
તેવી જ રીતે જીવનનો અંત આવ્યા પછી તેને બીજા શરીરની પ્રાપ્તિ થાય છે.
એથી બુદ્ધિમાન લોકો મોહિત થઈને શોક કરવા નથી બેસતા. (૧૩)


હે કૌન્તેય, ટાઢ-તાપ કે સુખ-દુઃખનો અનુભવ કરવાવાળા ઈન્દ્રિયના પદાર્થો તો 
ચલાયમાન અને અનિત્ય છે. તે કાયમ માટે રહેતા નથી. 
એથી હે ભારત, એને સહન કરતા શીખ. (૧૪)


જે ધીર પુરુષ એનાથી વ્યથિત નથી થતો તથા સુખ અને દુઃખ બંનેમાં સમ રહે છે
તે મોક્ષનો અધિકારી થાય છે. (૧૫)


અસત્ કદી અમર નથી રહેતું ,જ્યારે સતનો કદાપિ નાશ નથી થતો
તત્વદર્શીઓ એ આવો આનો નિર્ણય લીધેલો છે. (૧૬)


જે સર્વત્ર વ્યાપક છે તે તત્વ તો અવિનાશી છે, 
અને જે અવિનાશી હોય એનો નાશ કદાપિ થતો નથી. (૧૭)


આ દેહ તો ક્ષણભંગુર છે, વિનાશશીલ છે પરંતુ તેમાં રહેતો આત્મા અમર છે.
એનો ન તો અંત આવે છે, કે ન તેને કોઈ મારી શકે છે. એથી હે ભારત, તું યુદ્ધ કર. (૧૮)


જે આત્માને વિનાશશીલ સમજે છે તથા તેને મારવા ઈચ્છે છે,
તે નથી જાણતા કે આત્મા ન તો કદી જન્મે છે કે ન તો કદી મરે છે. (૧૯)


આત્મા તો અજન્મા, અવિનાશી અને અમર છે.
શરીરનો નાશ ભલે થાય પરંતુ આત્માનો નાશ કદાપિ થતો નથી. (૨૦)


હે પાર્થ, જે વ્યક્તિ આત્માને અવિનાશી, નિત્ય અને અજન્મા માને છે
તે કોઈનો નાશ કેવી રીતે કરી શકવાનો છે ? અને તે પોતે પણ કેવી રીતે મરી શકવાનો છે ? (૨૧)


જેવી રીતે કોઈ વ્યક્તિ જૂનાં વસ્ત્ર ત્યજીને નવા વસ્ત્રોને ધારણ કરે છે,
તેવી જ રીતે જીવાત્મા એક શરીરને છોડીને બીજા શરીરને પ્રાપ્ત કરે છે. (૨૨)


આત્માને ન તો શસ્ત્ર છેદી શકે છે, ન અગ્નિ બાળી શકે છે,
ન પાણી ભીંજવી શકે છે કે ન તો પવન સૂકવી શકે છે. (૨૩)


આત્મા તો અછેદ્ય, અદાહ્ય, અશોષ્ય અને પલળે નહીં તેવો છે.
આત્મા તો નિત્ય છે, સર્વવ્યાપી છે, અંતહીન છે, શાશ્વત છે. (૨૪)


આત્મા ન તો સ્થૂળ આંખે જોઈ શકાય છે કે ન તો બુદ્ધિ વડે સમજી શકાય છે. આત્મા અવિકારી છે,
હંમેશ માટે એક સરખો રહેનાર છે. એથી હે પાર્થ, તારે શોક કરવાની કોઈ આવશ્યકતા નથી.(૨૫)


હે મહાબાહો, જો તું આત્માને વારેવારે જન્મ લેનાર અથવા મૃત્યુ પામનાર માનતો હોય, 
તો પણ તારે માટે શોક કરવાનું કોઈ કારણ નથી (૨૬).


કારણ કે જેવી રીતે દરેક જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે તેવી રીતે દરેક મરનારનું ફરી જન્મવું પણ 
એટલું જ નિશ્ચિત છે. એ ક્રમમાં ફેરફાર કરવા માટે તું અસમર્થ છે. 
એટલે તારે એ વિચારી શોક કરવાની જરૂર નથી. (૨૭)


હે અર્જુન, દરેક જીવાત્મા જન્મ પહેલાં અને મૃત્યુ પછી દેખાતો નથી. 
આ તો વચ્ચેની અવસ્થામાં જ તું એને જોઈ શકે છે. તો પછી એને માટે તું કેમ શોક કરે છે ? (૨૮)


કોઈ આત્માને અચરજથી જુએ છે, કોઈ અચરજથી એના વિશે વર્ણન કરે છે, 
પરંતુ આત્મા વિશે સાંભળનાર અનેકોમાંથી કોઈક જ એને ખરેખર જાણી શકે છે. (૨૯)


હે ભારત, 
આત્મા નિત્ય છે, અવિનાશી છે, 
એથી તારે કોઈના મૃત્યુ પામવા પર શોક કરવાની જરૂરત નથી.(૩૦}


હે પાર્થ, તું તારા સ્વ-ધર્મ વિશે વિચાર. તું ક્ષત્રિય છે અને ન્યાય માટે લડાનાર 
આ યુદ્ધમાં ભાગ લેવાથી મોટું તારે માટે કોઈ કર્તવ્ય નથી. (૩૧)


હે અર્જુન, 
સ્વર્ગના દ્વાર સમું આવું યુદ્ધ લડવાનું સૌભાગ્ય કોઈ ભાગ્યવાન ક્ષત્રિયને જ મળે છે. (૩૨)


જો તું યુદ્ધ નહીં કરે તો 
તારા સ્વધર્મનું પાલન ન કરવાથી અપકીર્તિ અને પાપનો ભાગીદાર થશે. (૩૩)


લોકો તારી બદનામી કરશે, તારી (અકીર્તિની) વાતો કરતા થાકશે નહીં. 
તારા જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે અપયશ મૃત્યુ કરતાં પણ બદતર સાબિત થશે. (૩૪)


આજે તારા સામર્થ્યની પ્રસંશા કરવાવાળા મહારથી યોદ્ધાઓ તને યુદ્ધમાંથી ભાગી ગયેલો ગણશે 
અને એમની નજરમાંથી તું કાયમ માટે ઉતરી જઈશ.(૩૫)


તારા પ્રતિસ્પર્ધીઓ તારી નિંદા કરશે અને તને ન કહેવાના કટુ વચનો કહેશે.
એથી અધિક દુઃખદાયી બીજું શું હોઈ શકે  ? (૩૬)


હવે જરા વિચાર કર કે જો તું યુદ્ધ કરશે તો તારું શું જવાનું છે ? જો તું યુદ્ધ કરતાં મૃત્યુ પામીશ 
તો તને સ્વર્ગ મળશે અને જો જીવતો રહીશ (અને વિજય પ્રાપ્ત કરીશ) 
તો વિશાળ સામ્રાજ્યનો અધિકારી બનીશ.એથી હે કૌન્તેય, ઉઠ. (૩૭)


સુખ-દુઃખ, લાભ-હાનિ, જય-પરાજય બધાને સમાન ગણી યુદ્ધ માટે તત્પર બન.
એમ કરવાથી તું પાપનો ભાગી નહીં થાય. (૩૮)


મેં અત્યાર સુધી જે વાત કરી તે જ્ઞાનની દૃષ્ટિએ કરી. હવે કર્મની દૃષ્ટિએ પણ 
તને સમજાવું જેથી તારા કર્મોના ફળને લઈને તને 
જો કોઈ ભય હોય તો તેનાથી તું મુક્ત થઈ જાય. (૩૯)


કર્મયોગના હિસાબે કરેલું કોઈ પણ કર્મ વ્યર્થ નથી જતું.આ ધર્મ નું થોડું પણ આચરણ
મોટા ભય થી મનુષ્ય ને બચાવે છે. (૪૦)


જે કર્મયોગને અનુસરે છે એની બુદ્ધિ એક લક્ષ્ય પર સ્થિર રહે છે.
જ્યારે યોગથી વિહીન વ્યક્તિની બુદ્ધિ અનેક લક્ષ્યવાળી હોય છે (અર્થાત્ વિભાજીત હોય છે). (૪૧)


હે પાર્થ, એવા યોગહીન લોકો કેવળ વેદોના સંભાષણને (કર્મ-કાંડને) જ સર્વ કાંઈ માને છે,
(સ્વર્ગ અને સ્વર્ગ નાં સુખો ને જ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ માને છે 
અને બીજું કાંઇ ઉત્તમ નથી તેમ બોલે છે) 
તેઓ દુન્યવી ઈચ્છાઓમાં (વાસનાઓમાં) ફસાયેલ હોય છે.
એવા લોકો જન્મ-મરણના ચક્રમાં ફર્યા કરે છે.
ભોગ ઐશ્વર્યની ઈચ્છાથી જુદી જુદી જાતના કર્મોમાં પ્રવૃત્ત થયેલ એવા લોકોની 
બુદ્ધિનું હરણ થયેલું હોય છે. એથી તેઓ કર્મયોગમાં કુશળતા પામીને 
પ્રભુની (સમાધિદશાની) પ્રાપ્તિ કરી શકતા નથી. (૪૨-૪૩-૪૪)


વેદમાં ત્રણ ગુણોનું વર્ણન કરેલું છે. 
હે અર્જુન, 
તારે એ ત્રણે ગુણોથી પર - ગુણાતીત થઈ બધા જ દ્વંદ્વોથી મુક્તિ મેળવવાની છે. 
એથી તું (લડવાથી થતી) લાભ-હાનિની ચિંતા છોડ અને આત્મસ્થિત થા.(૪૫)


જેવી રીતે સરોવરનું પાણી મળી જાય તેને કુવાના પાણીની જરૂરિયાત રહેતી નથી 
તેવી જ રીતે જેણે બ્રહ્મનું જ્ઞાન મેળવી લીધું હોય 
તેને પછી વેદનું અધ્યયન કરવાની જરૂરત રહેતી નથી. (૪૬)


(એક વાત બરાબર સમજી લે કે) 
તારો “અધિકાર” માત્ર કર્મ કરવાનો છે, એનું કેવું ફળ મળે તેના પર નથી. 
એથી ફળ મેળવવાની આશાથી કોઈ કર્મ ન કર. (ફળ પર માત્ર પ્રભુ નો અધિકાર છે)
જો તું ફળ મેળવવા માટે કર્મ કરીશ તો તને કર્મમાં આસક્તિ થશે. (૪૭)


એથી હે ધનંજય, કર્મની સફળતા કે નિષ્ફળતા -
બંનેમાં સમાન ચિત્ત રહીને તથા કર્મના ફળની આશાથી રહિત થઈને કર્મ કર.
આ રીતે કર્મ કરવાને (સમતા ને) જ યોગ કહેવામાં આવે છે. (૪૮)


આ રીતે (ફલેચ્છાથી રહિત અને સમત્વ બુદ્ધિથી) કરાયેલ કર્મો, 
ફલાશાથી કરાયેલ કર્મો કરતાં અતિ ઉત્તમ છે. (એથી સમબુદ્ધિ રાખી કર્મ કરવામાં જ સાર છે.) 
સમબુદ્ધિથી કર્મ કરવાવાળો વ્યક્તિ કર્મથી લેપાતો નથી (૪૯)


અને તે પાપ તથા પુણ્યથી પર થઈ જાય છે. એથી તું સમત્વના આ યોગમાં કુશળતા મેળવ.
(કર્મ માં કુશળતા એ જ યોગ છે) કર્મબંધનથી છૂટવાનો એ જ ઉપાય છે.(૫૦)


જે વ્યક્તિ સમબુદ્ધિથી સંપન્ન થઈને કર્મફળનો ત્યાગ કરે છે તે
જન્મ-મરણના ચક્રથી છૂટી જઈને પરમપદની પ્રાપ્તિ કરે છે. (૫૧)


જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી અંધકારથી ઉપર ઉઠશે
ત્યારે આ લોક અને પરલોકના બધા ભોગપદાર્થોથી તને વૈરાગ્ય પેદા થશે. (૫૨)


અત્યારે વિવિધ ઉપદેશ સુણવાથી તારી મતિ ભ્રમિત થઈ છે.
જ્યારે તે પરમાત્મામાં સ્થિર થઈ જશે 
ત્યારે તું પરમાત્માની સાથે સંયોગ (યોગ-સ્થિતિ) કરી શકશે.(૫૩)


અર્જુન કહે છે
હે કેશવ, જેમની બુદ્ધિ સમાધિમાં સ્થિર થઈ ચુકી છે એ પુરુષ કેવો હોય છે ? (એને કેવી રીતે ઓળખવો)
એના કેવા લક્ષણો હોય છે ? એ કેવી રીતે પોતાનો જીવનવ્યવહાર કરે છે ? (૫૪)


ભગવાન કહે છે
હે પાર્થ, જ્યારે વ્યક્તિ પોતાના મનમાં ઉઠતી બધી જ કામનાઓને ત્યાગી દે છે 
અને પોતાના આત્મામાં સ્થિતિ કરે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.(૫૫)


સ્થિતપ્રજ્ઞ પુરુષનું મન ન તો દુઃખમાં વિચલિત થાય છે કે ન તો સુખની સ્પૃહા (ઈચ્છા-તૃષ્ણા) કરે છે.
એનું મન રાગ, ભય અને ક્રોધથી મુક્ત થયેલું હોય છે. (૫૬)


સુખ કે દુઃખ - બંનેમાં તેની પ્રતિક્રિયા સમાન હોય છે. ગમતી-સારી વસ્તુ મળવાથી 
તે ન તો પ્રસન્ન (સુખી)  થાય છે કે-ન તો એના અભાવે (વસ્તુ ના મળે તો)  
વિષાદગ્રસ્ત (દુઃખી). તેની બુદ્ધિ સ્થિર થયેલી હોય છે. (૫૭)


જેવી રીતે કાચબો પોતાના અંગોને અંદરની તરફ સંકેલી લે છે 
તેવી રીતે તે પોતાની ઈન્દ્રિયોને વિષયોમાંથી કાઢી આત્મામાં સ્થિર કરે છે. 
ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. (૫૮)


જો વિષયોનો (ભોજન-વગેરેનો) ત્યાગ કેવળ બાહ્ય (બહાર નો ત્યાગ)  હોય તો એવા ત્યાગ કર્યા છતાં
અંદરથી તેનો ઉપભોગ કરવાની ઇચ્છા યથાવત રહે છે.
પરંતુ પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી એ પદાર્થોના ઉપભોગની ઇચ્છાનો પણ અંત આવે છે. (૫૯)


હે કૌન્તેય, ઇન્દ્રિયો એટલી ચંચળ છે કે-
સાવધાનીથી ઈન્દ્રિયોનો સંયમ કરી અભ્યાસ કરનાર વિદ્વાન મનુષ્ય ના મન ને પણ (પરાણે)
ઈન્દ્રિયો હરી લે છે અને બળાત્કારે વિષયો તરફ ખેંચે છે. (૬૦)


હે અર્જુન, એથી સાધકે પોતાની ઈન્દ્રિયોનો સંયમ કરી મારું (પરમાત્માનું) ધ્યાન કરવું જોઈએ.
એમ કરવાથી ઈન્દ્રિયો વશમાં રહેશે અને મારામાં (પ્રભુમાં) મન-બુદ્ધિને સ્થિર કરી શકશે. (૬૧)


વિષયોનું ચિંતન કરવાવાળા મનુષ્યનું મન એ પદાર્થોમાં આસક્ત થઈ જાય છે અને
એની જ કામના કર્યા કરે છે. (ભોગ-પદાર્થો ની ઈચ્છા-કામના થઇ ને કામ નો જન્મ થાય છે)
જ્યારે તે પદાર્થો નથી મળતા ત્યારે તે ક્રોધિત થઈ જાય છે. (કામના-કામ  માંથી ક્રોધ નો જન્મ) (૬૨)


ક્રોધ થવાથી એનું વિવેકભાન જતું રહે છે (ક્રોધ થી મૂર્ખતા નો જન્મ),
એને સારા-નરસાનું ભાન રહેતું નથી અને
એને સ્મૃતિભ્રમ થાય છે. (મૂર્ખતાથી સ્મૃતિનાશ થાય છે અને સ્મૃતિ નાશ થી  બુદ્ધિ-નાશ થાય છે)
એવો ભ્રમિત ચિત્તવાળો (મન-બુદ્ધિ વાળો) મનુષ્ય પોતાનો સર્વનાશ નોંતરે છે. (૬૩)


જ્યારે એથી ઉલટું, ઈન્દ્રિયોને રાગ અને દ્વેષથી મુક્ત કરી પોતાના વશમાં કરનાર મનુષ્યને
અંતઃકરણની પ્રસન્નતા અને શાંતિની પ્રાપ્તિ થાય છે. (૬૪)


એથી ન કેવળ એના બધા દુઃખોનો અંત આવે છે પરંતુ પ્રસન્નચિત થયેલા એવા પુરુષ ની બુદ્ધિ,
પરમાત્મામાં હંમેશ માટે સ્થિર બને છે.(૬૫)


જેની ઈન્દ્રિયો સંયમિત નથી એની બુદ્ધિ સ્થિર રહી શકતી નથી 
અને એમ થવાથી એનામાં શાંતિ પેદા થતી નથી. એવો વ્યક્તિ શાંત કેવી રીતે બની શકે ?
અને જે શાંત ન બને તેને વળી સુખ કેવી રીતે મળે ? (૬૬)


જેવી રીતે નૌકાને હવા ખેંચી જાય છે એવી રીતે ભટકતી ઈન્દ્રિયો તેના મનને ખેંચી જાય છે.
એની બુદ્ધિનું હરણ કરી લે છે. (૬૭)


એથી હે મહાબાહો, જેની ઈન્દ્રિયો વિષયોમાંથી નિગ્રહ પામી છે, એમની જ બુદ્ધિ સ્થિર રહે છે. (૬૮)


સંસારના ભોગોપભોગો માટે સામાન્ય મનુષ્યો પ્રવૃત્તિ કરતા દેખાય છે 
ત્યારે મુનિ એ માટે તદ્દન નિષ્ક્રિય રહે છે. 
(અર્થાત્ જે લોકો માટે દિવસ છે તે એને માટે રાત્રિ - નિષ્ક્રિય રહેવાનો સમય છે).
એવી જ રીતે જે લોકો માટે રાત્રિ છે તે મુનિ માટે દિવસ છે
(અર્થાત્ જેને માટે સામાન્ય મનુષ્યો પ્રયત્ન નથી કરતા તે
પરમાત્માની પ્રાપ્તિ માટે મુનિ પ્રયત્ન કરે છે).(૬૯)


જેવી રીતે સરિતાનું જળ સમુદ્રને અશાંત કર્યા સિવાય સમાઈ જાય છે
તેવી જ રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં ઉત્પન્ન થતી વૃત્તિઓ કોઈ વિકાર પેદા કર્યા વિના શાંત થઈ જાય છે.
(એને વૃત્તિઓ ચલિત નથી કરતી). એવો પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે.
નહીં કે સામાન્ય મનુષ્ય કે જે વૃતિઓ પાછળ ભાગતો ફરે છે.(૭૦)


એથી હે અર્જુન, બધી જ કામનાઓનો ત્યાગ કર. જે મનુષ્ય મમતા, અહંકાર અને 
બધી જ ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે તે પરમ શાંતિને પામી લે છે. 
હે અર્જુન, એવો મનુષ્ય બ્રહ્મમાં સ્થિતિ કરે છે. (૭૧)


એવી બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી એ સંસારના ભોગપદાર્થોથી કદી મોહિત નથી થતો 
અને અંત સમયે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરીને મુક્તિને પામે છે.(૭૨)


અધ્યાય -૨- સાંખ્ય યોગ- સમાપ્ત

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE