Jun 28, 2021

Gujarati-Ramayan-Rahasya-01-ગુજરાતી-રામાયણ-રહસ્ય-01 (રામાયણ માહાત્મ્ય)

ડોંગરેજી મહારાજની કથા પર આધારિત ભાવાર્થ રામાયણ 
રામાયણ એ મર્યાદા-સંહિતા છે.જેટલો રામજીની કથાનો,રામજીના દર્શનનો મહિમા છે,
તેના કરતાં પણ વધારે રામજીના “નામ"નો (રામ-નામનો) મહિમા છે.
જેટલા અયોધ્યાવાસીઓએ રામજીનાં દર્શન કર્યા તેમને રામે તાર્યા છે,રામ-ચરિત્રના અંતે રામજી તે સર્વેને સદેહે વૈકુંઠમાં લઇ ગયા છે,તે અયોધ્યા-વાસીઓથી પણ લાખો ઘણા વધારે ને “રામ-નામે" તાર્યા છે.એટલે સ્વયં રામજીના કરતાં પણ રામ-નામનો મહિમા વધારે છે.

રામાયણ પણ ભાગવતની જેમ સમાધિ-ભાષાનો ગ્રંથ છે.
રામાયણમાં શ્રી રામ હંમેશા ધનુષ્ય-બાણ સજ્જ રાખે છે.ધનુષ્ય-બાણ વગરના રામનાં દર્શન ક્યાંય થતાં નથી,ભલે તે વનમાં હોય કે રાજ્યાસન પર બિરાજેલા હોય.
ધનુષ્યને ઉપનિષદમાં પ્રણવની-એટલે કે-ॐકારની ઉપમા આપેલી છે.
ॐકારને ધનુષ્ય અને આત્માને બાણ કહ્યું છે.ॐકાર-રૂપી-ધનુષ્ય પર આત્મા-રૂપી બાણ ચડાવી,
પરમાત્મા-રૂપી લક્ષ્યને વીંધવાનું છે.(એટલે કે ॐકારની મદદથી આત્મા-પરમાત્માનું ઐક્ય કરવાનું છે)

બીજી રીતે કહીએ તો-ॐકાર (રામજીનું ધનુષ્ય) એ જ્ઞાન છે,અને બાણ વિવેકનું સ્વરૂપ છે.
જ્ઞાન-રૂપી ધનુષ્ય ઉપર મનુષ્ય જો વિવેક-રૂપી બાણ ચડાવે તો ધાર્યું લક્ષ્ય સિદ્ધ કરી શકે.(લક્ષ્ય પામી શકે)

જેમ,ભક્તોના રક્ષણ માટે,ઋષિ-મુનિઓના યજ્ઞના રક્ષણ માટે,રાજ-ધર્મની મર્યાદા માટે,
રાક્ષસો સામે લડીને તેમનો સંહાર કરવા માટે જેમ રામજીએ ધનુષ્ય-બાણ સજ્જ રાખ્યા હતાં,
તેમ,આપણે પણ કામ,ક્રોધ,મોહ,મદ,મત્સર-વગેરે રાક્ષસો સામે લડવાનું છે.
વાસના-રૂપી તાડકા,મારીચ અને શૂર્પણખા સામે લડવાનું છે.

કઈ ઘડીએ અને કઈ બાજુથી આ કામ-ક્રોધ-રૂપી-રાક્ષસ -રાક્ષસીઓ આપણા પર હુમલો કરશે ?
એની આપણને ખબર નથી,એટલે જ રામજીની જેમ,ચોવીસ કલાક-બારે મહિના -આપણા ધનુષ્ય બાણ 
(જ્ઞાન-ને વિવેકને) સજ્જ રાખવાનાં છે.જે ક્ષણે-ક્ષણે સાવધાન રહે છે,તેમની આગળ રાક્ષસોનું કંઇ ચાલતું નથી,
આવો મર્યાદા-પુરુષોત્તમ રામજીનો તેમની પોતાની જીવન-લીલામાંથી બોધ છે.

જેમ,ભાગવતમાં શ્રીકૃષ્ણ એ પરમાત્માનું નામ-સ્વ-રૂપ છે,અને ભાગવતમાં પરમાત્માએ પોતાનું તેજ મુક્યું છે,
તેમ,રામાયણમાં શ્રીરામ એ પરમાત્માનું નામ-સ્વ-રૂપ છે.અને રામાયણમાં પરમાત્માએ પોતાનું તેજ મુક્યું છે.
પરમાત્માના નામમાં અપાર શક્તિ છે.પરમાત્મામાં જે શક્તિ છે તે પરમાત્માના નામમાં છે.
પરમાત્મા દુર્લભ છે,પણ પરમાત્માનું નામ અતિ સુલભ છે.

શ્રીરામ સાક્ષાત પરમાત્મા છે,એ સગુણ છે અને નિર્ગુણ પણ છે.સાકાર છે અને નિરાકાર પણ છે.
કેટલાક કહે છે કે-પરમાત્મા તો નિર્ગુણ-નિરાકાર છે.તે સત્ય છે,
છતાં,તે-પરમાત્મા તો સર્વજ્ઞ,સર્વત્ર,અને સર્વ-શક્તિમાન પણ છે-તે પણ તેટલું જ સત્ય છે..
એટલે,પરમાત્મા સગુણ-સાકાર ના થઇ શકે એવો પરમાત્માની શક્તિ પર અંકુશ કેમ મૂકી શકાય?

લોકો પરમાત્મા સાથે પ્રેમ કરે એટલા માટે પ્રભુએ સાકાર (દેવ-અવતાર) સ્વ-રૂપ ધારણ કર્યું છે.
યોગીઓ સમાધિમાં જે -નિરાકાર સ્વરૂપના આનંદનો જેવો-અનુભવ કરે છે,
તેવો જ આનંદ ભક્તો પ્રભુના સાકાર સ્વરૂપના ધ્યાન-દર્શનમાં કરે છે.
ભક્તો માટે જ આનંદ-સ્વ-રૂપ પરમાત્મા આકાર ધારણ કરે છે.આ આનંદ જ શ્રીરામ રૂપે પ્રગટ થાય છે.

જો,પૃથ્વી પરનો કોઈ એક મામૂલી રાજા ખુશ થઇ જાય તો,રાજ-મહેલમાંથી બહાર દોડી આવી દર્શન આપે છે,
તો પ્રભુ તો સર્વ શક્તિમાન છે.તે કેમ સાકાર બનીને  દર્શન આપી ના શકે?
જો કે -ભલે,નિરાકાર (બ્રહ્મ) આકાર ધારણ કરે છે,તો પણ તેનું આત્મ-સ્વ-રૂપ તો તેનું તે (નિરાકાર) જ રહે છે.

START-RAMAYAN-            INDEX PAGE            NEXT PAGE