Aug 5, 2021

Gujarati-Ramayan-Rahasya-34-ગુજરાતી-રામાયણ-રહસ્ય-34

ડોસાને વૃદ્ધાવસ્થામાં ખાવાનું પચતું નથી,છતાં તેને ઘડી ઘડી ખાવાનું મન થયા કરે છે.લૂલી બહુ પજવે છે.ભગવાનનું નામ મુખે આવતું નથી.અને પાછો કહે છે ”હવે ભગવાન ઉપાડી લે તો સારું” પણ એમ ને એમ ભગવાન તેને ઉપાડવા ક્યાંથી આવે ? જ્યાં સુધી બાજી આપણા હાથમાં છે ત્યાં સુધી પ્રભુને રાજી કરવામાં આવે તો બેડો પાર છે.મરણપથારીએ પડ્યા પછી જેના માટે પૈસાનું પાણી કર્યું હશે તે લોકો જ “ડોસો જલદી મરે તો સારું” એવી ઈચ્છા રાખે છે.પુત્ર-પુત્રી પણ મને કંઈ મળશે એ ઈચ્છાથી થોડી સેવા કરે છે.બધાં સ્વાર્થના સગાં આસપાસ ભેગાં થાય છે.

ભાગવતમાં સગાંઓને શિયાળ-કૂતરાં જેવાં કહયાં છે.છેવટે ડોસો એકલો એકલો રડતો રડતો જાય છે.
તે જાણે છે કે હું જઈશ ત્યારે કોઈ સાથે આવશે નહિ,છતાં વિવેક રહેતો નથી.
મરતી વખતે ખૂબ તરફડે છે.અંતકાળમાં બે યમદૂતો આવે છે.એક પાપ-પુરુષ અને બીજો પુણ્ય-પુરુષ.
પુણ્ય-પુરુષ પૂછે છે કે તને પુણ્ય કરવાની તક આપી પણ તેં પુણ્ય કેમ કર્યું નહિ?
જીવ ગભરાય છે.યમદૂતોનું જોર મરનારની પગથી આંખ સુધી ચાલે છે.પણ બ્રહ્મ-રંઘ્રમાં જેણે પ્રાણ સ્થિર કરેલા છે તેને યમદૂતો કંઈ કરી શકતા નથી.તેના પર યમદૂતોની સત્તા ચાલતી નથી.

આ સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર છે.અને સૂક્ષ્મ શરીરની અંદર કારણ શરીર છે.
સૂક્ષ્મ શરીરની અંદર રહેલી વાસનાઓ તે કારણ શરીર છે,યમદૂતો આ સૂક્ષ્મ શરીરને યમપુરીમાં લઇ જાય છે.
ત્યાં ચિત્રગુપ્ત પાપ અને પુણ્યનો હિસાબ તે જીવાત્માને યમ-દરબારમાં સંભળાવે છે.
ચૌદ સાક્ષીઓ (પૃથ્વી-સૂર્ય વગેરે) સાક્ષી આપે છે.જીવાત્માને પોતાના પાપ કબૂલ કરવાં પડે છે.

પાપ પ્રમાણે સજા થાય છે.અતિ પાપીને નરકની,પાપ અને પુણ્ય સરખા હોય તો ચંદ્રલોકની,અને
પુણ્યશાળી ને સ્વર્ગની. પુણ્ય ભોગવી ને તે ખૂટી જાય એટલે ફરી પાછો મનુષ્યલોકમાં જન્મ થાય છે.
અને આ રીતે જન્મ મરણનું ચક્ર ચાલ્યે જ જાય છે.

ભગવાનના ધામ વૈકુંઠ ના જય અને વિજય નામના બે દ્વારપાળ (પાર્ષદો) છે.
એકવાર ચાર સનત્કુમારો (શૌનક,સનંદન,સનાતન,સનત્કુમાર) કે જે બ્રહ્માના માનસપુત્રો છે 

તે બ્રહ્માની આજ્ઞાથી ભગવાનના દર્શન કરવા વૈકુંઠમાં ગયા.

બ્રહ્માના માનસ પુત્રો જેમ ચાર છે તેમ અંતઃ કરણના પ્રકાર પણ ચાર છે. મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર.
અંતઃકરણ જયારે
--સંકલ્પ-વિકલ્પ કરે ત્યારે તે મન કહેવાય છે.
--કોઈ વિષયનો નિર્ણય કરે ત્યારે તેને બુદ્ધિ કહેવાય છે
--પ્રભુનું ચિંતન કરે ત્યારે તેને ચિત્ત કહેવાય છે.
--ક્રિયાનું અભિમાન જાગે ત્યારે અહંકાર કહેવાય છે.

આ ચારેય ને શુદ્ધ કર્યા વગર પરમાત્માના દર્શન થતા નથી.
સનત્કુમારો બ્રહ્મચર્યનો અવતાર છે,બ્રહ્મચર્ય જયારે સિદ્ધ થાય ત્યારે બ્રહ્મનિષ્ઠા સિદ્ધ થાય છે.
સનત્કુમારો મહાજ્ઞાની હોવા છતાં બાળક જેવા બની દૈન્ય ભાવે રહે છે.

આવા આ સનત્કુમારો ભગવાનના દર્શન કરવા છ દરવાજા વટાવીને સાતમે દરવાજે આવે છે ત્યારે
ભગવાન ના પાર્ષદો જય-વિજય તેમને અટકાવે છે. કહે છે-“રજા વગર અંદર નહિ જવા દઈએ”
સનત્કુમારો એ કહ્યું કે -અમે ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ.

જયવિજયમાં તે વખતે જરા અહંકાર આવી ગયો,કહે કે-અમે પણ ભગવાન જેવા જ છીએ અમારાં દર્શન 
કરી લો.સનત્કુમારોને ભગવાનના દર્શન કરવા જતાં આવી અણધારી રુકાવટથી ક્રોધ ચડ્યો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE