Sep 16, 2021

Gujarati-Ramayan-Rahasya-75-ગુજરાતી-રામાયણ-રહસ્ય-75

વશિષ્ઠના ગયા બાદ શ્રીરામ સીતાજીને આ રાજ્યાભિષેકની વાત કહેવા ચાલ્યા,સીતાજી તે વખતે માતા કૌશલ્યાના ભવનમાં ગયા હતા.શ્રીરામ પણ કૌશલ્યના ભવનમાં આવ્યા.
માતાજી તે વખતે દેવમંદિરમાં હતા અને પ્રભુના ધ્યાનમાં લીન હતાં.
સુમિત્રા માતા,સીતાજી અને લક્ષ્મણ માતાજીની સેવામાં ઉભા હતા.રામચંદ્રે દેવમંદિરમાં પ્રવેશ કરી માતાજીને પ્રણામ કર્યા.કૌશલ્યાજી હજુ પ્રાર્થના કરી રહ્યા હતાં.“પ્રભુ મારા પુત્ર રામને રાજ્યશ્રી પ્રાપ્ત થાઓ.” તેમના મુખમાંથી નીકળેલા શબ્દો સહુને સંભળાયા.

માતાજીએ આંખો ખોલી અને જોડે રામજીને ઉભેલા જોઈ પોતાની નજીક બોલાવ્યા.
રામજીએ કહ્યું કે-માતાજી,આવતીકાલે પિતાજી મારો રાજ્યાભિષેક કરવાના છે,ને ગુરુજીએ મને અને સીતાને દર્ભની સાદડી પર સુવાનું ને ઉપવાસ કરવાનું કહ્યું છે.આ સાંભળતાં જ કૌશલ્યાના આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં.પછી રામચંદ્રજીએ લક્ષ્મણની સામે જોઈ કહ્યું કે-હે,લક્ષ્મણ પિતાજી મને ગાદીએ બેસાડે છે,એટલે તું એવું ના સમજતો કે હું રાજા ને તું કાંઇ નહિ.આ રાજ્યશ્રી તને પ્રાપ્ત થઇ છે તેમ સમજજે.તું મને અત્યંત પ્રિય છે,મારા પ્રાણ અને આ રાજ્ય હું તારા માટે જ ઈચ્છું છું,તું તો મારો બીજો અંતરાત્મા છે.
લક્ષ્મણને આમ કહી,બંને માતાઓ ને પ્રણામ કર્યા.

હવે સાંજ પાડવા આવી હતી,એટલે રામચંદ્રજી અને સીતાએ સ્નાન કરી સંધ્યા કરી,હોમકુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરી હુત દ્રવ્યની આહુતિ આપી અને રાત્રે દર્ભની સાદડી પર શયન કર્યું.
રાજ્યાભિષેકના ખબર શહેરના ખૂણે ખૂણે ફરી વળ્યા હતા.લોકોના આનંદનો કોઈ પાર નહોતો.
કૌશલ્યાજી પણ આનંદમય બનીને દેવગૃહની બહાર આવતાં જ “વધાઈ-વધાઈ” ની બૂમો પાડતી
દાસી સામે મળી.કૌશલ્યા એ તરત જ પોતાના ગળામાંથી મોતીનો હાર કાઢીને એને આપ્યો.

મહાત્માઓ કહે છે કે-કોઈ સર્વ રીતે સુખી થાય તે કાળને ગમતું નથી,દશરથરાજાના સુખને પણ કાળની નજર લાગી.દેવો કહે-રામચંદ્ર રાજા થશે તો પછી રાવણને કોણ મારશે? રાક્ષસોના ત્રાસને કોણ નિવારશે? માટે રાજ્યાભિષેકમાં વિઘ્ન આવે તેવું કંઈક કરવું જોઈએ.તેમણે વિઘ્નની દેવી વિઘ્નેશ્વરીને પ્રાર્થના કરી.
દેવોએ કહ્યું કે-મા, રામજીના રાજ્યાભિષેકમાં વિઘ્ન કરો.અને વિઘ્નેશ્વરી દેવી ચમક્યાં.
તે કહે છે કે-રામના રાજ્યાભિષેકમાં? રામ તો મારા માલિક છે.

દેવોએ કહ્યું કે-રામ અમારા યે માલિક છે,વિઘ્ન પણ તેમની ઈચ્છાથી જ કરવાનું છે,એથી રામજીને કંઈ સુખ-દુઃખ થવાનું નથી.તેઓ તો આનંદ-સ્વ-રૂપ છે.દશરથજીને દુઃખ થશે,પણ તેમને સદગતિ મળવાની છે.દેવોના હિત માટે તમારે આ કામ કરવાનું છે.તો યે વિઘ્નેશ્વરીનું મન માનતું નથી,અંતે તે તૈયાર થયા.અને “ભલે,જાઉં” કહીને ઉપડ્યાં

પણ જવું ક્યાં?ઝાડ કાપવા કુહાડી જોઈએ પણ હાથા વગરની કુહાડી ના ચાલે,હાથો તો જોઈ એ જ.
વિઘ્નેશ્વરીએ વિઘ્ન ઉભું કરવા એવો હાથો શોધવા માંડ્યો.શોધતાં શોધતાં તેમની નજર કૈકેયીની દાસી મંથરા પર પડી.મંથરા કૈકેયીની વહાલી દાસી હતી,ને પિયરથી તે પોતાની સાથે તે લાવેલી.કૈકેયી તેનું ખૂબ માન રાખતી.વિઘ્નેશ્વરી દેવીએ મંથરાને હાથો બનાવવાનું નક્કી કર્યું.

મંથરા કૈકેયીના મહેલની અગાસી પર લટાર મારવા નીકળી છે,અને તેણે જોયું તો નગર શણગારાતું હતું,
ત્યાં તેને સામેના કૌશલ્યાના મહેલની અગાસી પર તેમની દાસીને જોઈ,એટલે તેને શહેર કેમ શણગારાય છે? તેનું કારણ પૂછ્યું. આ પ્રશ્ન સાંભળી કૌશલ્યાની દાસી હસી પડી અને કહે છે કે-તને ખબર નથી?કાલે રામચંદ્રજીનો રાજ્યાભિષેક થવાનો છે,દેખ મને કૌશલ્યા માએ મોતીની માળા વધાઈમાં આપી.આમ કહી “તને કંઈ નહિ” કહી એણે ડીંગો દેખાડ્યો.કૌશલ્યાની આ દાસીએ મંથરાના મનમાં સુતી પડેલી ઈર્ષ્યાની આગને પ્રજ્વલિત કરી મૂકી.અને એ નાનકડી ચિનગારી આખા ગામને બાળી મુકવા તૈયાર થઇ ગઈ.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE