Oct 19, 2021

Gujarati-Ramayan-Rahasya-106-ગુજરાતી-રામાયણ-રહસ્ય-106

રામજીને વિચારમાં પડેલા જોઈને લક્ષ્મણના મનમાં કુભાવ આવ્યો,તે બોલી ઉઠયાકે-
હું સમજુ છું કે ભરત લશ્કર લઈને કેમ આવે છે !!તમે ભલા-ભોળા ને સરળ છો,એટલે 
તમે બધાને પણ તમારા જેવા ભલા,ભોળા ને સરળ સમજો છો.પણ ભરત એ તમારા
 જેવો નથી,ગાદી મળી એટલે તે ધર્મની મર્યાદા ભૂલી ગયો છે,તેણે સત્તાનો મદ ચડ્યો છે,
એ તમને શત્રુ સમજે છે ને શત્રુનો સમૂળગો નાશ કરવા અહીં લશ્કર લઈને આવે છે.
પણ,આજ લાગી તેની (ભરતની) છેડછાડ સહન કરી પણ હવે તે હું સહેવાનો નથી.
હું રામજીનો સેવક છું ને ધનુષ્ય મારા હાથમાં છે.હાથી ઝાડને તોડી નાખે તેમ હું એનો
 નાશ કરીશ.કૈકેયી પરનો ક્રોધ આજ લગી મેં દબાવી રાખ્યો છે,પણ આજે એ ક્રોધાગ્નિને છૂટો મુકીશ,
ભલેને આજે વન લોહીથી રંગાઈ જાય.

બોલતાં બોલતાં લક્ષ્મણજી જુસ્સામાં આવી ગયા,એમણે જટા બાંધી,કમરે ભાથો બાંધ્યો,ધનુષ્ય સજ્જ કર્યું,
ને હાથમાં બાણ લીધું.ત્યારે રામજી એ લક્ષ્મણને હાથ પકડી નીચે બેસાડ્યા.ને ટાઢા પાડતાં કહ્યું કે-
લક્ષ્મણ,વિદ્વાનો કહે છે કે-કોઈ પણ કામ પુરો વિચાર કર્યા વિના ઉતાવળે કરવું જોઈએ નહિ,નહિતર પાછળથી
 પસ્તાવાનો વારો આવે છે.કોઈના પણ વિષે ઘસાતું માની લેવું એ નીતિ નથી.તારી વાત સાચી છે કે-રાજમદ
 ભલભલાને અંધ બનાવી દે છે,પણ,લક્ષ્મણ, હું ખાતરીથી કહું છું કે-ભરતને મદોન્મત બનાવવાની રાજમદમાં
 તાકાત નથી.અરે,ભરતને બ્રહ્મલોકનું રાજ્ય મળે તો પણ એને મદ થાય તેમ નથી.

ભરત પર મને એટલો વિશ્વાસ છે કે-કદાચ,અંધારું સૂરજને ગળી જાય,કદાચ,વાદળાં આકાશને ભરખી ખાય,
અને કદાચ,મચ્છરની ફૂંકે મેરુ (પર્વત) ઉડી જાય પણ ભરતને કદી રાજમદ થાય જ નહિ.
લક્ષ્મણ,હું તારા અને પિતાજીના સોગંધ ખાઈને કહું છું કે-ભરત જેવો ભાઈ થયો નથી અને થશે નહિ.
“લખન તુમ્હાર સપથ પિતુ આના,સુચિસુબંધુ નહિ ભરત સમાના.”

આ બાજુ ભરતજી ભૂખ,થાક ને ચિંતાથી કૃષ્ થઇ ગયા છે,પણ રામના સ્મરણથી તેમનામાં બળ આવે છે,
જાણે રામથી તે ખેંચાતા જાય છે. વશિષ્ઠજીની રાજા લઇ તે સંઘ ને પાછળ રાખી આગળ થયા છે.
પણ હજુ ચાલતાં ચાલતાં વિચાર કરે છે કે-મારું કાળું મોં હું રામજીને કેવી રીતે બતાવીશ?રામજી મને જોઈને 
મોં ફેરવી લેશે તો? પણ તરત જ એનું દિલ કહે છે કે-રામજી એવું કદી કરે જ નહિ.એમને મારા પર અપાર 
પ્રેમ છે.તેઓ મને જરૂર અપનાવશે.

પણ પાછું સંકલ્પ-વિકલ્પ કરનારું મન કહે છે કે-પણ ભાભી રામજીને મના કરશે તો? અને તરતજ પાછું 
તે જ મન કહે છે કે-ના,ના,ભાભી એવું કદી કરે જ નહિ,સીતાજીના હૃદયમાં રામજી બિરાજ્યા છે.
બસ આમ વિચારો કરતાં ને “રામ રામ સીતારામ” બોલતાં ભરતજી આગળ વધે છે.
ભરતજીનો રામજી પ્રત્યેનો અનન્ય પ્રેમ જોઈ પશુ-પંખી,અરે,જડ એવાં વૃક્ષ-વેલ પણ પ્રેમ-નિમગ્ન બની 
જાય છે.સાથે ચાલતા નિષાદરાજ પણ ભરતની આ ભાવ-વિભોર દશા જોઈ તનનું ભાન ભૂલી ગયા છે.

દૂર વૃક્ષઘટા દેખાઈ,નિષાદરાજ કહેવા લાગ્યો,પેલું ઝાડોનું ઝુંડ દેખાય છે?પેલો વડલો દેખાય છે?
ત્યાં રામજીની જે પર્ણકુટી દેખાય છે તે મેં રામજી માટે ઉભી કરી આપી હતી.પર્ણકુટી આગળ તુલસીની 
વાડી છે,તેમાં કેટલાક છોડ સીતાજી એ અને કેટલાક લક્ષ્મણજીએ રોપ્યા છે.ને પેલા વડની છાયામાં 
સીતાજીએ સુંદર વેદિકા બનાવી છે.

પ્રભુની સેવા કરવાનો ભક્તને કેટલો આનંદ છે! નિષાદરાજની સેવાની વાત સાંભળીને 
ભરતજી પણ હર્ષથી ઘેલા બની જાય છે ને નિષાદરાજને ભેટી પડે છે-કહે છે-તું મહા ભાગ્યશાળી છે.
ભરત-શત્રુઘ્ન નિષાદરાજની પ્રેમથી ભરપૂર વાણી સાંભળે છે ને તેમના આંખોમાં આંસુ આવે છે,
નિષાદરાજ પણ ભાવમાં ડૂબ્યા છે,ને પગદંડી ભૂલી ને બીજે રસ્તે ચડી જાય છે.
પ્રભુના પ્રેમમાં આમ,ચેતન જડ બની જાય છે ત્યારે જડ (પગદંડી) જાણે ચેતન બની જાય છે 
ને કહે છે કે-અહીં નહિ-અહીં નહિ. અને નિષાદરાજ પાછા ખરા રસ્તા પર આવી જાય છે.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE