Dec 7, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૭

પૂર્વજન્મમાં શબરી એક રાજાની રાણી હતી,વ્યવહારમાં રાજ-રાણીનું સુખ મોટું ગણાય છે,પણ શબરીને રાજ-રાણીના એ સુખમાં દુઃખ દેખાતું હતું,કારણકે તેને સાધુ-સંતોની તનથી સેવા કરવી હતી.જો કે એક રાણી તરીકે તે સેવા તે ધનથી કરી શકતી હતી,પણ તેમ તેને સંતોષ નહોતો.તેને તો તનથી સંતોની સેવા કરવી હતી તે એક રાજરાણી તરીકે કરી શકતી નહોતી.એકવાર તે પ્રયાગમાં યાત્રાએ ગઈ,ત્યાં તેને અનેક સંતોનાં દર્શન થયાં,ત્યાં પણ એક રાજરાણી તરીકે તેમની સેવા ના કરી શકી એટલે એને એટલું દુઃખ થયું કે-“હે,પ્રભુ આવતા જન્મે મને સંત-સેવા કરવાની તક આપજે” કહી એને ગંગાજીમાં પડી દેહ છોડ્યો.

બીજા જન્મે શબરી એક ભીલ-કન્યા તરીકે જન્મી.શબરી ઉંમર-લાયક થતાં,એના પિતાએ તેનાં લગ્ન નક્કી કર્યા.લગ્ન-પ્રસંગે મિજબાની કરવા પિતાએ બકરાં ભેગાં કર્યા.શબરીએ આ જોયું અને વિચાર્યું કે-
શું પોતાના લગ્ન નિમિત્તે આટલાં બધાં પ્રાણીઓની હિંસા થશે? શબરીનો આત્મા કકળી ઉઠયો.અને તેણે નક્કી કરી નાખ્યું કે-મારે લગ્ન કરવું જ નથી.અને રાતે તે છાનીમાની ઘરમાંથી ભાગી છૂટી અને પંપાસરોવર પાસે આવી.

ત્યાં અનેક ઋષિ-મુનિઓના આશ્રમો હતા,અને છુપાઈને ઋષિ-મુનિઓના ક્રિયા-કર્મો જોયા કરે,તેને 
ઋષિ-મુનિઓની સેવા કરવાનું મન થયું,પણ પોતે ભીલ જાતિની હોવાથી પોતાની સેવાનો ઋષિ-મુનિઓ સ્વીકાર કરશે કે નહિ તે વાતની તેને ચિંતા હતી,છેવટે તે વનમાંથી અનેક પ્રકારનાં ફળફૂલ વીણી લાવી,અને આશ્રમ આગળ અંધારામાં જ મૂકી આવે અને પોતે ઝાડ ઉપર છુપાઈ રહેતી.સત્કર્મ કેવી રીતે કરવું તે શબરી આપણને બતાવે છે.સત્કર્મની જાહેરાત ના થાય.સત્કર્મની જાહેરાતથીસત્કર્મના પુણ્યનો ક્ષય થાય છે.
સત્કર્મ અને સેવા માત્ર બતાવવા માટે કરવાનાં નથી.પણ પ્રભુને રાજી કરવા માટે કરવાનાં છે.

પંપા સરોવરના કિનારે મતંગ ઋષિનો આશ્રમ હતો.મતંગ ઋષિ કેટલીક બાબતોમાં સ્વતંત્ર વિચારો ધરાવનાર હતા,તેથી બીજા ઋષિ-મુનિઓ તેમનાથી અતડા રહેતા.
મતંગ ઋષિએ જોયું કે કોઈ,રોજ ફળ-ફુલની સેવા ધરી જાય છે,તે કોણ હશે તે જાણવાની તેમને ઈચ્છા થઇ.
આખી રાત જાગી ને તેમણે જોયું તો શબરીને ફળ-ફૂલ મૂકવા આવતી જોઈ અને ઋષિઓના જવા-આવવાના રસ્તા પર બુહારી કરતી જોઈ.મતંગ ઋષિએ તેની પાસે જઈ ને કહ્યું કે-દીકરી, તું કોણ છે?

શબરીએ બીતાંબીતાં કહ્યું કે –હું કિરાતની કન્યા છું,મારો અપરાધ ક્ષમા કરો.
મતંગઋષિ જ્ઞાની હતા,તેઓ સમજી ગયા કે –આ કોઈ લાયક જીવ છે.તેમણે શબરીને કહ્યું કે-
બેટા,ગભરાઇશ નહિ,સેવા કરવાથી કદી અપરાધ થતો નથી,આજથી તું મારા આશ્રમમાં રહેજે,
હું તને મારી દીકરી કરીને સ્થાપું છું.આમ,મતંગઋષિએ શબરીને પોતાની પુત્રી માનીને પોતાના આશ્રમમાં રાખી.બીજા ઋષિઓને આ ગમ્યું નહિ,તેમણે વિરોધ કર્યો કે-હીન જાતિની છોકરીને આશ્રમમાં રખાય જ કેમ?
ત્યારે મતંગઋષિ એ કહ્યું કે-શબરી ભલે જ્ઞાતિહીન રહી પણ એ કર્મહીન નથી.એની સેવા ઉચ્ચ છે.

મતંગઋષિએ શબરીને રામ-મંત્ર આપ્યો.ને રોજ રામકથા સંભળાવવા માંડી.
શબરી આશ્રમમાં રહી સંતોની સેવા કરે ને આશ્રમ ને વાળીઝૂડી સાફ કરે.એક વાર એક ઋષિને શબરીનું 
ઝાડું અડી ગયું,ઋષિએ શબરીનું અપમાન કર્યું,અને શબરી રડી પડી.
પણ ઋષિના કરેલા અપમાન પછી એક આશ્ચર્ય થયું,અને પંપાસરોવરનું જળ બગડી ગયું.
તેમ છતાં ઋષિને તેમાં પોતાનો દોષ દેખાયો નહિ,અને એમણે એમ જ માન્યું કે-
શબરી જેવી અછૂત કન્યાના પાપે જ પંપાસરોવરનું જળ બગડી ગયું છે.

તે પછી જયારે મતંગઋષિએ બ્રહ્મલીન થવાની તૈયારી કરી,ત્યારે શબરી રડી પડી.તેણે કહ્યું-તમે જશો પછી મને પ્રભુ-દર્શનનો રસ્તો કોણ બતાવશે? ત્યારે મતંગઋષિએ કહ્યું કે-ચિંતા ના કર,પ્રભુનાં સાક્ષાત દર્શન તને થશે,
તું રામ-મંત્ર નો જપ કર્યા કરજે અને શ્રદ્ધાપૂર્વક અહીં જ રહેજે.તારે ઘેર શ્રીરામ જરૂર પધારશે,ક્યારે પધારશે 
તે હું કહી શકતો નથી પણ પધારશે એ નક્કી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE