Nov 13, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૬

લક્ષ્મણજી, શ્રીરામને પૂછે છે કે-જ્ઞાન શું ને વૈરાગ્ય શું?માયા શું અને બ્રહ્મ શું?ઈશ્વર શું અને જીવ શું? શું કરવાથી આપનાં ચરણમાં પ્રીતિ થાય અને શોક-મોહ હટે ? 
શ્રીરામચન્દ્રજી એ લક્ષ્મણજીના પ્રશ્નોના જવાબમાં જે ઉપદેશ કર્યો,તેણે સંતો “રામ-ગીતા” પણ કહે છે.શ્રીરામે બહુ જ થોડા શબ્દોમાં ગૂઢ વાત કહી નાંખી છે.

રામ-ગીતા
શ્રી રામ કહે છે કે-હું અને મારું,તું અને તારું-આ જ “માયા” છે.અને આ માયાએ સર્વ જીવોને વશ કર્યા છે.
ઇન્દ્રિયોના વિષયો એ માયા છે. જ્યાં સુધી મનની ગતિ છે ત્યાં સુધી માયા છે.
માયાની બે શક્તિ છે,એક વિદ્યા (જ્ઞાન) અને બીજી અવિદ્યા (અજ્ઞાન)
અવિદ્યાને વશ થઇને જીવ સંસારના કૂવામાં પડ્યો છે.
વિદ્યાને વશ ત્રણ ગુણો (સાત્વિક-રાજસિક-તામસિક) છે, તે જગત રચે છે ને પ્રભુ-પ્રેરિત છે.

અમાનીપણું,અદંભીપણું,અહિંસા,ક્ષમા,સરળતા,આચાર્યોપાસના,શૌચ,સ્થિરતા,મનનો સંયમ,ઇન્દ્રિયોના વિષયો તરફ વૈરાગ્ય,નિરહંકારીપણું,જન્મ-મરણ-ઘડપણ અને રોગોમાં દુઃખ અને દોષનું દર્શન,અનાસક્તિ,
સ્ત્રી-પુત્ર-ઘર પ્રત્યે મમતાનો અભાવ,ઇષ્ટ-અનિષ્ટમાં ચિત્તની સમતા,પ્રભુ વિષે અનન્ય ભક્તિ,એકાંત પ્રદેશનું સેવન,જન-સમૂહ પ્રત્યે અનાકર્ષણ,અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિતિ,અને તત્વજ્ઞાનના અર્થનો અનુભવ
આ અઢાર ગુણ ને જ્ઞાન (વિદ્યા) કહે છે.(જે પ્રભુ-પ્રેરિત છે)
અને આ અઢાર ગુણમાંથી એકે ગુણ જેંમાં નથી તેણે અજ્ઞાન (અવિદ્યા-કે માયા)કહે છે.

જે આ (જ્ઞાની) ગુણવાળો છે,અને જે સર્વમાં સમાન-રૂપે બ્રહ્મને જુએ છે,તે વૈરાગ્યવાન (જ્ઞાની) મનુષ્ય.
કે જે છેવટે સર્વ સિદ્ધિઓને અને ત્રણે ગુણોને તૃણવત સમજીને ત્યજી દે છે.
જે “માયા” ને,”ઈશ્વર” ને અને “પોતાના” સ્વ-રૂપ ને જાણતો નથી,તે “જીવ” છે.
જે માયાનો પ્રેરક,સર્વથી “પર” અને જે મોક્ષનો દાતા છે –તે “ઈશ્વર” છે.

ધર્મ (સ્વ-ધર્મ-કર્મ) ના આચરણનું ફળ “વૈરાગ્ય” છે,યોગ (કર્મ)નું ફળ “જ્ઞાન” છે,તેવું વેદ કહે છે.
પણ પરમાત્મા જેનાથી વહેલા પ્રસન્ન થાય તે પરમાત્માની “ભક્તિ” છે.
ભક્તિને કોઈ જ્ઞાન-વિજ્ઞાનના આધારની જરૂર નથી,ભક્તિ તે જ્ઞાન-વિજ્ઞાનને વશ નથી 
પણ જ્ઞાન-વિજ્ઞાન ભક્તિને વશ છે.ભક્તિ સર્વ સુખનું મૂળ છે. ભક્તિથી જીવ અનાયાસે પ્રભુને પામે છે.

પ્રથમ તો સંત-ચરણ (સત્સંગ) માં પ્રીતિ થવી જોઈએ,ને નિજ-ધર્મ (સ્વ-ધર્મ) પ્રમાણે 'કર્મો'માં પ્રવૃત રહેવું જોઈએ.એથી વિષયો પ્રત્યે “વૈરાગ્ય” (જ્ઞાન) પ્રાપ્ત થશે.વૈરાગ્ય થયા પછી “ભગવદ-ધર્મ” માં 'પ્રેમ' (ભક્તિ) થશે.પછી,શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદ-સેવન,અર્ચન,વંદન,દાસ્યભાવ,સખ્યભાવ અને આત્મનિવેદન-
એ નવ પ્રકારની “ભક્તિ” દૃઢ થશે.

શ્રીરામ કહે છે કે-જેને સંત-ચરણ (સત્સંગ)માં પ્રીતિ છે,મન,વચન અને કર્મથી જે મારી સાથે સંબંધમાં છે,
મને જ ગુરૂ,પિતા,માતા,ભાઈ,પતિ,દેવ –સર્વ કંઈ માને છે અને મારી સેવામાં દૃઢ રહે છે,
મારા ગુણ ગાતાં જે પુલકિત થાય છે ને પ્રેમથી જેની આંખોમાં પ્રેમાશ્રુ વહે છે,
જે કામ,મદ અને દંભથી રહિત છે,તેને હું સદા વશ રહું છું.
જેને મન,વચન અને કર્મથી મારો જ આશ્રય છે,જે નિષ્કામ ભાવે મને જ ભજે છે,તેના હૃદયમાં હું વિરાજું છું.
આ સાંભળી લક્ષ્મણજીને એવો આનંદ થયો કે તેમણે શ્રીરામના ચરણ પકડી લીધાં.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE