Nov 12, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૫

અગસ્ત્ય વિષેની બીજી કથા એવી છે કે-મહાસાગર મહાઅભિમાની બની ગયો હતો અને તે કોઈની આણ કે આમન્યા રાખતો નહોતો.તેથી અગસ્ત્યને ગુસ્સો ચડ્યો.અને તેઓ મહાસાગરને અંજલિમાં લઈને પી ગયા.અગસ્ત્યની આગળ મહાસાગર રાંક બની ગયો,અને મહાસાગર પાર કરી અગસ્યમુનિને ટાપુઓમાં થાણાં નાખવામાં (આશ્રમો સ્થાપવામાં) સાગરનો પ્રવાસ સરળ થયો એમ આ કથાનું હાર્દ છે.

આવા અઠંગ પ્રવાસી અગસ્ત્યને રસ્તામાં રાક્ષસોની સાથે પાનું ના પડે તે કેમ બને?
પણ પોતાની તપસ્યાના બળથી,અગસ્ત્ય મુનિ, રાક્ષસોના ત્રાસને પણ અંકુશમાં રાખી શક્યા હતા.
એમનો આશ્રમ ગાઢ વનમાં હતો અને રાક્ષસો ને વધુ અનુકૂળ પડે તેવું પણ હતું,પણ મુનિની ધાક 
એવી હતી કે –રાક્ષસો તેમનાથી બી ને દૂર રહેતા હતા.

શ્રીરામચન્દ્રજી એ જયારે અગસ્ત્યમુનિને પોતાને વસવા યોગ્ય સ્થાન બતાવવા માટે પ્રાર્થના કરી.
ત્યારે અગસ્ત્ય કહે છે કે-આપ અહીં જ રહી જાઓ.આ સ્થાન બિલકુલ ઉપદ્રવ વિનાનું છે.
પણ શ્રીરામ ત્યાં રહી પડે તો પછી રાવણને મારવાનું કામ બને કેવી રીતે? એટલે તેમણે ના પાડી.
ત્યારે અગસ્ત્યજીએ તેમને ગોદાવરી–તટે પંચવટી નામના સુંદર સ્થાનમાં રહેવાનું સૂચવ્યું.વિદાય વખતે,
અગસ્ત્ય મુનિએ શ્રીરામને કેટલાંક દિવ્ય અસ્ત્રો આપ્યાં,બાણનો અક્ષય ભાથો આપ્યો અને એક દિવ્ય 
તલવાર આપી,પછી ભાવ-પૂર્વક પ્રાર્થના કરીને એટલું માગ્યું કે-“આપ સદાકાળ મારા હૃદય માં વસો”

તે પછી,શ્રીરામ પંચવટી નામે ઓળખાતા રમણીય સ્થળે પહોંચ્યા.ત્યાં આગળ ગોદાવરી નદીને કિનારે
લક્ષ્મણજી એ વાંસ અને લાકડાની એક પર્ણ-ફૂટી ઉભી કરી.તે જોઈ રામને અતિ આનંદ થયો.
ત્યાં આગળ શ્રીરામને જટાયુ નામનો ગીધ આવી મળ્યો.રામજીએ સીતાજીની રક્ષાની જવાબદારી,
લક્ષ્મણ અને જટાયુને માથે નાખી.

એકવાર સવારે શ્રીરામ નદીએ નહાવા જતા હતા,સાથે સીતાને લક્ષ્મણ પણ હતા.શિયાળાના દિવસો હતા ને 
ટાઢ પણ હતી.અચાનક રામજીને ભરતજી યાદ આવી ગયા.તેમની આંખો ભરાઈ આવી,અને કહેવા લાગ્યા કે –હે,લક્ષ્મણ,મારો ભરત આખી રાત જમીન પર સૂઈને,ઠુંઠવાઈને અત્યારે સરયુમાં નહાવા જતો હશે.!
ત્યારે લક્ષ્મણ કહે છે કે –આપના પર ભરતનો એવો સ્નેહભાવ છે કે-તમામ સુખો નો ત્યાગ કરી અત્યારે 
તપસ્વી કરતાંયે વધારે કઠોર તપસ્યા કરી રહ્યા છે.લોકો કહે છે કે-માતાનો સ્વભાવ પુત્રમાં આવે છે 
પણ ભરતે એ વાત ખોટી સિદ્ધ કરી છે.

મોટાભાઈની મનોવ્યથા લક્ષ્મણજી બરોબર સમજતા હતા,એટલે જ ભરત વિષેની વાતો કરીને તેમને 
સાંત્વન આપતા હતા.લક્ષ્મણ સાથે શ્રીરામ ઘણીવાર ધર્મ-ચર્ચા પણ કરતા.લક્ષ્મણજી પણ પોતાની શંકાઓનું સમાધાન તેમની પાસેથી મેળવતા.એક વાર શ્રીરામ આરામથી બેઠા હતા,ત્યારે લક્ષ્મણજીએ પૂછ્યું કે-
હે પ્રભુ,મારા મનમાં હજી બ્રહ્મ વિષેની કેટલીક બાબતો સ્પષ્ટ થઇ નથી,
તેથી હું આપને કેટલાંક પ્રશ્નો પુછું તો ક્ષમા કરશો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE