Nov 15, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૭

પંચવટી એટલે પાંચ-પ્રાણ.અને આ પાંચ પ્રાણમાં પરમાત્મા વિરાજે છે.
લોકો કહે છે કે- પ્રભુ દર્શન આપતા નથી,પણ પ્રભુ જો દર્શન આપે તો પ્રભુનું તેજ સહન કરવાની શક્તિ,આપણા “ચર્મ-ચક્ષુ” (આંખો) માં નથી,એટલે માટે,તો ભગવાને અર્જુનને પોતાનું અસલી સ્વ-રૂપનું દર્શન કરાવતાં પહેલાં “દિવ્ય ચક્ષુ”નું પ્રદાન કર્યું હતું.
(અને તેમ છતાં અર્જુન વ્યાકુળ થયો હતો!!)માટે જ મહાત્માઓ કહે છે કે-
પ્રભુનું સ્વ-રૂપ ભલે હૃદયમાં ના આવે પણ રામ-નામ છોડશો નહી.

જેમ આયનો મેલો હોય તો તેમાં પ્રતિબિંબ દેખાતું નથી,તેમ હૃદય મેલું હોય ત્યાં સુધી,પ્રભુનું પ્રતિબિંબ દેખાતું નથી.(પ્રભુનું દર્શન થતું નથી.)જેમ શિશ-મહેલમાં ચારે બાજુ અને છત પર પણ અરીસાના કાચના ટુકડા જડ્યા હોય છે અને તે સર્વ કાચના ટુકડાઓમાં એક સાથે પ્રતિબિંબ પડે છે,તેમ આ દુનિયા અને દુનિયાના સર્વ જીવો 
એ કાચ ઘરના અરીસાના ટુકડા જેવા છે,અને તે સર્વમાં પરમાત્માનું એક સાથે પ્રતિબિંબ પડે છે.

આ વસ્તુ દેખાતી કે સમજાતી નથી તેમાં દોષ આપણી દૃષ્ટિનો છે,દોષ આપણી બુદ્ધિનો છે.
પરમાત્મા અને જીવની વચમાં આ બુદ્ધિ આવીને પોતાનું આગવું ડહાપણ ડહોળે છે,તે મુસીબત છે.

પરમાત્મા તો આનંદ સ્વ-રૂપ છે,તે આનંદ-સ્વ-રૂપને અંતરમાં ઉતારવાનું છે.
પરમાત્માના આનંદ સ્વ-રૂપનું જ ભક્તો સદા ચિંતન કરતા હોય છે,ભક્તોના આધાર અને આશા,
કેવળ પરમાત્મા જ છે.સાચો ભક્ત માનવીની આશા કદી રાખતો નથી ને ઈશ્વરની આશા કદી છોડતો નથી.આશા છોડે તો ભક્તિ થાય નહિ.પ્રભુ ક્યારે મળશે? એવો પ્રશ્ન ભક્તને કદી થતો જ નથી.

બે સાધુ ઓ તપસ્યા કરતા હતા.ત્યાં નારદજી જઈ ચડ્યા.બંને સાધુઓએ નારદજીને પ્રાર્થના કરી કે-
“મહારાજ,આપ તો ભગવાનનું હૃદય છો,અમારી વતી જરા ભગવાનને પૂછી જોશો કે-
અમને તેમનાં દર્શન ક્યારે થશે?” નારદજી કહે કે-“ભલે”
પછી નારદજી ભગવાનને જયારે મળ્યા ત્યારે તેમની આગળ,એ બે સાધુઓનો પ્રશ્ન રજુ કર્યો.
ત્યારે ભગવાને જવાબ આપ્યો કે-પેલો જે વડલા હેઠળ,ઉંધે માથે તપ કરે છે,એને કહેજો કે હું,બાર વર્ષે તેને
દર્શન આપીશ,અને બીજો તે પીપળાના ઝાડ નીચે “પ્રભુ-પ્રભુ” કરી ને મારા વિયોગ માં બળે છે,તેને કહેજો કે-
એ પીપળાનાં જેટલાં પાન છે,તેટલાં વર્ષે હું તેને દર્શન આપીશ.

નારદજીએ પાછા આવી બંને સાધુઓને ભગવાનનો જવાબ કહ્યો.
ત્યારે વડલા નીચે ઉંધે માથે તપસ્યા કરનારો કહે છે કે-બાપ,રે,હજુ બાર વર્ષ? ભગવાન પણ કેવા છે? 
કે આટલી બધી લાંબી રાહ જોવાનું કહે છે? તેની ધીરજ રહી નહિ ને તપસ્યા છોડી દીધી.
પીપળા-વાળો સાધુ તો જવાબ સાંભળતાં જ એકદમ આનંદમાં આવી ગયો, અને નાચવા લાગ્યો.

અને કહે છે કે-પીપળાના પાન જેટલા વરસે ,પણ ભગવાન તો મને મળશે ને? ભગવાને મળવાની હા,પાડી,હે પ્રભુ,તમારી કૃપાનો,તમારી દયાનો કોઈ પાર નથી.આટલું બોલતાં બોલતાં તેની આંખોમાંથી અશ્રુ-પ્રવાહ વહી ચાલ્યો,અને પ્રભુની દયાના સ્મરણમાં દેહ-ભાન ભૂલી ગયો.અને તેને પ્રભુનાં તે જ ક્ષણે દર્શન થઇ ગયાં.
નારદજી વિચારમાં પડી ગયા,કે આ પ્રભુ પણ કેવા છે?તેમને કોઈ ગણત્રી આવડે છે ખરી?
તેમણે જઈને પ્રભુ ને ફરિયાદ કરી કે-“ખરા છો તમે,અભી બોલા-અભી ફોક?”

ત્યારે ભગવાને કહ્યું કે- મેં જે કહ્યું હતું તે સાચું જ હતું,પણ મારો તે ભક્ત શ્રદ્ધા-ભાવે,એવો મારા-મય બની ગયો કે-પીપળાના પાન જેટલાં વર્ષોનું અંતર એક પળમાં પુરુ થઇ ગયું,અને મારે આવીને હાજર થવું પડ્યું.
પણ પેલા ઉંધે માથે તપસ્યા કરનારાની ધીરજ બાર વર્ષ સાંભળીને છૂટી ગઈ,
અને હવે તેને બાર વર્ષ તો શું,બાર લાખ વર્ષ સુધી પણ મારાં દર્શન નહિ થાય.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE