Sep 20, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૩૫

(૮) દૈવ (પ્રારબ્ધ) નું મિથ્યાપણું

વશિષ્ઠ બોલ્યા-દૈવ ને કોઈ આકાર નથી,કર્મ નથી,ગતિ નથી કે તેનું કોઈ પરાક્રમ પણ નથી.
તો “આ દૈવ કહેવાય છે” તેવો કયો પદાર્થ હોઈ શકે? એ દૈવ એ ભ્રાંતિ(ભ્રમ) જેવું છે.
જયારે મનુષ્ય ને પોતાના કર્મો (પુરુષાર્થ) કરવાથી ફળ પ્રાપ્ત થાય છે, ત્યારે,
“આ કર્મ આ રીતે કર્યું હતું અને તેથી આ પ્રમાણે ફળ મળ્યું” એવી જે વાતો કરે છે,
તે જ વાતો ”દૈવ” ને નામે પ્રસિદ્ધ થાય છે.

જેમ અંધારામાં દોરી ને સર્પ માની લેવામાં આવે છે,તેમ મૂર્ખ બુદ્ધિ વાળા લોકોએ,ભ્રાંતિ થી આવી વાતો થી “આ દૈવ છે” એવો નિશ્ચય પકડી લીધો છે.
જે દુર્બુદ્ધિવાળો પુરુષ,મૂર્ખ લોકો ના આવા માત્ર “અનુમાનથી સિદ્ધ થતા દૈવ” ને માનતો હોય તો-તેણે “દૈવ-યોગે હું નહિ જ બળું”એમ સમજી ને આગમાં કુદી પડવું જોઈએ ??....!!!!

જો દૈવ જ કર્તા હોય તો,મનુષ્યને ક્રિયા કરવાનું શું પ્રયોજન છે?
કારણકે દૈવ જ મલોત્સર્ગ ,સ્નાન,દાન,આસન,મંત્રોચ્ચાર-વગેરે ક્રિયાઓ કરશે..!!
જો,દૈવ જ કર્તા હોય તો,પછી પુરુષ,મૂંગો બની જશે,અને તે તો દૈવ ચલાવશે તેમ જ ચાલશે,
પછી તેને શાસ્ત્ર નો ઉપદેશ કરવાનું પ્રયોજન શું?

જગતમાં એક “શબ” (મરેલું શરીર) સિવાય ક્યાંય ક્રિયારહિતપણું જોવામાં આવતું નથી,અને
એજ રીતે,માત્ર ક્રિયા (કર્મ)  થી જ ફળ ની પ્રાપ્તિ થતી આ જગતમાં જોવામાં આવે છે.
આથી દૈવ વ્યર્થ છે,કોઈ આકાર વગરનું (જોઈ ના શકાય તેવું) છે,અને ,
તે કોઈ આકારવાળા પુરુષની સાથે રહીને કોઈ ક્રિયા કરે તે પણ અસંભવિત છે.

જોશીઓએ કોઈ મનુષ્ય માટે “અમુક મનુષ્યનું આયુષ્ય ઘણું લાંબુ છે”  એવું ભવિષ્ય ભાખ્યું હોય,
તેવા મનુષ્ય નું માથું કાપી નાખવામાં આવે છતાં તે જીવતો રહે,તો જ દૈવ ને ઉત્તમ ગણવું જોઈએ.!!!
જોશીઓએ એવો નિર્ણય લીધો હોય કે “આ માણસ પંડિત થશે” ને તે માણસ ભણાવ્યા વગર પણ શાસ્ત્રો ને સમજી જાય તો,જ દૈવ ને ઉત્તમ ગણવું જોઈએ...!! (પણ આમ બની શકતું નથી)

હે,રામ,મુનિપણું પામેલા આ વિશ્વામિત્ર મુનિએ દૈવ ને દૂર હટાવીને પુરુષાર્થ થી જ,
ક્ષત્રિયપણામાંથી, બ્રાહ્મણ-પણું મેળવ્યું છે.
બીજા મુનિપણું પામેલા મહાત્માઓ આકાશમાં ચાલવાની અને એવી બીજી શક્તિઓ પણ
પુરુષાર્થ થી જ પામેલા છે,દૈવ થી નહિ.

હે,રામ,કોઈ પણ પુરુષાર્થ, (ભલે તે બ્રહ્મ ને પામવાનો હોય કે ભોગવિલાસ નો હોય)
તે કંઈ કોઈ જડીબુટ્ટી કે જાદુ થી થઇ જતા નથી,તે પુરુષાર્થ તો કરવા પડે છે.
માટે,તેમે દૈવ ની કોઈ અપેક્ષા રાખો જ નહિ અને પુરુષાર્થ નો આશ્રય કરો,
એ “દૈવ” તો માત્ર પોતાની કલ્પનાથી જ માની લેવાયું છે,મિથ્યા (ખોટું) છે,
અને સર્વ ઉદ્યોગો અને ફળોથી વિરુદ્ધ છે.



     INDEX PAGE
      NEXT PAGE