Mar 6, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-100


દેવી કહે છે કે-હે,સુંદરી,"જીવ"  એ "ક્ષણ-માત્ર"માં પોતાના "મિથ્યા મરણ-રૂપી મૂર્છા" નો અનુભવ કરીને
"આગળના  ભાવ" ને ભૂલી જાય છે.અને "બીજા ભાવ"ને દેખે છે.
એ "બીજા ભાવ" નો પ્રતિભાસ થાય છે એટલે-
પોતે દેહાધિક આધારથી રહિત છતાં પણ (એટલે કે પોતાનો દેહ નહિ હોવાને લીધે)
પોતાના હ્રદયાકાશમાં જ "હું આ દેહાધિક આધારમાં આધેય-રૂપે રહ્યો છું" એવો અનુભવ કરે છે.
અને આમ,"તે હાથ-પગ વાળો ,દેહ મારો છે" - એમ જુએ છે.

અને જેવો "દેહનો અધ્યાસ" થાય-એટલે તરત જ-"હું આ પિતાનો પુત્ર છું,મને આટલાં વર્ષો થયા,
આ મારા ભાઈઓ છે,આ મારું સુંદર ઘર છે,હું જન્મ્યો,બાળક હતો ને હવે મોટો થયો" વગેરે જોવામાં આવે છે.
"દેહ-રૂપ" થયેલા "ચિત્ત" (મન) ના અને સંસારિક સંબંધો-એ સત્યમાં તો સંબંધો વિનાના જ છે,છતાં પણ,
પોતાની સાથે સંબંધો ધરાવનારા ભાસે છે.

આ પ્રમાણે "જીવ" ના ચિત્ત (મન) માં સંસાર-રૂપી ખંડ ઉદય પામ્યો છે
પણ સ્વાભાવિક રીતે -તો-કંઈ પણ ઉદય પામ્યું નથી.
જીવ શુદ્ધ ચિદાકાશ-રૂપ જ છે. સ્વપ્ન માં કે જાગ્રતમાં- "દ્રષ્ટા"માં જે ચૈતન્ય છે તે જ "દૃશ્ય"(જગત) માં છે.
કારણકે એક ચૈતન્ય જ સર્વ-રૂપે પ્રતીત થાય છે.

તે જ ચૈતન્ય જેમ,સ્વપ્ન માં બીજા પ્રકારે પ્રતીત થયા છે,તેમ પરલોકમાં ત્રીજા પ્રકારે પ્રતીત થાય છે,
તો આ લોકમાં ચોથા પ્રકારથી પ્રતીત થાય છે.એટલે કે-સઘળી સ્થિતિઓમાં ચૈતન્ય એક જ છે.
જેમ જળથી તરંગો જુદા નથી,તેમ,સ્વપ્ન,પરલોક કે આ લોક -એ ચૈતન્ય થી જરા પણ જુદા નથી.
આથી આ જગત ઉત્પન્ન થયું જ નથી ને નાશ પણ પામવાનું નથી.

જગત પોતાના સ્વ-રૂપ થી કંઈ છે જ નહિ,પણ -જે પ્રકાશે છે -તે ચૈતન્ય જ પ્રકાશે છે.
જેમ જળમાં તરંગ-પણું છે જ નહિ અને જે દેખાય છે તે સસલા ના શિંગડા જેવું જ છે,તેમ ,
ચૈતન્યમાં દૃશ્ય (જગત) પણું છે જ નહિ,અને જે દેખાય છે તે સસલા ના શિંગડા જેવું જ છે.
ચૈતન્ય પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થયા વિના -જાણે દૃશ્ય-પણા ને પામેલ હોય તેમ પ્રતીત થાય છે.
આમ દૃશ્ય (જગત) પદાર્થ છે જ  નહિ, તો પછી "આ દ્રષ્ટા અને આ દૃશ્ય" એવા વિભાગો કેમ હોઈ શકે?

જીવ ને (મરણ-રૂપે) મોહ થયા પછી,નિમેષમાત્રમાં જ દેશ-કાળ-આરંભ-ક્રમ-જન્મ-માતપિતા-સ્ત્રી-સંતાનો-
અવસ્થા-સમજણ-સ્થાન-બંધુઓ-સેવકો-અસ્ત-ઉદય-વગેરે વાસનાઓ ને અનુસરતી -
"બ્રહ્માંડ-રૂપી- દૃશ્ય"  ની શોભા નજરે પડવા માંડે છે.
જીવ પોતે તો ચૈતન્ય-સ્વ-રૂપ છે,તે પોતે તો જન્મેલો નથી,છતાં "હું જન્મેલો છું" એમ ધારી લે છે.

તેથી તે દેશ-કાળ-ક્રિયાઓ-દ્રવ્યો-મન-બુદ્ધિ અને ઇન્દ્રિય વગેરે ને જુએ છે.
જેમ,પુષ્પ પછી ફળ નો ઉદય થાય છે-તેમ પાછળથી-"આ મારી માતા છે-આ મારા પિતા છે-બાંધવો છે"
વગેરે અનુભવેલો અને કદી નહિ અનુભવેલો-વાસનામય ક્રમ ઉદય પામે છે.અને
નિમેષ (પલક)-માત્રમાં કલ્પ જેવડો મોટો કાળ (સમય) વહી ગયાની પ્રતીતિ પણ થાય છે.
જેમ કે,જેમને પોતાની પ્રિય સ્ત્રીનો વિયોગ થયો હોય છે તેમને એક દિવસ -એ-વર્ષ જેવડો થઇ પડે છે.

જેમ,અહં (મદ) અને સ્વપ્ન -ના -"ભ્રમ ના સમય" માં જે શૂન્ય હોય તે ભરપૂર લાગે ,
દુઃખો પણ ઉત્સવ રૂપ લાગે,અને હાનિ પણ લાભ-રૂપ લાગે છે-
તેમ,જીવો ને જગત-રૂપી ભ્રમ ના  સમયમાં "એક ચૈતન્ય" પણ દ્રશ્યો થી ભરપૂર લાગે છે.
વ્યવહાર-રૂપ દુઃખો પણ સુખરૂપ લાગે છે અને "સ્વરૂપ નું ભૂલી જવું" પણ અનુકૂળ લાગે છે.

પણ,જેમ,સ્તંભમાં વણ-કોતરેલી મૂર્તિઓ તેનાથી અભિન્ન જ રહેલી છે-તેમ  બ્રહ્મ-ચૈતન્ય માં
આ સઘળું દૃશ્ય-જગત અભિન્ન જ અને શાંત રીતે રહેલું છે.(તેને મોક્ષ શું કે બંધન શું?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE