Sep 22, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-289


(૨૭) હારી ગયેલા દેવતાઓને બ્રહ્માએ જીતવાનો ઉપાય બતાવ્યો.

વસિષ્ઠ કહે છે કે-એ રીતે યુદ્ધ નો ભયંકર "સંભ્રમ" ચાલતો હતો.તેમાં દેવતાઓ અને અસુરો ના શરીરો પર
ઘા ના ઊંડા ઊંડા ખાડા પડતા હતા અને તે ખાડાઓમાંથી લોહીના પ્રવાહો નીકળતા હતા. દામ -નામના સેનાપતિએ,દેવતાઓને ઘેરી લઈને મેઘની ગર્જના જેવો સિંહનાદ કરવા માંડ્યો,એટલે,
વ્યાલ-નામના સેનાપતિ સઘળા દેવતાઓ ના વિમાનોને પોતાના હાથથી ખેંચીને ચૂરો કરવા માંડ્યો.તો,
કટ-નામનો સેનાપતિ,દેવતાઓ નો નાશ કરવા માટે તત્પર થયેલો હતો.

થાકેલા અને ઘવાઈને હારેલા,દેવો ત્યાંથી નાઠા,અને જંગલોમાં ભરાઈ ને સંતાઈ ગયા.
દૈત્યોએ તેમનો પીછો કર્યો,પણ દેવતાઓ હાથમાં આવ્યા નહિ,
એટલે તે દામ-વ્યાલ-કટ નામના સેનાપતિઓ,પોતાના સૈન્ય સાથે,શંબરાસુર પાસે પરત આવ્યા.
ત્યાર પછી હારી ગયેલા અને થાકી ગયેલા દેવતાઓએ થોડી વાર સુધી વિશ્રાંતિ લીધી, અને પછી તેઓ,
યુદ્ધમાં દૈત્યો સામે જીતવાનો ઉપાય પૂછવા અપાર શક્તિવાળા બ્રહ્મા પાસે ગયા.પ્રણામ કરીને તેમણે
યુદ્ધ અને શંબરાસુર તથા તેમના ત્રણ સેનાપતિ ની વાત કહી સંભળાવી.ત્યારે બ્રહ્માએ બધી વાત સાંભળીને
વિચાર કર્યો અને   પછી,દેવતાઓને નીચે પ્રમાણે ધીરજ આપનારું વચન કહ્યું.

બ્રહ્મા કહે છે કે-યુદ્ધમાં સર્વોપરીપણું ધરાવનારા "વિષ્ણુ" ના હાથથી,એક લાખ વર્ષ પછી,
શંબરાસુરને મરવાનું છે,માટે ત્યાં સુધી તે સમય ની રાહ જોયા કરો.
હમણાં તો એ દામ-વ્યાલ-કટ નામના દૈત્યો સાથે "માયાનું યુદ્ધ" કર્યા કરો અને યુદ્ધ કરી કરીને નાસી જવાનું જ રાખો.જેમ,અરીસાના ઉદરમાં બાહ્ય પદાર્થો પ્રતિબિંબિત  થાય છે,તેમ યુદ્ધ ના અભ્યાસ ને લીધે,
તેઓના અંતઃકરણમાં "અહંકાર" નો ચમત્કાર પ્રતિબિંબિત થશે.
પછી,હે દેવો,જેમ જાળમાં આવેલ પક્ષીઓ સહજ વશ થયા છે,
તેમ "વાસનાની જાળ" માં પડેલા એ-ત્રણ દૈત્યો,(દામ-વ્યાલ-કટ) સહજ જીતાય એવા થઇ જશે.

હમણાં તો તેઓ અલ્પ વાસના વાળા છે,સુખ-દુઃખથી રહિત છે,અને
ધીરજ  રાખીને શત્રુઓને (દેવોને) મારે છે,માટે તે જીતવા અશક્ય થઇ પડે છે.
જગતમાં જેઓ "વાસના-રૂપી-તંતુઓ" થી બાંધીને આશાઓ-રૂપી પાશમાં પડે છે,
તેઓ દોરીથી (જાળથી) બંધાયેલા પક્ષીઓની જેમ વશ થઇ જાય છે.
સર્વ સ્થળોમાં આસક્તિ વગરની બુદ્ધિ વાળા -જે ધીર પુરુષો,વાસનાઓ છૂટી જવાને લીધે થતી શુભની
પ્રાપ્તિથી રાજી થતા નથી કે-અશુભ ની પ્રાપ્તિથી કચવાતા નથી,તે મહાત્માઓ કોઈથી જીતાતા નથી.

જે મનુષ્યના મનમાં વાસના-રૂપી દોરીની ગાંઠ બંધાઈ હોય છે તે મનુષ્ય ગમે તેટલો મોટો હોય,અને
ભલે ઘણું જાણનારો (જ્ઞાની) હોય પણ તે બાળકથી પણ જીતાઈ જાય છે.
"આ હું છું અને આ મારું છે"એવી રીતની કલ્પનાઓ કરનાર મનુષ્ય મુશ્કેલીઓ ને પામે છે.
જે પુરુષ આત્માને દેહાધિક-રૂપ માને છે,તે પુરુષ સર્વજ્ઞ હોય તો પણ,સર્વ સ્થળોમાં કંગાળ-પણું પામે છે.
અને આવો પુરુષ એ પોતાના થીજ પોતાના આત્માને પરવશ કરે છે.

જો ત્રૈલોક્યમાં પણ આત્માથી કંઈ જુદું હોય,તો તેમાં (લેવા-દેવા વગરની) વાસના બંધાય તો,એ ઠીક કહેવાય,પણ આત્માથી જુદું કંઈ જ નથી,માટે સઘળી વાસનાઓ વ્યર્થ  જ છે.
મિથ્યા વસ્તુમાં આસ્થા રાખવી,એ જ અનંત દુઃખ ની ખાણ છે,અને મિથ્યા વસ્તુમાં આસ્થા ના રાખવી,
એ જ અનંત સુખો ની ખાણ છે.માટે,જ્યાં સુધી,દામ-વ્યાલ-કટ  એ સંસારની સ્થિતિમાં આસ્થા વગરના છે,
ત્યાં સુધી,જેમ,અગ્નિઓ એ મચ્છર થી જીતાતા નથી,તેમ તેઓ તમારાથી જીતાશે નહિ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE