Sep 23, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-290


વાસના અવશ્ય દીનતા પમાડનારી છે,એ વાસના જો મનમાં હોય તો-પ્રાણી હારી જાય છે,પણ,
જો એ વાસના ના હોય તો,મચ્છર પણ મેરુ પર્વત જેવો દૃઢ રહે છે.
જે પદાર્થ ની પ્રથમ (શરૂઆતની) વાસના થોડી હોય છે,તે પદાર્થ ની વાસના પાછળથી પુષ્ટ થતી આવે છે.
જે પદાર્થ વિદ્યમાન (નજરે દેખાતો કે હાજર) હોય તેના  અવયવો વધે છે,પણ અવિદ્યમાન પદાર્થ ના અવયવો
વધતા નથી,એ નિયમ પ્રમાણે -વાસના જો થોડીક પણ હોય,તો તેમાં પાછળથી વધારો થયા વગર રહેતો નથી.

બ્રહ્મા કહે છે કે-
આથી હે,ઇન્દ્ર,તમે એવું કરો કે જેથી એ દામ-વગેરે દૈત્યો-"અમે દેહાધિક છીએ અને જય-પરાજય-જીવન વગેરે અમારાં છે" એવી ભાવના કરે અને તેમની આ ભાવના દૃઢ થાય.
લોકો વાસના-રૂપી તંતુઓ થી બંધાઈને ગોથાં ખાધા કરે છે.તેથી જો વાસના વધે તો તે મહા-દુઃખદાયી થાય છે.
જેમ,મોટો અને પ્રબળ સિંહ પણ સાંકળથી બંધાય છે,તેમ ધીર અને મહા-પંડિત પણ તૃષ્ણાથી બંધાય છે.
અને કાળ (મૃત્યુ) આવા વાસનાથી રાંક થયેલા લોકો ને પોતાની તરફ ખેંચે છે.

હે,ઇન્દ્ર,દામ-વ્યાલ-કટ ને જીતવા સારા આયુધો મેળવવાની -કે-યુદ્ધમાં ભ્રમણ કરવાની કશી જરૂર નથી,
પણ, યુક્તિ તથા યત્ન કરીને તેમનું "અભિમાન" વધે તેમ કરો.જ્યાં સુધી વાસના વધવાથી શત્રુઓનું "ધૈર્ય"
ઓછું થવા ના લાગ્યું હોય,ત્યાં સુધી તે શત્રુઓ પર,અસ્ત્ર-શસ્ત્રો કે નીતિશાસ્ત્રો-એમાનું કંઈ પણ જીત મેળવી શકતું નથી.એ દૈત્યો,યુદ્ધ ના અભ્યાસને લીધે,મત્ત થઈને અંધકારમય વાસનાઓનું ગ્રહણ કરશે જ.
અને,શંબરાસુરે બનાવેલા એ મહા-શક્તિશાળી દૈત્યો, જયારે વાસનામાં બંધાશે,ત્યારે સહેલાઈથી જીતાઈ જશે.

માટે,હે,દેવતાઓ,તેઓ જ્યાં સુધી-અભ્યાસને લીધે દૃઢ વાસનાઓવાળા ના થઇ જાય,
ત્યાં સુધી,તમેયુક્તિ-પૂર્વક યુદ્ધ કરીને તેમને તમારી સાથે લડાવ્યા કરો.
અને જયારે તેઓ દૃઢ વાસનામાં બંધાશે ત્યારે -તેઓ તમારે વશ થઇ જશે.
જ્યાં સુધી અંતઃકરણો -તૃષ્ણાથી પરોવાયેલાં ના હોય ત્યાં સુધી,કોઈ પણ લોકો નરમ થતા નથી.

(૨૮) ત્રણ દૈત્યોની સાથે દેવતાઓએ ફરીથી યુદ્ધ શરુ કર્યું

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,બ્રહ્મા,દેવો ને એટલાં વચન કહીને ત્યાંથી અંતર્ધાન થયા.અને દેવો બ્રહ્માના વચનને ગ્રહણ કરીને પોતપોતાની દિશામાં ગયા.અને પોતાના ઘરોમાં કેટલાક દિવસ સુધી વિશ્રામ લીધો.
પછી કોઈ શુભ કાળ (સમય) પ્રાપ્ત થતાં દેવોએ યુદ્ધનાં દુંદુભિઓનો ડંકો કર્યો.

આ સમયમાં (આ વખતે) અંતરિક્ષમાં રહેલા દેવતાઓ નું પૃથ્વી પર ઉભેલા દૈત્યોની સાથે,
લાંબા સમયનું યુદ્ધ ફરીવાર ચાલ્યું.

(૨૯) ત્રણે દૈત્યો ને દેહાભિમાન થવાથી તેઓની થયેલી હાર

દામ-વ્યાલ-કટ એ ત્રણ દૈત્યો સાથેના દૈત્ય-સૈન્ય અને દેવો ની વચ્ચેના એ મહા સંગ્રામ માં,
દેવતાઓએ કેટલાક દિવસો માયા કરીને કાઢ્યા,કેટલાક દિવસો વિવાદો કરીને કાઢ્યા,કેટલાક દિવસો
સમાધાન ની ગોઠવણ થી કાઢ્યા,કેટલાક દિવસો નાસી જઈને કાઢ્યા,કેટલાક દિવસો ગુપ્ત રહીને કાઢ્યા,
કેટલાક દિવસો ધીરજ થી કાઢ્યા,કેટલાક દિવસો કંગાળની પેઠે શરણાગત થવાથી પ્રાર્થના કરીને કાઢ્યા,
કેટલાક દિવસો અસ્ત્રો થી યુદ્ધ કરીને કાઢ્યા,તો ઘણા દિવસો અંતર્ધાન થઈને કાઢ્યા.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE