Dec 12, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-365

(૬) છેલ્લા જન્મ-વાળા જ્ઞાનીને જીવનમુક્તિ માટે ગુણપ્રાપ્તિ નો ક્રમ
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,"આ સઘળા વ્યવહારને હું કરતો નથી પણ મારા સામીપ્ય-માત્રથી તે ચાલ્યા કરે છે" એવી રીતે કર્તા-પણા ના અભિમાનથી રહિત થઈને જે પુરુષ વ્યવહારમાં પ્રવર્તે છે-તે પુરુષ મુક્ત જ છે-એવો મારો નિશ્ચય છે.
જે પુરુષો 'જ્ઞાન ને યોગ્ય મનુષ્ય નો અવતાર' પામીને- 'હું કર્તા છું' એવો આગ્રહ રાખીને કર્મો કરે છે-તેઓ સ્વર્ગમાંથી નર્કમાં જાય છે અને નર્કમાંથી પાછા સ્વર્ગમાં જાય છે.(વારંવાર જન્મ-મરણને પામે છે)

કેટલાએક પુરુષો સત્કર્મો નહિ કરતાં,નિષિદ્ધ કર્મોમાં જ તત્પર રહે છે-તેઓ
એક નર્કમાંથી બીજા નર્કમાં,એક દુઃખમાંથી બીજા દુઃખમાં,અને એક ભયમાંથી બીજા ભય ને પ્રાપ્ત થયા કરે છે.
કેટલાએક વાસના-રૂપી તંતુઓથી બંધાયેલા જીવો અનુક્રમે દુષ્ટ કર્મોનાં ફળો ભોગવતાં-ભોગવતાં,
પશુ-પક્ષીની યોનિમાં અવતરેલા હોય છે.તેઓ પશુ-પક્ષીની યોનિમાંથી સ્થાવર અવતાર ને
અને પાછા સ્થાવરમાંથી પશુ-પક્ષીના અવતારને પ્રાપ્ત થાય છે.
જયારે,કેટલાએક ભાગ્યશાળી અને મનના સાક્ષીનો વિચાર કરનાર-આત્મવેત્તા પુરુષો,તો
તૃષ્ણા-રૂપી બેડીને તોડીને-પરમ કૈવલ્ય-રૂપ પદને પ્રાપ્ત થાય છે.

હે,રામ,પહેલાં,કેટલાએક બીજા અવતારો ભોગવીને
જે પુરુષ અહીં "રજોગુણ-મિશ્રિત સાત્વિક" જન્મવાળો થયો હોય,
તે પુરુષ સત્સંગ આદિના પ્રભાવથી બ્રહ્મ-વિદ્યાને પ્રાપ્ત થાય છે.અને આ જન્મમાં જ મુક્ત થાય છે.
આવા જન્મ-વાળો મનુષ્ય,જન્મે ત્યારથી જ પૂર્ણિમાના ચંદ્રની પેઠે (જ્ઞાનમાં) વૃદ્ધિ પામે છે,અને,
આ જન્મમાં જ વૈરાગ્ય-આદિ સાધનો ની સંપત્તિ તેને પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે.
તેનામાં શુભ (સારી-કે કલ્યાણકારી) વિદ્યાઓ તરત જ પ્રગટ થાય છે.અને
શ્રેષ્ઠતા,પ્રિયતા,મૈત્રી,સૌમ્યતા,કરુણા,અને વિદ્વતા-વગેરે  સદગુણો -તે પુરુષ નું સર્વદા સેવન કરે છે.

જે પુરુષ,વ્યવહાર સંબંધી સઘળાં કાર્યો કરવા છતાં,તે કાર્યોનું ફળ સારી રીતે મળે કે તે ફળ નષ્ટ થઇ જાય,
તો પણ સમ-બુદ્ધિ-વાળો રહે,ને હર્ષ કે શોક ના પામે-
તો તે પુરુષનાં સઘળાં સુખ-દુઃખ નાશ પામે છે અને તેના શ્રદ્ધા-આદિ ગુણો શુદ્ધતાને પ્રાપ્ત થાય છે.
સંસારના સર્વ લોકો આવા ઉત્તમ આચારવાળા -મનુષ્યને ઈચ્છે છે.

ઉત્તમ ગુણોથી પૂર્ણ થયેલો એ પુરુષ પછી ગુરૂ ને જ અનુસરે છે.
અને તે ગુરૂ તેને વિવેકના ઉપાયોનો ઉપદેશ કરીને મનન કરવામાં જોડે છે.
પછી,એ પુરુષ,વિચાર અને વૈરાગ્ય થી સંપન્ન થયેલા,પોતાના સદગુણી ચિત્તથી,નિર્વિઘ્ન રીતે,
પરમાત્માને તથા પોતાને એક-રૂપ દેખે છે.

છેલ્લા જન્મ-વાળા મહાત્મા પુરુષો,તૃષ્ણાઓ થી રહિત થયેલા,મનને,
તે મન જે રીતે નિર્ગુણ બ્રહ્માકાર થઇ જાય,તે રીત થી (તે મન ને) સમજાવે છે.
અને નિર્મળ બુદ્ધિ વડે,શરીર ની અંદર રહેલા,
રત્ન ની પેઠે પ્રકાશતા,જીવ (આત્મા)ના સ્વરૂપ ની લાંબા કાળ સુધી પરીક્ષા કરે છે,
ત્યાર પછી -તે  પુરુષ,"જીવ(આત્મા) નું  સ્વરૂપ સાક્ષાત પરબ્રહ્મ જ છે" એવો અપરોક્ષ અનુભવ કરે છે.
અને પોતાના સ્થાનમાં બેઠાબેઠા જ પરમ પુરુષાર્થ-રૂપ સર્વોત્તમ ગતિને પ્રાપ્ત થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE