Dec 16, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-369

નિરાકાર છતાં-પણ બહુ વિસ્તાર-વાળી આ કાળ (સમય) ની ગતિથી મારું આયુષ્ય ક્ષણેક્ષણે તૂટતું રહે છે,હાય, આ હું જોઉં છું છતાં હું શા માટે "વિચાર" કરતો નથી?
બ્રહ્મા-વિષ્ણુ-શંકરને પણ પોતાના પગની નીચે દાબી દઈ તેમને કાળ જો ખાઈ જતો હોય છે-તો-
હે,  "જીવવાની આશા" !! તું શા માટે મારામાં નાચ્યા કરે છે?(મને પણ કાળ ખાઈ જવાનો જ છે!!)

મારી આટલી અવસ્થા (ઉંમર) સુધીમાં અસંખ્યાત દિવસો ગયા પણ -તે દિવસોમાં આજ સુધી -કોઈ એવો દિવસ જોવામાં આવ્યો નથી કે જેમાં-કોઈ એકાદ પણ અવિનાશી વસ્તુ પ્રાપ્ત થઇ હોય.

જેમ,તળાવમાં સારસ-પક્ષીઓ સ્ફૂરે છે-
તેમ સર્વ લોકોના મનમાં ભોગો જ સ્ફૂરે છે-પણ આત્મ-વિચારો સ્ફૂરતા નથી.
હું આજ સુધી વિરક્ત થયો નથી,માટે કષ્ટ થી પણ અતિ કષ્ટને પ્રાપ્ત થયો છું.અને
દુઃખથી પણ અતિ દુઃખને પ્રાપ્ત થયો છું.આવા અધમ મનવાળા મને ધિક્કાર હો !
જે જે વસ્તુઓને રમણીય જાણીને મેં તેઓમાં દૃઢ ભાવના બાંધી,
તે તે સર્વ વસ્તુઓ નષ્ટ થઇ ગઈ,માટે આ સંસારમાં સારું શું છે?

મધ્યમા મનહર લાગતી જવાની,અંતમાં મનોહર લાગતો ધર્મ અને પ્રાપ્તિ સમયે મનોહર લાગતા વિષયો-
એ સઘળું વિનાશ-રૂપી ચંડાળથી દૂષિત છે-અને અપવિત્ર જ છે.
મનુષ્ય જે જે પદાર્થોમાં આસ્થા બાંધે છે-તે તે પદાર્થોમાં અત્યંત દુઃખનો જ પ્રાદુર્ભાવ થતો જોવામાં આવે છે.
આ સંસારમાં અવિવેકી મનુષ્યો-દિવસે દિવસે
અધિક પાપ વાળા,ક્રૂર અને અધિક ખેદ આપનારી દશાને પ્રાપ્ત થતા જાય છે.
મૂર્ખ મનુષ્ય બાલ્યાવસ્થા માં અજ્ઞાનથી ખરાબ થાય છે,જુવાનીમાં કામદેવથી ખરાબ થાય છે,
અને બાકીની અવસ્થામાં સ્ત્રીની ચિંતાથી ખરાબ થાય છે.
તો પછી-પોતાના ઉદ્ધારનું કંઈ સાધન કરવું એ ક્યારે બને?

આ સંસાર આરંભમાં તથા અંતમાં હોતો નથી,રસ વગરનો છે,દરિદ્રતા અને રોગો-વગેરેથી દૂષિત છે,
અને તેમાં (સંસારમાં) સાર-રૂપ સમજાયેલી,ધન-વગેરે વસ્તુઓ -ખરેખર તો સાર વિનાની જ છે -
છતાં, દુર્મતિ પુરુષ,એ સંસારને આસક્તિથી જોયા કરે છે.એ કેવું ગણાય?
રાજસૂય અને અશ્વમેઘ -વગેરે સેંકડો યજ્ઞો વડે યજન કરવાથી -પણ બ્રહ્મ-લોક (સ્વર્ગ) ની પ્રાપ્તિ થી વધારે
ફળ મળે તેમ નથી,કે જે બ્રહ્મ-લોક પણ મહા-કાળના એક નાના સમયમાં જ નષ્ટ પામે છે!

પૃથ્વી,પાતાળ કે સ્વર્ગમાં એવો કયો પ્રદેશ છે કે જેમાં આપદાઓ-રૂપી ઝેરી ભ્રમરીઓ કરડી ખાય નહિ?
આધિઓ-ચિત્ત-રૂપી-રાફડામાં રહેનારા સર્પો-રૂપ છે -અને-વ્યાધિઓ શરીર-રૂપી વૃક્ષના પલ્લવો-રૂપ છે,
તેમનું નિવારણ કેમ થઇ શકે?
વિદ્યમાન (દેખાતા) પદાર્થો ને માથે નાશ નિશ્ચિત રીતે રહેલો જ છે,પ્રિય પદાર્થોના માથે અપ્રિયતા રહી જ છે,
અને સુખો ને માથે દુઃખો રહ્યા જ છે.,તો હવે એમાં  હું કોનો આશ્રય કરું?

અજ્ઞાનથી મોહ પામેલા પામર મનુષ્યો વૃથા જ જન્મે છે,અને વૃથા જ મરે છે.
સઘળી પૃથ્વી આવા પામરોથી જ વ્યાપ્ત છે.સાચાં સાધુ-પુરુષો જોવા મળવા બહુ દુર્લભ છે.
જીવન અને જીવનમાં રહેલા જીવો -એ સર્વ -ક્ષણ-ભંગુર છે અને તેને હસી કાઢવા જ યોગ્ય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE