Jan 29, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-404

જેનું ચિત્ત શુદ્ધ થયું હોય,તે જ જીવ,જ્ઞાન ના આ પ્રકારના (ઉપર બતાવેલા) ક્રમમાં યોગ્ય થાય છે-કારણકે-જે વસ્ત્ર સ્વચ્છ હોય તેના પર જ ઉત્તમ પ્રકારનો રંગ ચડે છે.
આમ,(શરૂઆતમાં)"ચિત્ત-રૂપી-બાળક"ને ધીરે ધીરે-યુક્તિથી,તથા  શાસ્ત્રનાં પવિત્ર વચનોથી રમાડવું-અને શાસ્ત્રના અભ્યાસ-રૂપી મધુર શરબત થી ઉછેરવું.અને,જયારે અહંતા-મમતા-રૂપી-દુષ્ટ-પકડ શિથિલ થાય અને ચિત્તને બ્રહ્માકાર-પણું પ્રાપ્ત થાય,ત્યારે શીતળ થયેલું-એ ચિત્ત,ચળકતી કાંતિવાળા સ્ફટિક-મણિ ની જેમ શોભે છે.

માટે,કુટિલતા વિનાની,સરળ બુદ્ધિથી,"વિષયો,ઇન્દ્રિયો,ઇન્દ્રિયોની વૃત્તિઓ-એ સઘળું બ્રહ્મરૂપ જ છે" એમ અવલોકન કરવું જોઈએ.
હે,પુત્ર,બુદ્ધિથી વિચાર કરીને,સર્વદા આત્માનું અવલોકન અને તૃષ્ણા નો સંપૂર્ણ ત્યાગ-એ બંનેને સાથે સંપાદન કરવાં જોઈએ,કારણકે-એ બંને (આત્માનું અવલોકન અને તૃષ્ણાથી રહિતપણું) એકસાથે જ રહે છે.

જયારે ભોગોનો સમૂહ સ્વાદ વિનાનો થઇ જાય છે,અને સર્વવ્યાપક આત્મા જોવામાં આવે છે,
ત્યારે,પરબ્રહ્મમાં અનંત અને અવિચળ વિશ્રાંતિ પ્રાપ્ત થાય છે.
ઘણા મનુષ્યો (જીવો) વિષયોમાં જ પરમાનંદ માની લે છે,પણ હકીકતમાં તે અનિત્ય છે અને સાચો નથી,
આત્મા ના અનુભવ વિના પરમાનંદ (નિરતીશય આનંદ-કે જે નિત્ય છે) મળી શકે જ નહિ.
યજ્ઞ,દાન,તપ અને તીર્થો ના સેવનથી વિષયો નું સુખ જ પ્રાપ્ત થાય છે,પણ ભોગોમાં અરુચિ થતી નથી.
જીવ ને ભોગો ની અરુચિ તો આત્મા ના અવલોકનથી (આત્મ-દર્શનથી) જ થાય છે.

પુરુષની બુદ્ધિ,"પોતાના પ્રયત્ન" (અભ્યાસના પ્રયત્ન) વિના
બીજી કોઈ પણ "યુક્તિ"થી આત્માના અવલોકન-રૂપી મહાકલ્યાણમાં પ્રવર્તતી નથી.
હે,પુત્ર,એ આત્માનું અવલોકન "તૃષ્ણાના ત્યાગ"ની સાથે પ્રાપ્ત થાય છે.
તે વિના બ્રહમપદમાં વિશ્રાંતિ-રૂપી-સુખ મળતું નથી.
જયારે પરમ કારણ-રૂપ બ્રહમ,પોતાના આત્મપણાથી પ્રકાશે છે,
ત્યારે જેવો વિશ્રામ મળેછે,તેવો,વિશ્રામ,આ જગતમાં ક્યાંય મળતો નથી.

આમ,સમજુ પુરુષે સહુ પ્રથમ,પ્રયત્ન નો આશરો કરીને અને દૈવ ને દુર કરીને,ભોગોને ધિક્કારવા જોઈએ.
કારણકે,એ ભોગો જ કલ્યાણ ના દ્વારની આડે પ્રતિબંધ-રૂપ છે.
જયારે ભોગો પ્રત્યે નો ધિક્કાર પરિપાક (પૂર્ણતા) ની દશાને પ્રાપ્ત થાય છે,ત્યારે "વિચાર" પ્રગટ થાય છે.
(નોંધ-બલિરાજાને આ રીતે જ વિચાર પ્રગટ થયો હતો!!)
જેમ,સમુદ્રથી મેઘ વૃદ્ધિ પામે છે અને મેઘથી સમુદ્ર વૃદ્ધિ પામે છે-
તેમ,વિચારથી ભોગોનો ધિક્કાર વૃદ્ધિ પામે છે.અને ભોગોના ધિક્કારથી વિચાર વૃદ્ધિ પામે છે.

જેમ,પરસ્પર સ્નેહવાળા સંબંધીઓ,પરસ્પરની સહાયતા થી મોટા કાર્યને સિદ્ધ કરે છે,
તેમ,ભોગોનો ધિક્કાર,વિચાર અને આત્માનું અવલોકન-પરસ્પર ની સહાયતાથી મોક્ષને સિદ્ધ કરે છે.
એટલે (આમ) પહેલાં (પ્રથમ) દૈવ નો અનાદર કરીને અને પુરુષ-પ્રયત્ન વડે (દાંતોથી દાંતોને  પીસીને)
"ભોગો પર અરુચિ" ઉત્પન્ન કરવી જોઈએ.

(અને એ અરુચિ ઉત્પન્ન કરવા માટેના ક્રમમાં) સહુ પ્રથમ તો-બાંધવોની જેમાં સંમતિ હોય અને
દેશાચારથી વિરુદ્ધ,ના હોય -તેવા ઉદ્યમથી અનુક્રમે ધનનું સંપાદન કરવું.
પછી તે ધનથી સારાગુણોવાળા સુજન મહાત્માઓનું આરાધન કરીને,
તેમને વશ કરવા.મહાત્માઓના સમાગમથી (સત્સંગથી) ભોગોમાં અરુચિ ઉત્પન્ન થાય છે-અને-
ભોગોમાં અરુચિ થવાથી 'વિચાર" પ્રાપ્ત થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE