Mar 24, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-459

ઉદ્દાલક સ્વગત કહે છે કે-આ અહંકાર રૂપી મોટો ભ્રમ અજ્ઞાનથી જ ઉઠેલો છે,માટે
"આ મારું છે અને આ બીજા અમુકનું છે" એમ માનીને જગત વૃથા જ ગોથાં ખાધા કરે છે.
"તત્વ" (આત્મ-તત્વ) નું અવલોકન નહિ કરવાથી જ ઉત્પન્ન થયેલો,આ અહંકાર-રૂપી ચમત્કાર -એ-"તત્વ"ના અવલોકન થી પીગળી (નાશ પામી) જાય છે.
બ્રહ્મ થી જુદી સત્તા-વાળું કંઈ પણ નથી,જે કંઈ છે તે બ્રહ્મ જ છે,અને તે બ્રહ્મ મારું તત્વ છે-માટે હું તેની જ ભાવના કરું.આ અહંકાર-રૂપી-બ્રહ્મ -કે જે મિથ્યા જ છે-
માટે તેનું (અહંકારનું) પાછું કદી સ્મરણ ના થાય તેમ તેને ભૂલી જવું જ યોગ્ય છે,એમ હું માનું છું.

અનાદિ કાળથી થયેલા આ અહંકાર-રૂપી-બ્રહ્મને તેના મૂળ-રૂપ-અજ્ઞાન ની સાથે ત્યજી દઈને,
શાંત થઈને હવે હું પોતાના-સ્વ-રૂપમાં જ રહું.
ભાવના વડે કરવામાં આવેલો દેહાદિમાં અહંભાવ (હું પણું) -એ-અનર્થો ના સમૂહ ને આપે છે,
પાપને ફેલાવે છે,અને સંતાપને જ ફેલાવે છે.એટલે કે અનેક દોષો ને ફેલાવ્યા કરે છે.
જન્મ ને અંતે મરણ અને મરણ ને અંતે જન્મ છે-અને સઘળા ભોગ્ય પદાર્થો(તેમના નાશ પામવાના સ્વભાવને કારણે) ક્ષણ-ભંગુર કહેવાય છે,અને અંતે  દુઃખ આપે છે,માટે આ સંસાર-રૂપી-વેદના બહુ ભૂંડી છે.

દુષ્ટ-બુદ્ધિવાળાઓને "આ મળ્યું અને આ હવે મળશે" એવા પ્રકારની બળતરા આપનારી પીડા શાંત થતી જ નથી.
"મારી પાસે આ વસ્તુ છે અને આ વસ્તુ નથી" એવી ચિંતા અહંકારને જ અનુસરે છે,એટલે-
જો અહંકાર-રૂપી વૃક્ષ રસ વિનાનું થઇ પથરા જેવું થઇ જાય,તો ફરી વાર તે અંકુરિત થતું નથી.
આ મિથ્યા જગત નો જે કંઈ ભેદ-રૂપ વ્યવહાર છે,તે પણ ખોટો જ છે,તો હવે-
"તું અને હું" એવો ભ્રમ ક્યાંથી બાકી રહે?

જેમ, ઘડો અનાદિ-કાળથી માટીમાં હતો,હાલ પણ માટીમાં જ છે અને ભવિષ્યમાં પણ માટીમાં જ રહેશે,
તેમ,દેહ,અનાદિ કાળથી બ્રહ્મમાં જ હતો,હાલ બ્રહ્મમાં જ છે અને ભવિષ્યમાં બ્રહ્મમાં જ રહેશે.
પૂર્વ-કાળ અને ઉત્તર(ભવિષ્ય)-કાળમાં કેવળ બ્રહ્મ-રૂપે જ રહેનારું -આ દેહાદિ-મધ્ય-કાળમાં
થોડીક વાર જડ-રૂપે વ્યવહાર કરતું જોવામાં આવે છે-તે પણ બ્રહ્મ જ છે.બીજી કોઈ વસ્તુ નથી.

આ જળના (ક્ષણિક) તરંગ જેવા,ક્ષણ-ભંગુર દેહમાં,જેઓ સ્થિર-પણા નો વિશ્વાસ રાખી બેસે છે-
તે કુબુદ્ધિ-લોકોને દુઃખી થનારા જ સમજવા.આ સઘળા નામ-રૂપો પહેલાં પણ નહોતાં,પછી પણ નહિ હોય,
પણ મધ્યમાં જ દેખાય છે-તો, તેવા પદાર્થોમાં વિશ્વાસ રાખવો,એ કેવું અભાગિયા-પણું છે !!!

જેને સત-કે અસત કહી શકાતું જ નથી અને જે વિચાર કરતાં ની સાથે જ છુપાઈ જાય છે,એવું ચિત્ત,
આદિ અને અંતમાં શાંત-બ્રહ્મ-રૂપે જ રહે છે, તો આ ચિત્ત મધ્ય-કાળમાં કોઈ અન્ય-રૂપે કેવી રીતે ઉદય પામે?
આમ,સંસાર-રૂપી ભ્રાંતિ અમુક (મધ્ય) સમયમાં જોવામાં આવે છે,અને પાછી તેના બાધથી તેને મિથ્યા સમજતાં,તરત ક્ષીણ થઇ જાય છે.જે,સ્વપ્ન ની અંદર જોયેલા પદાર્થો થોડા સમય સુધી જ રહે છે-તેમ,
આ જગત-રૂપી ભ્રમ,એ મોક્ષ થતાં સુધી જ રહે છે.

હે,ચિત્ત,( તારું કલ્પેલું) કાળ નું ઓછા-વત્તા-પણું-એ-વ્યવહાર સંબંધી વસ્તુઓમાં,
સર્વદા સત્ય-પણાની ભ્રાંતિ ઉપજાવી,સુખ=દુઃખો ના નિમિત્ત-રૂપ તને જ પીડે છે.
જો કે તે તારો અપરાધ નથી પણ,હું (અહંકાર) કે-જે  તારામાં "હું-પણા" નો મિથ્યા અભ્યાસ કરાવનાર છે,
તેનો જ (અહંકાર નો) જ અપરાધ છે,
કે જે અપરાધને લીધે,તું ઝાંઝવાનાં જળ ની પેઠે મિથ્યા હોવા છતાં,સાચા જેવું દેખાય છે.
અને જે તારું કરેલું (કર્મો વગેરે) હોય છે તે મારા (મનુષ્યના) કરેલા જેવું જ થઇ જાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE