Mar 23, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-458

ચૈતન્ય જ સર્વના આત્મા-રૂપ છે,અને સર્વના જીવન-રૂપ છે.માટે તેને કઈ વસ્તુ અપ્રાપ્તય  છે કે-જેની તે ઈચ્છા કરે?અનેક દુષ્ટ વિકલ્પોની પંક્તિઓથી ભરેલી,જીવવા-મારવાની કલ્પના મન ને જ થાય છે,
પણ આત્મા કે જે નિર્મળ છે તેને થતી નથી.
આમ,જેને દેહાદિ માં અહંભાવ થયો હોય,તેને જ જન્મ-મરણો પ્રાપ્ત થાય છે.જયારે,આત્માને તો દેહાદિમાં અહંભાવ થયો જ નથી,માટે તેને જન્મ-મરણની પ્રાપ્તિ ક્યાંથી જ હોય?

અહંકાર -એ મિથ્યા મોહ-રૂપ જ છે,મન એ જડ છે (કે જે વિચારથી નષ્ટ થઇ જાય તેવું છે,
અને શરીર તો માંસ-રુધિર મય છે-તો આમાંથી "હું દેવ છું" એવું અભિમાન ધરવાને કોઈ યોગ્ય નથી.
ઇન્દ્રિયો સર્વદા પોતાના અર્થે જ પોતપોતાના વિષયોની લાલચથી કામ કર્યા કરે છે,અને
વિષયો પોતાના સ્વ-રૂપ થી જ રહ્યા છે-તો તેઓમાં દેહાભિમાનને પોષણ આપીને ઉપકાર કરે-તેવું કોઈ નથી.

સત્વ-ગુણ-એ-પ્રકાશ આપવા-રૂપી પોતાનું કામ કર્યા કરે છે,
રજો-ગુણ પ્રવૃત્તિ આપવા-રૂપી પોતાના કામ માં જ તત્પર રહે છે,તમો-ગુણ મોહ આપવારૂપી કાર્ય કરે જાય છે,માયા -એ ત્રણે ગુણો ના સામ્ય-રૂપ પોતાના સ્વભાવમાં જ રહે છે,અને
બ્રહ્મ પણ પોતાના સત્તા-રૂપ સ્વ-ભાવમાં જ રહ્યું છે-તો હવે આ સર્વમાં "હું દેહ છું" એવું અભિમાન કોણ કરી શકે?

આ દેહમાં જે આત્મા છે-તે તો સર્વમાં વ્યાપક,સઘળા દેહોમાં રહેનાર,સર્વ કાળ-મય અને સર્વથી મહાન,
પરમાત્મા જ છે,તેથી તેને પણ અહંકારનું પાત્ર ગણી શકાય તેમ નથી.

માટે આ અહંકાર-એ તે કોઈ જાતનો છે?કેવા આકાર-વાળો છે?કોણ છે? કેવો છે ?કોણે કરેલો છે?
શા કારણથી થયેલો છે?કેવા વર્ણન વાળો છે?કોના વિકાર-રૂપ છે ? અને શી ચીજ છે?
એમ કોઈ પણ રીતે તેનું વર્ણન કરી શકાતું નથી, માટે મિથ્યા જ છે.
આવા મિથ્યા-ભૂત અહંકારની ભાવના રાખીને હું શું લઉં? અને શું છોડી દઉં?
અહંકાર નામનો કોઈ પદાર્થ જ વિચારમાં ટકી શકતો નથી-કેમકે-તેને "તે છે" એમ કહેવામાં પણ કોઈ યોગ્ય યુક્તિ નથી.માટે તે રજ્જુમાં દેખાતા સર્પ ની જેમ અનિર્વચનીય જ છે.

આ પ્રમાણે અહંકાર અનિર્વચનીય છે અને હું તો સદા સતા-રૂપ જ છું,
માટે મને અહંકાર નો સંબંધ શા કારણથી ઘટે? અને કયા પ્રકારથી ઘટે?
અહંકારનું હોવું-એ મુદ્દલે સંભવતું જ નથી,તો પછી તેની સાથે કોને સંબંધ ઘટે? અને કેવો સંબંધ ઘટે?
આ પ્રમાણે અહંકાર નો સંબંધ સિદ્ધ થતો જ નથી,માટે તેનાથી થતી,"તું અને હું" એ કલ્પના જ ઉડી જાય છે.

બ્રહ્મથી જુદા પદાર્થ ની શોધ કરવા બેસતાં,કોઈ જુદો પદાર્થ મળતો જ નથી,તેથી જગતમાં આ જે કંઈ સઘળું છે તે બ્રહ્મ-રૂપ જ છે.અને હું પણ સત્તા-રૂપ છું માટે હું પણ બ્રહ્મ જ છું તો હવે વૃથા શોક શા માટે કરું છું?
એક જ નિર્મળ સ્વ-રૂપ,સર્વમાં વ્યાપક થઈને રહેલું છે,તો હવે અહંકાર-રૂપી કલંક નો ઉદય કેમ અને શાથી સંભવે?
આ જુદા જુદા જે પદાર્થો જોવામાં આવે છે-તેઓ મુદ્દલે છે જ નહિ,કેમકે જે કંઈ છે તે આત્મા જ છે.
અને કદાચ તે પદાર્થો છે,તેમ કલ્પવામાં આવે તો પણ -આત્માને તો-તે પદાર્થો સાથે કોઈ સંબંધ નથી.

જેમ, મન સ્વપ્નાવસ્થામાં પોતે પોતામાં જ સઘળા પદાર્થોને ઉત્પન્ન કરીને લીલા કરે છે,
તેમ જાગ્રત માં પણ મન જ પોતે,પોતામાં ઇન્દ્રિયો-આદિ-સઘળા પદાર્થો ને ઉત્પન્ન કરીને લીલા કરે છે.
આત્મા તો અસંગ છે-માટે તેને કોનો સંબંધ હોય? શા કારણથી સંબંધ હોય? અને કેમ સંબંધ હોય?
જેમ,પથરો,લોઢું અને સળી-એ એક જગ્યાએ પડ્યાં હોય તો પણ તેમને એકબીજા સાથે કંઈ લાગતું વળગતું નથી,તેમ,દેહ,ઇન્દ્રિયો,મન તથા ચૈતન્ય-એ સઘળાં એક સ્થળે જોવામાં આવે પણ,
તેમને પણ એકબીજા સાથે કંઈ લાગતું વળગતું નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE