Apr 6, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-472

(૫૭) જે દૃશ્ય છે તે ચૈતન્ય જ છે
વસિષ્ઠ કહે છે કે-જેમ મરીમાં તીખાશ રહેલી છે-તેમ,આત્મામાં ચૈતન્ય-પણાને લીધે-જે "અનુભવ" રહ્યો છે,
તે જ (હું-પણા તથા તું-પણા - રૂપ તથા દેશ-કાળ આદિ-રૂપ) "જગત-રૂપે"  થયેલ  છે.
આત્મામાં જે અનુભવ રહ્યો છે-એટલે કે-આત્મામાં પોતાથી જ જે સત્તા-રૂપ અનુભવ રહ્યો છે,
તે જ જાણે,દૃશ્ય-રૂપ થઈને આત્મામાંથી બહાર આવેલો હોય-તેમ,હું-પણા,તું-પણા આદિ-રૂપે દેખાય છે.

આત્માના પ્રકાશનું જે પોતાની મેળે જ સ્ફુરણ છે-
તેને જ જીવ "આ હું-પણું તથા આ તું-પણું" છે એક કલ્પી લે છે.
આત્મા-રૂપ ચૈતન્ય ની અંદર જે ચૈતન્ય-રૂપ અમૃત છે-તે સ્વયં-પ્રકાશ-પણાથી,
આત્મા ના જ અનુભવમાં આવતા "હું-પણા,તું-પણા" વગેરે રૂપે ઉદય પામે છે.
પરમાત્મા-રૂપી ગોળની અંદર જે ચૈતન્ય-પૂર્ણ માધુર્ય છે,
તેને તે પરમાત્મા પોતાથી જ પોતામાં -હું-પણા,તું-પણા- વગેરે રૂપે અનુભવે છે.

હે,રામ,"જગત-રૂપ માયિક આકાર,સ્વયં-પ્રકાશ આત્માના અનુભવ-રૂપ જ છે" એમ તમને સમજાવવા માટે,
મેં તમારી આગળ આ વિચાર કહ્યો છે.માટે તે ઉપરથી એમ ના સમજવું કે-
"જાણનાર અને જાણવા યોગ્ય પદાર્થ જુદા છે અને અનુભવનાર અને અનુભવવા-યોગ્ય પદાર્થ જુદા છે"
કેમ કે-આત્માની અંદર કોઈ જાણવા યોગ્ય પદાર્થ કે અનુભવવા-યોગ્ય પદાર્થ જ નથી.
માટે તે આત્મા,કોઈ પદાર્થ જાણતો કે અનુભવતો નથી.

એ પરમાત્મા ની અંદર કોઈ વિષય જ નથી,કે જેના રૂપને પરમાત્મા ગ્રહણ કરે.અને -
તે પરમાત્મા ની અંદર બીજો કોઈ મેળવવાનો પદાર્થ જ નથી કે જેને તે પરમાત્મા મેળવે.
અનંત અને ભરપૂર સ્વરૂપ-વાળા એ પરમાત્મામાં આ જગત-રૂપ આકાર મિથ્યા જ દેખાય છે.

ઉપર કહેલા ઉપદેશથી મેં તમને એમ જ સમજાવ્યું કે-
"હું-પણા તથા તું-પણા આદિ-રૂપ "જગત" નામનો ભેદ પરમાત્મામાં મુદ્દલે છે જ નહિ.
ચિત્ત પણ નથી,દૃષ્ટા પણ નથી કે જગત-વગેરે ભ્રમ-રૂપ દૃશ્ય પણ નથી.

જેમ,વરસી રહીને ખાલી થયેલું વાદળું,પ્રથમ પાતળું થઈને પછી શાંત થઇ જાય છે,
તેમ અધિષ્ઠાન-રૂપે રહેલું આ જગત,પહેલાં પાતળું થઈને પછી સઘળું શાંત થઇ જાય છે.
તત્વવેત્તા પુરુષ --"પોતાના "જાણનાર-પણા" માં  
"જાણનાર અને જાણવાનો વિષય એ અંશો કલ્પિત છે,અને જાણ (જ્ઞાન) એ અંશ જ સત્ય છે"
એમ પોતાનામાં થયેલા જ્ઞાનની વૃદ્ધિને લીધે સમજે છે.

અજ્ઞાની જે જે વાસનાને લીધે,જે જે વિષયના જ્ઞાનથી,જે જે પ્રકારે જેવી જેવી તૃપ્તિને પ્રાપ્ત થાય છે,
તે તે વાસના-રૂપે,તે તે વિષયો-રૂપે,તે તે પ્રકાર-રૂપે અને તેવી તેવી તૃપ્તિ-રૂપે-
પરમાત્મા માં જ વિવર્ત પામે છે.
પરમાત્મા કે જે કોઈ ભિન્ન પદાર્થ જ નથી,એટલે,તેમાં જે જુદાઈ જેવું સમજવામાં આવે છે,તે ભૂલ જ છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE