May 9, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-496

જેમ,પવન સઘળા આકાશમાં રહેલો હોવા છતાં પણ પંખાને હલાવવાથી પ્રગટ થાય છે,
તેમ,આત્મા સર્વદા સર્વ પદાર્થોમાં રહેલો હોવા છતાં,પણ અંતઃકરણના ઉદયથી પ્રગટ થાય છે.
જેમ સત્તા સર્વ પદાર્થોમાં છે તેમ આત્મા સર્વ પદાર્થોમાં છે.
જે,પદાર્થોમાં અંતઃકરણ હોય તો તેમાં એ આત્મા જીવ-રૂપે પ્રતિબિંબ વાળો થાય છે.પણ,પથ્થરમાં અંતઃકરણ નહિ હોવાથી-તે આત્મા તેમાં- જીવ-રૂપે-પ્રતિબિંબ-વાળો  થતો નથી.

જેમ,આકાશમાં સૂર્યની સ્થિતિથી જ લોકોના વ્યવહાર ચાલે છે,
તેમ,અંતઃકરણમાં જીવ-રૂપે આત્માની સ્થિતિથી જ પ્રીતિ (પ્રેમ) થાય છે તથા વિચિત્ર ભોગોની ઈચ્છા થાય છે.કારણકે પરમ-પ્રેમ નું સ્થાન આત્મા જ છે,માટે જે કંઈ પ્યારું લાગે છે તે આત્માના અર્થે જ પ્યારું લાગે છે.
સર્વદા સર્વમાં રહેનારો આ આત્મા કદી જન્મતો નથી,કદી પણ મરતો નથી,કદી કશું લેતો નથી,
કદી કશું ઈચ્છતો નથી,કે કદી મુક્ત કે બંધન-વાળો થતો નથી.

આ દેહાદિ-રૂપી ભ્રાંતિ કે જે આત્માના અજ્ઞાનથી ઉદય પામેલી અને ખોટી હોવા છતાં પણ દેખાવમાં આવતી હોવાને લીધે,રજ્જુમાં સર્પ ની ભ્રાંતિ જેવી છે.તેથી તે કેવળ દુઃખ દેનારી છે.
આ આત્મા અનાદિ છે માટે કદી પણ જન્મેલો નથી અને જન્મેલો નથી એટલા માટે મરતો પણ નથી.
આત્મા પોતાનાથી જુદા કોઈ પદાર્થને ઈચ્છતો નથી,કારણ કે કોઈ પદાર્થ આત્માથી જુદો છે જ નહિ.
આ આત્મા દેશ-કાળ-આદિના માપથી રહિત હોવાને લીધે કદી બંધાયેલો નથી,
અને એમ હોવાથી મુક્ત પણ થતો નથી.માટે આત્મા મોક્ષથી રહિત છે.

હે રામ,સર્વનો આત્મા આ સ્વભાવવાળો છે,છતાં આ મૂઢ લોકો વિચાર કર્યા વિના કલેશ પામે છે.
તમે જગતના સઘળા આજુબાજુ ના ક્રમને સારી પેઠે જાણ્યો છે,એટલે તમે મૂઢોની જેમ શોક કરો નહિ.
જેમ,કેટલાએક મનુષ્યો પોતે કંઈ કામ નહિ કરતાં,યંત્ર થી સઘળું કામ ચલાવે (કરે) છે,
તેમ વિદ્વાને બંધન અને મોક્ષની કલ્પના ને ત્યજી દઈને,
પોતે કંઈ રાગ-દ્વેષ નહિ કરતાં,દેહાદિ થી વ્યવહાર ચલાવવો જોઈએ.

મોક્ષ-એ કંઈ આકાશ-પાતાળ કે પૃથ્વીમાં પણ નથી.યથાર્થ જ્ઞાનથી આત્માકાર કરેલું ચિત્ત એ જ મોક્ષ છે.
કોઈ પણ વિષયમાં આસક્તિ નહિ રહેવાથી,પોતાની મેળે ચિત્તનો ક્ષય થાય-તેને મહાત્માઓ મોક્ષ કહે છે.
હે રામ,જ્યાં સુધી નિર્મળ બોધ ઉદય પામ્યો ન હોય,ત્યાં સુધી મૂર્ખતાને લીધે,કંગાળ-પણા તથા ભક્તિથી
(આત્માને અપ્રાપ્ત માની લેવાથી) મોક્ષ ઇચ્છવામાં આવે છે.

હે રામ."આ મોક્ષ છે અને આ બંધ છે" એવી વેવલી કલ્પનાને ત્યજી દઈને,મહા-ત્યાગી થઈને,
તમે પોતે-જ-મોક્ષ-રૂપ થાઓ.સઘળી ભેદની કલ્પનાને છોડી દઈ,અંદરથી આસક્તિ-રહિત થઇ અને
સર્વદા જીવનમુક્તપણાથી શોભા ધરીને તમે આ ભૂમંડળ નું લાંબા સમય સુધી પાલન કરો.

(૭૪) પ્રમાદથી ભ્રાંતિ અને પ્રબોધ થી પૂર્ણતા

વસિષ્ઠ કહે છે કે-હે રામ,જેમ અત્યંત રૂપાળો મનુષ્ય જો  કદી પણ પોતાના મોઢાને અરીસામાં ના જોતો હોય,
તો,તેને પોતાના હૃદયમાં પોતાના કદરૂપ-પણાની બુદ્ધિ થાય છે,
તેમ,આત્મા પોતાના સ્વ-રૂપને ના જુએ તો તેને સૃષ્ટિ-આદિના સમયમાં ક્ષણ-માત્રમાં શરીર પ્રાપ્ત થાય છે.
જેમ,મદિરાનો થોડોક પણ સ્વાદ લેવાથી,પણ મદ (નશો) ઉત્પન્ન થાય છે,
તેમ,શરીરમાં અહંતા ના થોડા અધ્યાસથી પણ -ખોટી છતાં મોટી,રાગદ્વેષ-રૂપી ખોટી ખટપટ ઉત્પન્ન થાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE