Jun 20, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-534

જેમ,પર્વતને શ્વાસના પવનો ડોલાવી શકતા નથી,તેમ,જે ધીર પુરુષને,
સુખ-દુઃખોની દશાઓ- આત્માના અનુસંધાનમાંથી દૂર કરી શકે નહિ-તેના ચિત્તને નષ્ટ થઇ ગયેલું સમજવું.
"આ દેહ હું છું,અને દેહથી ન્યારું જે સર્વ છે-તે હું નથી"
એવી રીતની ભાવના જે પુરુષને નીચ ન કરી નાખે-તેનું ચિત્ત નષ્ટ થઇ ગયેલું કહેવાય.
આપદા (મુશ્કેલીઓ),કંગાળપણું,ઉત્સાહ,મદ,માંદાપણું,અને મહોત્સવ-
જેના મુખ ના વર્ણને (ફેરફારને) દબાવી શકે નહિ,તેના ચિત્તને નષ્ટ થયેલું સમજવું.

હે રામ,ચિત્તનો નાશ આવા પ્રકારનો સમજવો.જીવનમુક્ત પુરુષના ચિત્તના નાશની દશા આવા પ્રકારની હોય છે.દૃશ્ય પદાર્થોને ભ્રાંતિથી સાચા સમજીને,તેનું મનન કરવામાં આવે છે-એ મૂઢતા જ છે એમ સમજો.
એ મૂઢતા જયારે નષ્ટ થઇ જાય ત્યારે "ચિત્તનાશ" એ નામ ધરાવનારો ઉત્તમ સ્વભાવ ઉદય પામે છે.

હે રામ,આવા પ્રકારનો ચિત્ત-નાશ કે જે જીવનમુક્ત પુરુષોના સ્વભાવ-રૂપે હોય છે-
તેને જ કેટલાક પુરુષો,"ચિત્ત" (સત્વ ચિત્ત) એવું નામ આપે છે.
આવા સ્વભાવ-વાળું,જીવનમુક્તનું ચિત્ત,મૈત્રી આદિ ગુણોથી યુક્ત થાય છે, ઉત્તમ વાસનાવાળું થાય છે,
અને પુનર્જન્મના સંબંધથી રહિત થાય છે-તેવા એ ચિત્તને "સત્વ" એ નામથી કહેવામાં આવે છે.
જેમ,વસંતમાં મંજરીઓ દીપી નીકળે  છે,તેમ "સત્વ" નામ ધરાવતા
ચિત્તમાં મૈત્રી આદિ ગુણોની સંપત્તિઓ ખીલી ઉઠે છે.

હે રામ,મેં જે ચિત્તનો "અરૂપ" નાશ કહ્યો-એ તો વિદેહમુક્ત ને જ થાય છે,
કારણકે તેનું ચિત્ત,અત્યંત નાશ થવાથી,આભાસ-રૂપે પણ રહેતું નથી.એટલે કે-
જીવનમુક્તિના સમયમાં મૈત્રી-વગેરે ગુણોથી મુક્ત રહેનારું ચિત્ત (સરૂપ) જયારે અત્યંત પવિત્ર નિર્મળ પદ,
વિદેહમુક્તિ ને પ્રાપ્ત થાય છે-ત્યારે જ તે ચિત્ત નો અત્યંત નાશ થઇ જાય છે (અરૂપ)
આમ વિદેહમુક્તિમાં જે "અરૂપ" નામનો ચિત્તનો નાશ થાય છે તેમાં,ચિત્તનો લેશમાત્ર ભાગ બાકી રહેતો નથી.

વિદેહમુક્તિમાં ગુણો પણ રહેતા નથી,દુર્ગુણો પણ રહેતા નથી,લક્ષ્મી પણ રહેતી નથી,ગરીબાઈ પણ રહેતી નથી,ચપળતા પણ રહેતી નથી,ઉદય કે અસ્ત પણ રહતો નથી,હર્ષ કે ક્રોધ પણ રહેતો નથી,
અંધારું કે અજવાળું,રાત કે દિવસ,કે દિશાઓ,આકાશ,પાતાળ,અનર્થો,વાસનાઓ,તૃષ્ણા,વૈરાગ્ય,આસક્તિ,
પ્રિય કે અપ્રિય-આમાંનું કશું પણ રહેતું નથી.

એ વિદેહમુક્તિનું પદ કોઈ કર્માદિને પ્રાપ્ત થતું નથી,અને આ પદ,જીવનમુક્ત લોકોને -
પ્રારબ્ધના ક્ષયને અંતે જ પ્રાપ્ત થાય છે.પૂર્ણ શુદ્ધ આકાશની તે વિદેહમુક્તને ઉપમા આપી શકાય.
જેમ,પવનોનું મોટું સ્થાન આકાશ છે,તેમ સંસારના,આડંબરના,તથા બુદ્ધિના પારને પામેલા,
તત્વવેત્તાઓનું એ "વિદેહમુક્તિ" નામનું પદ મોટું સ્થાન છે.

એ પદ કે જે દુઃખોથી અત્યંત રહિત છે,ચેતન હોવા છતાં,પણ ક્રિયાઓથી રહિત છે,આનંદ-રૂપ છે,અને
રજોગુણ,તમોગુણ કે સત્વગુણ થી પણ રહિત છે.તેમાં ચિત્તના અંશથી પણ,અત્યંત રહિત થયેલા,
એ બ્રહ્મ-સ્વ-રૂપ ને પામેલા વિદેહમુક્ત મહાત્માઓને વિદેહમુક્ત જ કહે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE