Dec 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-703

હે રામચંદ્રજી,એ તત્વને પામ્યા પછી શોક કરવો પડતો નથી,ભૂખ-તરસથી પીડાવું પડતું નથી
અને ભીંત વગેરેથી રોકાવું પડતું નથી.અપાર બ્રહ્માકાશ-રૂપ એ પરમાત્મા સર્વત્ર સામાન્ય-સત્તા-રૂપે રહે છે.
તે વિષે જો,જરા પણ વિચાર કરવામાં આવે તો તમે પલભરમાં જ જીવનમુક્ત મુનિ થશો.
અને વ્યવહાર સંબંધી કાર્યો કર્યા કરવા છતાં પણ ફરીથી પરિતાપ પામશો નહિ.


રામ કહે છે કે-મન,બુદ્ધિ,અહંકાર અને ચિત્ત,જેમાં ક્ષય પામે છે-એવા નિર્વિશેષ સ્વયંપ્રકાશ બ્રહ્મ-તત્વને -
તમે સત્તા-સામાન્ય કહો છે કે-મન-આદિ વિશેષો-વાળા સર્વાત્મા ઈશ્વરને તમે સત્તા-સામાન્ય કહો છે?
જો નિર્વિશેષ બ્રહ્મ-તત્વને તમે સત્તા-સામાન્ય કહેતા હો,તો,તેમાં બ્રહ્મા-આદિ કોઈ પણ વિશેષની સ્થિતિ સંભવતી નથી,અને મન-આદિ વિશેષોવાળા ઈશ્વરને તમે સત્તા-સામાન્ય કહેતા હો-
તો,તેમાં દુઃખોનો સમૂહ નાશ થાય તે સંભવિત નથી.

વસિષ્ઠ કહે છે કે-પ્રપંચનો બાધ થયા પછી જે નિર્વિશેષ રહે છે-
અને પ્રપંચનો નાશ થયા પહેલાં જે સવિશેષ રહે છે-
તેઓને જુદાં પાડીને હું,તેઓમાંના કોઈને સત્તા-સામાન્ય કહેતો નથી,પણ,સઘળા જીવ-ભાવોમાં,ઈશ્વર-ભાવમાં,અને મુક્તિમાં પણ જે પરોવાયેલા સૂત્રની જેમ અખંડ સત્તા-માત્ર-સ્વ-રૂપે રહે છે-
તેને જ હું સત્તા-સામાન્ય કહું છું,અને તે જ જગતનું તત્વ છે,કે જેમાં તમે ધારેલો કોઈ વિરોધ આવતો નથી.

સર્વમાં વ્યાપક,આદિ-અંતથી રહિત,અને અંતરાય રહિત બ્રહ્મ,
સઘળા દેહોમાં રહીને જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિના સમયમાં,ખાય છે,પીએ છે,તથા ચેષ્ટા કરે છે,
સુષુપ્તિ તથા પ્રલયમાં સર્વને તોડી નાખે છે,અને સમાધિમાં સઘળાં દ્રશ્યોથી રહિત થઈને-
દ્રષ્ટા-માત્ર-રૂપે જે અવશેષ રહે છે-તે સંપૂર્ણ બ્રહ્મ-તત્વને હું સત્તા-સામાન્ય કહું છું.

એ સત્તા-સામાન્ય,આકાશમાં આકાશપણાથી,શબ્દમાં શબ્દપણાથી,સ્પર્શમાં સ્પર્શપણાથી,
ત્વચામાં ત્વચાપણાથી,રસમાં રસપણાથી,જીભમાં સ્વાદપણાથી,રૂપમાં રૂપપણાથી,
અને ચક્ષુમાં ચક્ષુપણાથી  રહેલું જોવામાં આવે છે.
એ સત્તા-સામાન્ય (પરમેશ્વર) સ્થિતિમાં સ્થિતિપણાથી,નાશમાં નાશપણાથી,અને ઉત્પત્તિમાં ઉત્પત્તિપણાથી,
બાલ્ય (અવસ્થા) માં બાલ્ય-રૂપથી,યૌવનમાં યૌવન-રૂપથી,જરામાં જરા-રૂપથી અને મરણમાં મરણ-રૂપથી રહેલા છે.તે પરમેશ્વર સઘળા પદાર્થોથી અભિન્ન છે,

તે પદાર્થોમાં જે "અનેક-પણું" છે તે તો મિથ્યા જ છે અને સત્ય-ચૈતન્ય-ભાવ-વાળા-આત્માએ તે કલ્પેલું છે.
હે રામચંદ્રજી,"હું સર્વત્ર રહેલો છું,ચૈતન્ય-રૂપ છું અને હું-રૂપ ચૈતન્યે જ જગત કલ્પેલું છે,
હું જ આ સઘળા જગતમાં  અનેક વિલાસોથી વ્યાપ્ત છું માટે મારાથી બીજું કંઈ નથી"
એવી ભાવના રાખીને -શાંત બુદ્ધિ-વાળા થઈને-સુખથી પોતાના મહિમામાં જ રહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE