Jul 1, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-848

"પ્રવૃત્ત" નાં લક્ષણો
"મોક્ષ જેવું કંઈ નથી,મારે માટે તો સારા-નરસા ભોગોથી ભરેલો સંસાર જ ઠીક છે" એમ નિશ્ચય કરી,જે "નિત્ય-નૈમિતિક-કામ્ય" કર્મો કરે છે,તેને "પ્રવૃત્ત" કહેવામાં આવે છે.
(નોંધ-જેને કરવાથી ફળ ના મળે,પણ ના કરવાથી પાપ લાગે,તેવાં દરરોજનાં થયેલાં "નિત્ય" કર્મ.અમુક કાળે આવી પડતાં-અને તે કરવાં પડતાં -તે "નૈમિતિક" કર્મ,જે ફળને મેળવવાની ઈચ્છા કરી અને ફળ મેળવવા માટે શાસ્ત્રને અનુસરીને કરેલાં તે "કામ્ય" કર્મ,
જે રાગ(આસક્તિ) થી પ્રેરાઈને શાસ્ત્ર વિરુદ્ધ કરેલાં કર્મ તે "ત્યાજ્ય" કર્મ)

અનેક વાર મૃત્યુના મુખમાં પેસવું,અને તેમાંથી વળી પુનર્જન્મ-રૂપે બહાર નીકળવું,આમ અનેક જન્મો લેવા પડે,ત્યારે તે જન્મોના નાતે,કોઈ પુણ્ય-યોગથી વૈરાગ્ય-આદિ સાધન-સંપત્તિ થતાં,
તે પ્રવૃત્ત મનુષ્ય વિવેકી થાય છે અને સ્વર્ગમાં જાય છે.ત્યાં પણ જો ત્યાં નવા પુણ્યો ના કરવામાં આવે,
તો પોતે કરેલાં પુણ્યોનો ક્ષય થતાં તેને પાછો પૃથ્વી પર ધકેલી દેવામાં (નવો જન્મ) આવે છે.(તેનો મોક્ષ નથી)

"નિવૃત્ત"નાં લક્ષણો
આ સંસારની વિવિધ વિરુદ્ધતા વાળી સ્થિતિ સાર વિનાની છે,માટે હવે બહુ થયું !
સ્વર્ગ-આદિ અયોગ્ય ફળો લાવનાર,તેનાં તે -કર્મો વડે દિવસ ગાળવાથી શું સાચું ફળ (મોક્ષ) મળવાનું છે?
ક્રિયા (કર્મો)થી થનારા વિકારો વિનાનું પરમ શાંતિનું ધામ ક્યાં હશે?
આવું વિચારીને જયારે  "મારે એ શાંતિનું ધામ (મોક્ષ) અવશ્ય મેળવવું જ છે"
એવો જે અંદર નિશ્ચય બાંધે-ત્યારે તે પુરુષ "નિવૃત્ત" કહેવાય છે.

એવો સારી બુદ્ધિ-વાળો પુરુષ જયારે  "હું વૈરાગ્યવાન થઈને શી રીતે આ સંસાર-સાગરને તરી જાઉં?"
એ પ્રમાણે વિચારે છે,ત્યારે તેના પોતાના ચિત્તની અંદર,ભોગો અને તે સંબંધી ચિંતાઓમાં "વૈરાગ્ય" થવા માંડે છે.
ચિત્ત-શુદ્ધિ કરનારી સજ્જનોની સોબત,ઈશ્વરની ભક્તિ,મંત્ર,જપ,પવિત્રતા-વગેરે ઉત્તમ ક્રિયાઓમાં (કર્મોમાં)
તે મંડયો રહે છે અને તેમાં જ રાજી (ખુશ) રહે છે.

તે રાગ (આસક્તિ)થી થતા જંગલી કર્મોનું વિશ્લેષણ કરે છે,બીજાને કઠોર લાગતાં કઠોર વચનો બોલતો નથી,
પુણ્ય કર્મોનું સેવન કરે છે,મનને ઉદ્વેગ ના થાય તેવાં કોમળ કર્મો (યમ-નિયમ-આદિ) કરે છે,પાપથી દુર રહે છે,
ભોગને ઈચ્છતો નથી,સ્નેહ અને વિવેકથી ભરેલાં કોમળ વચનો જ બોલે છે.
ઉપર પ્રમાણેના સારા ગુણો,જે પુરુષ જયારે મેળવે,ત્યારે તેને "પ્રથમ ભૂમિકા (શુભેછા)" પ્રાપ્ત થાય છે.

મન-વચન-કર્મથી શમ,દમ,જ્ઞાન,વિજ્ઞાન-આદિથી સંપન્ન મહાત્મા પુરુષોની જે સેવા કરે છે,
અને તે મહાત્માઓના મુખથી શ્રવણ કરી જ્ઞાનશાસ્ત્રોનું અવલોકન કરી સંસાર-સાગરને તરી જવા,
જુદાજુદા "વિચાર" માં ઉતરે છે-તે "પ્રથમ ભૂમિકા" ને પ્રાપ્ત થયેલો ગણાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE