Aug 8, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-882

સર્વ, એક બ્રહ્મ-રૂપ હોવાથી આભાસ થવાનો કંઈ પણ જુદો વિષય જ નહિ હોવાને લીધે,
આભાસ (ચિદાભાસ) પણ નથી.એટલે,જગતનું મૂળ બીજ અહંકાર જ છે તેમ તમે સમજો.
અહંકાર-રૂપી સૂક્ષ્મ બીજમાંથી જ આ જગત-રૂપ-વૃક્ષ ઉત્પન્ન થાય છે.
વિષયોમાં "આસક્તિ" થવા-રૂપી-રસ વડે ભરેલા નીચેના લોકો(ભૂલોક-વગેરે),જગત-રૂપી-વૃક્ષના મૂળ-રૂપ છે.અજ્ઞાન,તે જગત-રૂપ વૃક્ષની ઉત્પત્તિ થવાની જગ્યા-રૂપ છે,સર્વ જીવો પક્ષીઓ-રૂપ છે,ભ્રાંતિ-જ્ઞાન એ તેના
થડ-રૂપ છે,અને તત્વ-જ્ઞાન વડે જે મોક્ષ થવો,તે તે વૃક્ષને બાળી નાખનાર દાવાનળ-રૂપ છે.

ઇન્દ્રિયો વડે પદાર્થોનો સંબંધ થવો અને મન વડે સંકલ્પ-વિકલ્પ થવો-
એ સર્વ જગત-રૂપ વૃક્ષના સુગંધના સમૂહ-રૂપ છે,અને આ અનંત આકાશ તેના વિશાળ-વન-રૂપ છે.
"આત્મ-ચૈતન્ય" એ તે વૃક્ષના જીવનના આધાર-રૂપ-રસનો પ્રવાહ છે.
સૂર્ય-ચંદ્ર-અગ્નિ-આદિનો પ્રલય-કાળમાં લય કરી દેનાર "સૂત્રાત્મા" એ પવનની લહર-રૂપ છે.

(૮) સંસાર-વૃક્ષનો ઉચ્છેદન-વિધિ

ભુશુંડ કહે છે કે-હે વિદ્યાધર,નીચેના સાત-લોકો સહિત પૃથ્વી-રૂપ મૂળ પ્રદેશમાં રહેલું,આગળ જણાવ્યા પ્રમાણેનું આ જગત-રૂપી વૃક્ષ અહંકારમાંથી ઉત્પન્ન થાય છે અને જો તેનું એ બીજ જ્ઞાન-રૂપી અગ્નિ વડે બાળી નાખવામાં આવે તો પછી કશું ઉત્પન્ન થતું જ નથી.જો કે તાત્વિક દૃષ્ટિએ અહંકાર શોધવા જઈએ-તો,
"સર્વ બ્રહ્મ-માત્ર જ છે" એમ જણાયાથી અહંકારનું અસ્તિત્વ રહેતું જ નથી.(અહંકાર કોઈ દિવસ છે જ નહિ)
અહંકાર વિષે આટલું જ માત્ર (ઉત્તમ) જ્ઞાન જ પુરતું છે કે જેથી તે અહંકારનું બીજ શેકાઈ જાય છે.

સૃષ્ટિના આરંભ-કાળમાં આ સૃષ્ટિ ઉત્પન્ન જ જો નથી થઇ તો હું-પણું કે તું-પણું ક્યાંથી ઘટે? અને
દ્વિત્વ-એકત્વ-આદિની ભ્રાંતિ પણ કેમ સંભવે? કોઈ પણ મનુષ્ય,જો,વિવેકી અધિકારી પુરુષ,શાસ્ત્ર અને
ગુરુ  દ્વારા,સર્વ (તત્વ) જાણી લઈને,તેમાં બતાવેલા માર્ગ અનુસાર જો યત્ન કરે,
તો-જ તે (અનુભવથી) મોક્ષ નામનું ફળ આપનારા પોતાના "વિવેક"ને પ્રાપ્ત થાય છે,
બાકી યત્ન કર્યા સિવાય,માત્ર જાણવા-માત્રથી (માહિતી-માત્રથી) કશું થતું નથી.
"આ જગત,સ્વપ્નની જેમ કેવળ ચૈતન્ય-તત્વનો જ ચમત્કાર છે-તે સિવાય બીજું કંઈ જ નથી" એમ તમે સમજો.

જેમ,ચિત્રકારના ચિત્તમાં કલ્પાયેલું ચિત્ર,મનમાં સંકલ્પ સ્ફૂરતાં દેખાય છે,અને સંકલ્પ ના સ્ફૂરે તો લય પામી જાય છે,તેમ આ જગત-રૂપી ચિત્ર માત્ર સંકલ્પ સ્ફૂરવાથી જ જોવામાં આવે છે,અને સંકલ્પ ના સ્ફૂરે તો લય પામે છે.
જેમ,આ જગત એક સુંદર મંડપ છે, એવો સંકલ્પ કરનાર પુરુષને,તે સંકલ્પ જ (લાંબા કાળની ભાવનાથી) આબેહૂબ,જાણે નજર આગળ જ તરતો હોય તેવો થઈને સાચા જેવો જ ભાસે છે,
તેમ,આ જગત-રૂપી-મંડપ વિધાતાના સંકલ્પ-માત્રથી થયેલો છે,અને ચિત્રકારના ચિત્તમાં રહેલા ચિત્રની જેમ,
તે માત્ર ચૈતન્ય-તત્વના ચમત્કાર-રૂપ છે (મિથ્યા છતાં સંકલ્પ-માત્રથી સ્ફૂરેલ)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE