Dec 28, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1024





(૭૩) અધ્યારોપનો ક્રમ
રામ કહે છે કે-હે મહારાજ,આપે બ્રહ્મ-તત્વનો જે ઉપદેશ કર્યો,તે હું સારી રીતે સમજ્યો છું.
આપની આ કથા-રૂપી-અમૃતનું શ્રવણ કરતાં મને તૃપ્તિ થતી નથી,માટે આપ ફરીવાર ઉપદેશ કરો.
સૃષ્ટિ આદિ ભ્રાંતિની દૃષ્ટિ અને શૂન્યતા આદિની દૃષ્ટિ,એ બંનેમાંથી એકેય સત્ય કે અસત્ય કહી શકાતી નથી.
આમ છે તો જે કંઈ પરમ સત્ય તત્વ છે-તે વિવર્તભાવથી સર્વ-રૂપ થઇ રહેલ છે,તેનું યથાર્થ સ્વરૂપ હું સમજી
ગયો છું,તથાપિ આ બોધ બરોબર દૃઢ થાય તે માટે આપ ફરીવાર આ સૃષ્ટિનો અનુક્રમ કહો.

વસિષ્ઠ કહે છે કે-જે કંઈ આ સર્વ પ્રકારનું દેશ-કાળ-ક્રિયા-આદિવાળું સ્થાવર-જંગમ જે જગત દેખાય છે,
તે સર્વનો નાશ થાય છે,તેમ જ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-ઇન્દ્ર અને વાયુ એ સર્વનો પણ મહાપ્રલય આવીને ઉભો
રહે છે ત્યારે,શાંત,અતિનિર્મળ,નિર્વિકાર,અનાદિ અને સત્ય એવું કંઇક અવર્ણ્ય તત્વ જ અવશેષ રહે છે.
એ તત્વનું વર્ણન કરવા વાણી અસમર્થ છે.તો બીજું શું કહેવું?

એ પરમ-તત્વની અપેક્ષાએ પરમ-સૂક્ષ્મ-આકાશ પણ અતિ-સ્થૂળ ગણાય છે.સર્વના કરતાં અતિસ્થૂળ એવું
બ્રહ્માંડ પણ એ તત્વની પાસે (અપેક્ષાએ) અત્યંત સૂક્ષ્મ દેખાય છે.તે પ્રલય-કાળ,સૂર્ય-આદિના અભાવને લીધે,
ગણતરી વિનાનો હોવાથી ઘણા લાંબા કાળ સુધી ચાલે છે.ત્યારબાદ મહાશાંત ચિદાકાશ-રૂપ એ પરમતત્વ,જાણે
સ્વપ્ન-દશાનો અનુભવ કરતો હોય તેમ થઇ રહે છે.અને પોતામાં લીન થઇ રહેલા જગતના સંસ્કાર,જાગ્રત થવાથી
જાણે પોતાના પરમ સ્વરૂપને,પરમ-સૂક્ષ્મ-જીવ-રૂપે થઇ રહેલો હોય એમ અનુભવે છે.

અસત્ય છતાં પણ સ્વપ્નની જેમ તેની અંદર 'ભાવના'ના બળથી (શક્તિથી કે માયાથી) તે પોતે બહુ વિશાળ-રૂપે
વિસ્તરે છે.અને પોતાના સર્વત્ર વિસ્તરી રહેલ ચિદરૂપને જ બ્રહ્મ-શબ્દ (ॐ)ના અર્થ-રૂપે અનુભવે છે.
(નોંધ-બ્રહ્મ-રૂપી-તરંગવિહીન આકાશની અંદર રહેલા વાયુમાં એક તરંગ થાય છે-જે ધ્વનિ-બ્રહ્મ-શબ્દ-ॐ છે)
ચિદ-સત્તા ચેતનપણાના લીધે પોતાની અંદર પોતાને અણુરૂપે (જીવ-રૂપે) અનુભવે છે,અને પોતે જાણે તેને જુદે-રૂપે
દેખતી હોય તેમ થઇ રહે છે.પછી તે પોતે જાણે દૃષ્ટા-રૂપ હોય તેવી થઇ જાય છે.

જેમ સ્વપ્નની અંદર એક જ દૃષ્ટા,પોતાના સ્વરૂપની અંદર પોતાની મેળે જ પોતાને મરી ગયેલ દેખે છે,
પણ,એ મરનાર પોતે જ પોતાના મરણનો દૃષ્ટા છે,અને એ બંનેમાંથી એકે ય જુદા નથી,
તેમ,એ ચિદ્રુપ પરમ-સૂક્ષ્મ તત્વ,પોતાના સ્વરૂપની અંદર અનેક પ્રકારની કલ્પના જુદેજુદે રૂપે અનુભવે છે.
અને એ ચિદ-સત્તા અંદર એક(અદ્વૈત) છે છતાં પણ કેમ જાણે દ્વૈત-પણાને પ્રાપ્ત થઇ રહી હોય-તેમ ભાસે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE