Feb 10, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1066






સિદ્ધ મહાત્મા (વસિષ્ઠને) કહે છે કે-રમ્ય (મનને ગમતા) પદાર્થોમાં મને અરમ્યપણું જોવામાં આવ્યું,
સ્થિર પદાર્થોમાં મેં અસ્થિરતા જોઈ,અને સત્ય જણાતા પદાર્થોમાં મે અસત્યતાનો અનુભવ થયો.
આથી હું વૈરાગ્યવાન થયો છું.મન વાસના રહિત થઇ જાય છે ત્યારે આત્મ-શાંતિમાં જે કંઈ સુખ મળે છે
તે સુખ,ત્રણે લોકોના કોઈ ભોગોમાં મળતું નથી.જ્યાં સુધી મને દૃઢ વૈરાગ્ય થયો નહોતો,ત્યાં સુધી જ,
વિષયો,મને તેમની તરફ ખેંચી જતા હતા,પરંતુ હવે લાંબે કાળે હું અહંકારથી પણ રહિત થઇ ગયો છું
અને મારી બુદ્ધિ વડે,હવે મેં સ્વર્ગ-મોક્ષ-આદિમાં પણ વૈરાગ્ય સંપાદન કર્યો છે,

આમ,જયારે મને,ઘણા લાંબા સુધી એકાંતમાં વિશ્રાંતિ લેવાની ઈચ્છા થઇ એટલે તમારી જેમ જ હું દૂર પ્રદેશ એવા
આકાશમાં આવી ચડ્યો અને એ પર્ણકુટી મારા જોવામાં આવી.પણ આ પર્ણકુટી આપની છે,
એવું જ્ઞાન મને આજે જ થયું છે.આપ પાછા અહી આવશો,એવો વિચાર મારા ચિત્તમાં આવ્યો જ નહોતો.
હું અહી આવ્યો તે સમયે મેં અનુમાનથી જાણ્યું કે-કોઈ સિદ્ધ મહાત્મા અહી રહેતા હતા,
અને તે પોતાની મેળે જ દેહનો ત્યાગ કરી દઈને નિર્વાણને પ્રાપ્ત થઇ ગયેલા છે.

હે ભગવન,આ મારું વૃતાંત છે.હવે આ અપરાધમાં દંડ કે અનુગ્રહ,જે કંઈ આપના ધ્યાનમાં આવે તે સુખેથી કરો.
સિદ્ધ પુરુષો પણ જ્યાં સુધી સમાધિ-પરાયણ થઇ પોતાના અંતરાત્મામાં બધી વસ્તુ વિષે ઉત્તમ બુદ્ધિ વડે વિચાર કરી
પૂરેપૂરો નિર્ણય કરતા નથી,ત્યાં સુધી તેમને ત્રણે કાળમાં બનનાર વૃતાંતનું કોઈ પણ બરાબર જ્ઞાન થતું નથી.
બ્રહ્મા-આદિના મનનો પણ એવો જ સ્વભાવ છે તો પછી મારા જેવા અલ્પજ્ઞને માટે તો શું કહેવું?

(૯૪)પિશાચનું વર્ણન અને જગત-બ્રહ્મનું ઐક્ય

વસિષ્ઠ (રામને) કહે છે કે-પછી તે વિશાળ પૃથ્વી પર તે સિદ્ધ મહાત્માને મેં પૂછ્યું કે-કેવળ તમે જ મારા વિષે વિચાર કર્યો
નથી એમ નથી,પણ મેં પણ તમારી સ્થિતિનો વિચાર કર્યો નહોતો,કેમ કે દેહધારી યોગીઓને પણ સર્વ વિષયમાં,
સમાધિ (મનની એકાગ્રતા) વિના ભૂત-ભવિષ્ય આદિ બાબતનું જ્ઞાન થતું નથી.
જો મને પ્રથમથી જ આપની અહીંની આ પર્ણકુટી વિશેની ખબર હોત,તો હું તમારા વૃતાંતનો વિચાર કરીને
આકાશની અંદર આ પર્ણકુટીને સ્થિર કરત, કે જેથી તમે ત્યાં સ્થિર સ્થિતિ કરી શકત.

હવે તો તમે અહીંથી મારી સાથે ચાલો અને આપણે બંને આપણા સિદ્ધ-લોકની અંદર યથાસ્થિતપણે જઈ રહીએ,
કેમ કે પોતાના આત્માની વિક્ષેપ વગરની સ્થિતિ સંપાદન કરવામાં 'પોતાના સ્થાનમાં જ શાંત-પણે રહેવું'
તે જ ઉત્તમ સાધન છે.આવી રીતે નિર્ણય કરી,અમે બંને જણ એક સાથે જ આકાશમાં ઉડ્યા અને પછી અમે
એકબીજાને પ્રણામપૂર્વક રજા આપી,એટલે તે સિદ્ધ પોતાના અભીષ્ટ પ્રદેશ (નંદનવન) માં ચાલ્યા ગયા
અને હું મારા અભીષ્ટ પ્રદેશ (સપ્તર્ષિ-લોક) માં ચાલ્યો ગયો.

રામ કહે છે કે-આપનો આ પાર્થિવ દેહ તો અણુરૂપ થઇ ગયો હશે,તો કયા દેહ વડે,આપે સિદ્ધલોકમાં ફર્યા?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE