Apr 29, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1140



મુનિ કહે છે કે-હું પ્રથમની વાત ભૂલી જઈ વ્યવહારમાં પ્રવૃત્ત થઇ ગયો.'આ આ મારા માતા-પિતા ને આ મારું ઘર છે'
એવી પ્રતિભા પણ મને એકદમ ઉત્પન્ન થઇ આવી.એ ઘરમાં બંધુવર્ગ જોડે હું રહેતો હતો અને જાગ્રત-આદિ અવસ્થાનો
અનુભવ કરતો હતો.એમાં અનેક દિવસો વીત્યાં,ને તે ગામ,ઘર-વગેરે સત્ય હોય તેમ મને જણાવા લાગ્યું.આગળ વર્ણવેલા
દામ,વ્યાલ.કટ ના આખ્યાનમાં કટ પોતે વાસના રહિત હતો છતાં મત્સ્યના સહવાસથી
તે પૂર્વની વાત ભૂલી જઈ મત્સ્ય-રૂપ બની ગયો હતો,તેમ,મને પણ તે ગામના લોકોના સહવાસના અભ્યાસથી,
કાળે કરી,પ્રથમની જ્ઞાન-દ્રષ્ટિનું વિસ્મરણ થઇ ગયું હતું અને હું તે ગામડામાં રહેનાર બ્રાહ્મણ-રૂપ થઇ રહ્યો.

અવિવેકથી,મારી આસ્થા કેવળ પોતાના દેહ-માત્રમાં જ બંધાઈ હતી ને શરીરને જ મેં આત્મા-રૂપ માની લીધું હતું.
હું સ્ત્રી,પુત્ર,ધન-આદિમાં જ લંપટ થઇ રહ્યો હતો.અમુક કાર્ય (કર્મ) છે ને અમુક અકાર્ય છે-
એવા પાશ વડે હું પરવશ બન્યો હતો.એવી રીતે આયુષ્ય ગાળતા મારાં સેંકડો વર્ષો ચાલ્યા ગયા.

પછી કોઈ એક દિવસે એક આત્મજ્ઞાની તપસ્વી મારે ઘેર પધાર્યા,મેં તેમની પૂજા કરી,અને તેમણે મારે ત્યાં વિશ્રામ લીધો.
તેમણે કેટલીક કથાઓ કહી અને એમાં એક કથા-પ્રસંગ નીકળતાં તેમણે મને બોધ કર્યો કે-
'આ સર્વ ચિન્માત્ર છે,અનંત છે અને અવિકારી છે.એ ચિન્માત્ર તત્વ,યથાસ્થિત પણે પોતાના સ્વરૂપમાં રહ્યા છતાં
જાણે (વિવર્ત  ભાવે) જગત-રૂપે થઇ રહ્યું જણાય છે'

હું તેમના બોધમાં તલ્લીન થઇ ગયો.ત્યારે મેં મારા વૃતાંતનું સ્મરણ કર્યું,તો જે (મનુષ્ય)ના ઉદરમાં  મેં પ્રવેશ કર્યો હતો,
તે મનુષ્યના ઉદરમાં પણ સર્વ જગત રહેલું હોવાથી,તેનું વિરાટ-રૂપ મને સમજાયું.
પછી મેં તેના ઉદરમાંથી બહાર નીકળવાનો ઉદ્યોગ કર્યો.અને તેના પ્રાણવાયુમાં પ્રવેશ કર્યો.
'અહીં રહેલા આ વિરાટ-રૂપ પ્રાણીની બહારની રચનાને અને બીજા વિરાટમાં રહેલી અંદરની રચનાને હું જોઇશ'
એવો મેં બુદ્ધિ વડે નિર્ણય કર્યો અને તેવી ધારણા બાંધી તે પૂર્વ-પ્રદેશનો મેં ત્યાગ કર્યો.

જેમ પુષ્પમાંથી સુગંધ બહાર નીકળે છે તેમ હું પણ તે મનુષ્યના પ્રાણવાયુ સાથે બહાર નીકળ્યો.
અને આસપાસ જોતાં મારો પદ્માસન વાળીને બેઠેલો દેહ મારા જોવામાં આવ્યો કે જે એક ઋષિના શિષ્યો વડે રક્ષાયેલો
હતો.અને હું જે પુરુષના દેહમાંથી બહાર નીકળ્યો હતો તેનો સૂતેલો દેહ પણ મારા જોવામાં આવ્યો.
આ સર્વ આશ્ચર્ય જોઇને મેં કોઈને કશું કહ્યું નહિ,પણ ફરીવાર કૌતુક જોવાની ઇચ્છાથી તેના હૃદયમાં મેં ફરીવાર
પ્રવેશ કર્યો.આમ પહેલાંની વાસનાથી વ્યાપ્ત,તે જ બંધુઓને જોવાની ઇચ્છાથી હું તેના હૃદયના ઓજ (તેજ)ના પ્રદેશમાં
જઈ પહોંચ્યો.ને જોયું તો ત્યાં દારુણ પ્રલય પ્રવૃત્ત થયો હતો.ને જગત રૂપાંતરને પ્રાપ્ત થયું હતું.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE