Aug 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1232

આકાશના જેવા નિર્વિકાર અને ભાવિ એવા અનેક નામને ધારણ કરનાર,'તત્વ' જ,સૂર્ય-આદિના પ્રકાશ વડે,
પ્રકાશ કરવા-રૂપી વૃક્ષના બીજ-રૂપ છે,ને તેમાંથી રૂપના ભેદથી સંસાર પ્રસરે છે.
તે તત્વમાંથી પોતાની મેળે જ રસ-તન્માત્ર ઉત્પન્ન થાય છે કે જે અન્ન-પાન વગેરે સમુદાયના માધુર્ય-આદિના
અનુભવ-રૂપ કહેવાય છે. (સમષ્ટિ)'જીવ' જ ભાવિ એવાં નામ-રૂપોના સંકલ્પોને ધારણ કરનાર,
આ સર્વ કાર્ય-કારણના સમૂહ-રૂપ છે,અને તે પોતે સંકલ્પ વડે ગંધ-તન્માત્રાને પણ ઉત્પન્ન કરે છે.
ભૂગોળ પણ તેમાંથી જ ઉત્પન્ન થાય છે,તેથી તે આકાર-રૂપી-વૃક્ષના બીજ-રૂપ છે
અને સર્વના આધાર તથા આત્મા-રૂપ છે ને તેની વડે જ આ સર્વ સંસાર પ્રસરે છે.

આવી રીતે પંચ-તન્માત્રનો સમૂહ વસ્તુતઃ ઉત્પન્ન નહિ થયા છતાં ઉત્પન્ન થઇ ગયો છે અને કલ્પનાના જ બળથી
નિરાકાર છતાં સાકાર થઇ રહ્યો છે.આ પંચ-તન્માત્રનો સમૂહ કાકતાલીયની જેમ પોતે જે પ્રદેશ વડે રૂપને અનુભવે છે
તેને ચક્ષુ કહે છે,જે પ્રદેશ વડે શબ્દને અનુભવે છે તે શ્રોત્ર કહેવાય છે,જે પ્રદેશ વડે સ્પર્શને અનુભવે છે તેને ત્વચા-ઇન્દ્રિય
કહેવાય છે,જે પ્રદેશ વડે રસનો અનુભવ કરે છે તે રસના (જીભ) કહેવાય છે અને જે પ્રદેશ વડે ગંધને અનુભવે છે
તેને ઘ્રાણેન્દ્રિય (નાક)કહેવાય છે.

જેમ,એક નિયમિત આકૃતિને ધારણ કરી રહેલો જીવ,દિશા-કાળ-આદિના ભેદને કલ્પી લે છે
અને વ્યષ્ટિભાવને લીધે,સર્વાત્મ્યભાવના અભાવથી સર્વ અંગથી સર્વને જાણી શકતો નથી,
તેમ,અનંત સંસાર સંબંધી કલ્પના પ્રત્યેક જીવમાં આત્માની અંદર જ રહેલી છે,તે અનુમાન વડે જ અનુભવાય છે,
પણ અનંત-પણાથી તે વર્ણવી શકાતી નથી.તે આત્મા-રૂપ જ છે અને આત્માથી જુદી નથી.
પરમાર્થ દૃષ્ટિથી જોતાં,તે ઉદય-અસ્તને પ્રાપ્ત થતી નથી પણ આનંદ-ઘન નિર્વ્યાપારપણે રહેલી છે.

(૧૮૮) જીવના સ્વરૂપનું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-આ જીવ -એ ચિદાભાસ-રૂપ જ છે અને તેની જે ઉત્પત્તિ આદિ બતાવેલી છે તે બોધ કરવા માટે જ છે,
કેમ કે તે પરબ્રહ્મથી અભિન્ન છે.આ ચિદાભાસ (જીવ) એ બ્રહ્મનો ઉપાધિ-યુક્ત અવયવ છે અને તે અકૃત્રિમ છે.
આ ચિદાભાસ દૃશ્યને દૃષ્ટા-રૂપે અનુભવતાં 'જીવ' નામે કહેવાય છે.
તે મુખ્ય પ્રાણ અને જ્ઞાનેન્દ્રિયો-કર્મેન્દ્રિયોને ધારણ કરે છે તેથી તેને 'જીવ'-શબ્દ વડે કહેવામાં આવે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE