Oct 8, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1274

આ ત્રણે લોક ચિદેકરસ (ચિદ-એક-રસ) હોઈ અનાદિ અને અનંત એવા બ્રહ્માકાશ(ચિદાકાશ)-રૂપ જ છે,
આથી એ પરમેશ્વર (બ્રહ્માકાશ) જે જે સંકલ્પ કરે છે તથા જે જે કર્મ કરે છે,તે તે સર્વ આવરણથી રહિત એવા
સત્ય-સંકલ્પને લીધે,જીવથી કરાયેલ (જીવ-કૃત) કર્મ,પર (અન્ય)લોક-આદિમાં સેંકડો યોજનો અને યુગોનું અંતર
હોવા છતાં,જાણે નજીક જ હોય,તેમ (સ્વપ્નની જેમ) વર્તમાનકાળના જેવું જ કાર્ય કરી આપે છે.
આત્મા એક હોવાથી તે આવરણથી રહિત છે અને તેથી તે દેશ અને પરલોકમાં શા માટે કર્મને ન ભોગવે?

જેમ પ્રકાશી રહેલા મણિની અંદર તેની કાંતિનો ચળકાટ અને ઝાંખાશ અનુભવમાં આવે છે,
તેમ ચિદાકાશ-રૂપી મણિની અંદર તેનો વિવર્ત,જગતના સૃષ્ટિ-પ્રલય-રૂપે અને અનેક પ્રકારના કર્મફળના
યોગની વિચિત્રતા-રૂપે પ્રતીતિમાં આવે છે.વિધિ-નિષેધનું પ્રયોજન લોકોની મર્યાદા રક્ષવા માટે છે.
સંસ્કાર-રૂપે તે દૃઢ થઇ જવાથી પરલોકમાં ગયા પછી પણ જીવને સફળતા આપનાર નીવડે છે,
બાકી વસ્તુતઃ જોઈએ તો આત્માને તો જન્મ-મરણ એવું કશું છે જ નહિ.તે તો સદા બ્રહ્મ-રૂપ છે,
પણ ભ્રાંતિને લીધે સ્વ-સ્વરૂપનો આભાસ જ ભિન્ન ભાસે છે.

બ્રહ્માનું સંકલ્પ-નગર પણ એક જાતની તેની કલ્પના જ છે.તે કલ્પના જયારે દૃષ્ટા-દૃશ્ય-આદિ રૂપે પોતે જાણે
જગતના આકારે થઇ રહી હોય એમ ભાસે છે-ત્યારે જગત ઉત્પન્ન થયું-એમ કહેવાય છે.
જયારે એ બ્રહ્મા (હિરણ્યગર્ભ)સ્વભાવને લીધે પોતાના વિવર્તને સમેટી લઇ,એક ચિદાકાશ-રૂપ એવા પોતાના
સ્વરૂપમાં સ્થિતિ કરે છે ત્યારે એ સમષ્ટિ-જીવ (વિરાટ કે બ્રહ્મા) શાંત થઇ રહેલ છે-એમ કહેવામાં આવે છે.

હે રાજા,પોતાના સંકલ્પની અંદર પરમેશ્વર ક્ષણેક્ષણે કે પ્રતિ-વસ્તુએ (દરેક વસ્તુએ) સંકલ્પ જ નથી કર્યા કરતા,
પણ કલ્પનાથી એક વાર જ સંકલ્પ કરે છે કે 'અમુક જાતની વસ્તુ અમુક કાર્ય કરનાર થાઓ ને અમુક પ્રકારે ઉત્પન્ન થાઓ'
પછી તેને લીધે બીજાંકુર આદિના ક્રમથી,ઘાસમાંથી ઘાસ જ ઉત્પન્ન થવું -વગેરે ક્રમ બંધાઈ જાય છે.
ક્ષણવારમાં એ હિરણ્યગર્ભ પોતે જે સંકલ્પ કરે છે-તેમાં તે પદાર્થો,તેના અવયવી,શક્તિ,કાર્ય-આદિ ભેદો અને
કાર્યની પરંપરાઓ,એક જ વખતના સંકલ્પથી સિદ્ધ થઇ જાય છે,એવો તે ચિદેકરસ-તત્વનો સ્વભાવ છે.

સર્વ પદાર્થો,ભિન્ન-ભિન્ન આકાર અને સ્વભાવને ધારણ કરી રહ્યા છતાં એક સાર-રૂપ અધિષ્ઠાનની અંદર જ
તેમની સ્થિતિ છે.અને પ્રત્યેકમાં (તેમના આત્મામાં)બ્રહ્મ-રૂપતા અને ચિન્માત્રતા રહેલાં છે.
સર્વના આત્મા-રૂપ એ ચિદ-સત્તા જ્યાં જેવા પ્રકારે રહેલી હોય છે ત્યાં તેવા પ્રકારે તેનું ભાન થાય છે.
એ બ્રહ્મ કશા-રૂપ નથી છતાં અધ્યારોપ-દૃષ્ટિથી જોતાં તે અનિર્વચનીય-રૂપે  થઇ રહેલ હોય તેવું જણાય છે.
પોતે સદ-રૂપ છે છતાં જાણે અસત્ય-પદાર્થ-રૂપે થઇ રહેલ હોય તેવી પ્રતીતિ થાય છે,કેમ કે એ પરમ-તત્વ જ
સર્વના આત્મા-રૂપ છે.અને સર્વમાં તે સર્વ જેવા સ્વભાવ-રૂપે (માયાથી) થઇ રહેલ છે-એમ ભાસે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE