Oct 9, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1275

(૨૦૯) વિશુદ્ધ કર્મની સફળતા

વસિષ્ઠ કહે છે કે-હવે,પ્રયાગ-આદિ ક્ષેત્રમાં પુરુષની ગતિ વિષેના પ્રશ્ન વિષે કહું છું તે તમે સાંભળો.
પહેલી સૃષ્ટિ ઉત્પન્ન કરતી વખતે (આગળ કહ્યું તેમ) બ્રહ્માએ પોતાના સંકલ્પ વડે ક્ષેત્રોનું ને પદાર્થના ધર્મોનું
અમુક ફળ નિયત કરી રાખ્યું હોય છે.આ જગત તે બ્રહ્માના સંકલ્પનગર-રૂપ  છે.એટલે જે જગતમાં અધિકારીના
વાંછિત અર્થની સિદ્ધિ માટે પ્રયાગ આદિ ક્ષેત્ર કલ્પાયું હોય,તે તીર્થમાં પુણ્યકર્મ કરવામાં આવ્યું હોય,અને
તે પુણ્યકર્મ તથા તે તીર્થ-એ બંને વડે શાસ્ત્ર વડે જોડાતા,તે અધિકારી પુરુષનું શરીર સંસ્કારને પ્રાપ્ત થયું હોય,
તો દૃઢ નિશ્ચય વડે કરેલા કર્મમાંથી તે પુરુષને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

તેનું એ પુણ્ય પણ ચેતન-આત્માની શક્તિ-રૂપ જ છે.વળી તે પુરુષે મહાપાપ કર્યું હોય તો તે શક્તિ જ તે પાપના
કોઈ એક ભાગને કે સંપૂર્ણ પાપને,ક્ષેત્રના માહાત્મ્યને અનુસરીને નિવૃત્ત કરી દે છે.ને પછી પોતે શાંત થઇ જાય છે.
જો પાપ થોડું હોય અને ક્ષેત્રનો ધર્મ તેનાથી વિશેષ હોય,તો પાપનો નાશ થાય છે,ને ફળને સાધી આપે છે.
જો પાપ અને પુણ્ય સમાન શક્તિવાળાં હોય તો પાપ અને પુણ્ય એ બેયનો ભાગ કરવા માટે તેનાં બે શરીર
તથા બે ચિદાભાસ (કલ્પનાથી) ખડાં થઇ જાય છે.(વસ્તુતઃ તો આ પાપ-પુણ્ય એ ભ્રાંતિરૂપ જ છે)

આવી રીતે પાપ-પુણ્ય-આદિનું જે ફળ,જે પ્રમાણે બ્રહ્મા(હિરણ્યગર્ભ)ના સંકલ્પથી કલ્પાયેલું છે તે પ્રમાણે જ
હંમેશ વ્યવસ્થિત થઇ રહેલું છે.બ્રહ્મ એ ચિદ-ધાતુ-રૂપ છે,બ્રહ્મા (હિરણ્યગર્ભ) સમષ્ટિ-જીવ-રૂપ છે,અને
હું તમે -આદિ વ્યષ્ટિ-જીવ-રૂપ છે.તે બ્રહ્મ જે (માયાથી) કલ્પના કરે છે તે જ આ જગત છે.
(સર્વ બ્રહ્મ છે-પણ કલ્પના કે ભ્રાંતિથી) પાપ કરનાર પુરુષને વિધાતાના સંકલ્પ અનુસાર નરકની અને
પુણ્ય કરનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

'હું એકલો શરીરથી છૂટો પડી મરી ગયો છું,આ મારા સર્વ બંધુઓ જીવે છે,ને હું એકલો પરલોકને પ્રાપ્ત થયો'
એવું ભ્રાંતિનું ભાન (પ્રતિભા) ઉદય પામે છે.તે પ્રમાણે સન્નિપાત વડે ક્ષોભ પામેલી વાત-પિત્ત-આદિ ધાતુવાળા
પુરુષને બીજી ભ્રાંતિઓનો પણ ઉદય થાય છે.બંધુઓ-વગેરેનું તે સમયે રોવું,શબને સ્મશાન લઇ જવું,
તેનો અગ્નિદાહ કરવો-આદિ ભ્રાંતિ (પ્રતિભા)નો પણ ઉદય થાય છે.

પોતાથી અતિ ઉગ્ર પુણ્ય-પાપ થઇ ગયાં હોય અથવા મહાત્માઓનો અનુગ્રહ કે નિગ્રહ (વર-શાપ) થયો હોય,
તો ચિદાકાશના બળથી લાખો કર્મો પણ અન્યથા થઇ જાય છે.(બદલાઈ જાય છે કે નાશ-ઉદય પામે છે)
પણ મૃત મનુષ્યના સંબંધીઓ તે મરેલા મનુષ્યને ચેતન વિનાનો અને શબ-રૂપ દેખે છે,
ત્યારે તેને માટે રડે છે અને છેવટે તેના શરીરને અગ્નિદાહ આપીને બાળી નાખે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE