Jan 20, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૦

સ્વામી (માલિક) અને સેવકનો વ્યવહાર કેવો હોય? તે શ્રીરામ અને હનુમાનજી આપણને સમજાવે છે.હનુમાનજીનો આદર્શ અને ધર્મ છે-નિષ્કામ સેવાનો.માત્ર કર્મ કરવા પર અધિકાર રાખ્યો છે,કર્મના ફળ પર કોઈ અધિકાર રાખ્યો નથી,”મેં કશું કર્યું નથી-પ્રભુએ કરાવ્યું ને બધું ફળ પ્રભુનું છે” તો પછી સ્વામીનો ધર્મ શું? સ્વામીનો ધર્મ છે- સેવકની કદર કરવાનો.
શ્રીરામ ફરી ફરી હનુમાનજીને છાતી સરસા લગાવે છે,ને આંખમાં હર્ષના આંસુ સાથે કહે છે કે-“હું તારા ઉપકાર હેઠળ છું,હું તારું ઋણ કોઈ રીતે વાળી શકું તેમ નથી.”

અહીં જો ઊંડાણથી વિચારવામાં આવે તો-શ્રીરામ તે વખતે વનવાસી અને અકિંચન (ધન વગરના) હતા 
એટલે આવું કહ્યું હોય તેમ નથી,વળી ભવિષ્ય તરફ તેમની દૃષ્ટિ હોય-એટલે કે-
“હું રાજા થઈશ ત્યારે આનો બદલો વાળીશ.” એવું પણ તે કહેવા માગતા હોય તેવું નથી.
તેઓ તો કહે છે કે-“તો હિ ઉરીન મૈ નાંહિ”—“હું તારા ઋણમાંથી છૂટી શકું તેમ નથી.”
અહીં તો શ્રીરામ,હનુમાનજીના ઋણમાંથી છુટવા જ ઇચ્છતા નથી.

સ્વામીનો સેવક પ્રત્યે આવો ભાવ જોઈએ.ઉપકારનો બદલો વાળે (આશિષ આપીને કે કૃપા કરીને)
તો પણ અંતરમાં તે એમ જ સમજે કે-ઉપકારના ઋણમાંથી કદી છુટાતું નથી.
અને એટલે જ શ્રીરામ તેમના નાનામાં નાના સેવકનો આભાર માનવામાં સંકોચ રાખતા નથી.
જેવો સેવકનો અનન્ય ભાવ છે,તેવી જ સ્વામીમાં સહૃદયતા છે.મનની ઉદાત્તતા છે.

શ્રીરામ તો પરમાત્મા છે,સર્વ-શક્તિમાન છે,રાજાધિરાજ છે.
હનુમાનજી એ જે કાર્ય કર્યું તે તો જો પોતે ધારે તો પલકમાં કરી શક્યા હોત.પણ,સેવક ભલેને સુગ્રીવ જેવો કે 
બીજા ગમે તેવો હોય,પણ અહીં ક્યાંય તેમનામાં સેવક પ્રત્યે જરા સરખી પણ કઠોરતા દેખાતી નથી.
સેવક એકવાર તો શું?સો સો વાર મરવાનું પસંદ કરે તેવા આ સ્વામી છે.

અને આવા સ્વામી (પરમાત્મા)ને જ બધો યશ આપવામાં સેવક પોતાનું ગૌરવ સમજે છે.
અને એટલે જ હનુમાનજી કહે છે કે-“પ્રભુ,મેં કશું જ કર્યું નથી,આ બધો પ્રતાપ તમારો છે,તમારા પ્રતાપનો યશ મને આપી મને શરમાવો નહિ,તમે ઈચ્છો તો રૂ વડવાનલને બાળી નાખે,અને તમે ના ઈચ્છો તો વડવાનલ પણ રૂ ને બાળી શકે નહિ.હું તો રૂ જેવો ક્ષુદ્ર –તે વડવાનલ જેવી લંકાને બાળી શક્યો.તે આપનો જ પ્રતાપ છે.” 
અને હનુમાનજીના આ શબ્દો –એ સુંદરકાંડની ઉત્કૃષ્ટતાનું દર્શન છે.

સુંદરકાંડ-સમાપ્ત

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE