Jun 13, 2020

ભાગવત રહસ્ય -૩૦૪

કંસને જયારે યોગમાયાએ આકાશવાણી દ્વારા કહ્યું કે-તારો કાળ જન્મી ચુક્યો છે.તેથી કંસ ગભરાયો.કંસના પોતાના માણસોએ તેને કહ્યું કે-જન્મ થયો એટલે હજુ એ બાળક જ હશે.આપ આજ્ઞા કરો તો ગોકુળનાં તૂરતનાં જન્મેલાંથી ત્રણ વર્ષ સુધીનાં-તમામ બાળકોને મારી નાખીએ.“તો ના રહે બાંસ ના રહે બાંસુરી “ અને કંસે મંજૂરી આપી.
અને આમ નક્કી થયા મુજબ –ત્રણ વર્ષ સુધીનાં તમામ બાળકોને મારી નાખવા -પૂતના (રાક્ષસી) ને ગોકુળ તરફ રવાના કરવામાં આવી.

પૂતના શબ્દનો જરા વિચાર કરો.પૂત=પવિત્ર અને ના=નહિ. જે પવિત્ર નથી તે પૂતના.
પવિત્ર શું નથી ? તો કહે છે-અજ્ઞાન એ પવિત્ર નથી. આમ, પૂતના એટલે અજ્ઞાન-અવિદ્યા.
તો પછી પવિત્ર શું છે ? તો કહે છે-કે જ્ઞાન એ પવિત્ર છે.
ગીતા માં કહ્યું છે-કે-જ્ઞાન સમાન પવિત્ર (અને પવિત્ર કરવાવાળું ) બીજું કશું આ સંસારમાં નથી.(૪-૩૮)
જ્ઞાન એટલે પૈસા કમાવાનું જ્ઞાન નહિ.પૈસા કમાવાનું જ્ઞાન તો વેશ્યાને પણ હોય છે.
પણ જ્ઞાન એટલે આત્મજ્ઞાન.આત્મ-સ્વ-રૂપનું જ્ઞાન એ જ્ઞાન છે,જે પવિત્ર છે.

“શરીર અને ઇન્દ્રિયોનું સુખ એ મારું સુખ નથી,મારા શરીરથી હું ભિન્ન છું”-એવું જ્ઞાન તે આત્મજ્ઞાન.
“હું શરીર છું,શરીરનું સુખ એ મારું સુખ છે” એવું જ્ઞાન તે અજ્ઞાન.
મનુષ્ય ઈન્દ્રિયસુખ અને વિષયસુખમાં એવો ફસાય છે-કે-તે “હું કોણ છું?” તેનો વિચાર કરતો નથી.
અને આત્મ-સ્વ-રૂપનું તેને વિસ્મરણ થાય છે,તે જ અજ્ઞાન છે,તે જ પૂતના છે.

અજ્ઞાનમાંથી વાસના જાગે છે.એટલે પૂતના-એ-વાસનાનું સ્વરૂપ છે-એમ પણ કેટલાક મહાત્માઓ કહે છે.
પૂતના ચૌદસના દિવસે ગોકુળમાં આવી છે. ચૌદસના દિવસે કેમ આવી ? તો કહે છે-કે-
પૂતના (અજ્ઞાન-અવિદ્યા-વાસના) ચૌદ ઠેકાણે રહી છે તે બતાવવા.
પાંચ જ્ઞાનેન્દ્રિયો,પાંચ કર્મેન્દ્રિયો,મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર-આ ચૌદ જગ્યાએ પૂતના રહેલી છે.

રામાયણમાં પણ કૈકેયીએ રામનો ૧૪ વર્ષનો વનવાસ કેમ માગ્યો?તો-કહે છે-કે-
રાવણ-એટલેકે કામ,પણ ૧૪ ઠેકાણે રહેલો છે.જે કામ ને મારવા રામ ૧૪ વર્ષ ની તપશ્ચર્યા કરે તો જ તેને
મારી શકે. મનુષ્ય પણ ૧૪ વર્ષ સાદું જીવન જીવે-ધીરે ધીરે ભક્તિ ને વધારે તો કામને મારી શકે.

પૂતના એક એક ઇન્દ્રિયોમાં રહેલી છે, આંખમાં,કાનમાં,જીભમાં –વગેરે સર્વ જગ્યાએ રહેલી પૂતના જીવને બહુ ત્રાસ આપે છે.ધર્મ વિરુદ્ધ,નીતિ વિરુદ્ધ –ઇન્દ્રિયો વિષયોમાં દોડે-ત્યારે સમજવું કે-
ઇન્દ્રિયોમાં પૂતના (વાસના) આવી છે.કોઈના સૌન્દર્યમાં આંખ ફસાય તો-આંખમાં પૂતના છે.
બીભત્સ અને શૃંગારી વાતો કાનને ગમે તો-કાનમાં પૂતના છે.

મોટા સાહેબો ના ઘરમાં રિવાજ હોય છે- કે સાહેબ ઓફિસેથી આવે અને થોડી હાશ લે-એટલે પૂછવામાં આવે કે –આજે શું બનાવીશું ? સાહેબ આરામ-ખુરશીમાં પડ્યા પડ્યા કહે કે-ઘણા દિવસથી કાંદાનાં ભજીયાં ખાધાં નથી.ભજીયાં બનાવો.આ સાહેબ બોલતા નથી પણ સાહેબની લૂલી (જીભ) પર બેઠેલી પૂતના બોલે છે.
સંસ્કૃતમાં કાંદાને –કંદર્પ-કહે છે.તે કામનું સ્વરૂપ છે.એટલે શાસ્ત્રમાં તે વર્જ્ય છે.ધર્મ,નીતિ,શાસ્ત્ર-ના પાડે એવું ખાવાની ઈચ્છા થાય,કે માત્ર લૂલીનાં લાડ લડાવવા માટે જ ભોજન થાય –તો-માનવું કે લૂલી પર પૂતના બેઠી છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE