Dec 3, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-033

 

અધ્યાય-૪૪-જન્મેજયનો રાજ્યાભિષેક 


II सौतिरुवाच II ते तथा मंत्रिणो दष्ट्वा भोगेन परिवेष्टितं I विपण्णवदनाः सर्वे रुरुदुर्भ्रुशदुःखितः II १ II

સૂતજી બોલ્યા-રાજાને,તક્ષકથી ઘેરાયેલો,જોઈને ને તેની ગર્જના સાંભળીને,મંત્રીઓ દુઃખિત થઇ રોવા લાગ્યા 

અને ભયભીંત થઇ ત્યાંથી ભાગવા લાગ્યા,ને ત્યારે રાજા,મૃત થઈને ધરતી પર ઢળી પડ્યો (1-4)

પછી,રાજપુરોહિતે,રાજાની સર્વ પારલૌકિક ક્રિયાઓ કરી,અને નગરવાસીઓએ એકઠા મળી,તેના બાળકપુત્ર જન્મેજયને ગાદીએ બેસાડ્યો.બાળક છતાં બુદ્ધિશાળી તે રાજા,પ્રપિતામહ યુધિષ્ઠિરની જેમ રાજય ચલાવવા લાગ્યો.પછી,કાશીરાજ સુવર્ણવર્મા ની વપુષ્ટમા નામે કન્યાની સાથે તેનો વિવાહ થયો.(5-9)


જન્મેજય પણ વપુષ્ટમાને પામી અતિ પ્રસન્ન થયો અને કદી પણ અન્ય નારી વિષે તેણે ઈચ્છા ન કરી,

અને વપુષ્ટમા પણ રાજાને પતિ તરીકે પામીને,પતિને પ્રેમપૂર્વક રમણ કરાવવા લાગી 

અધ્યાય-44-સમાપ્ત 


અધ્યાય-૪૫-જરત્કારુને પિતૃદર્શન 


II सौतिरुवाच II एतस्मिन्नेव काले तु जरत्करुर्महातपाः I चचार पृथिवीं कुत्सान्नं सायंग्रुहो मुनिः  II १ II

સૂતજી બોલ્યા-એ જ સમયે.મહાતપસ્વી,જરત્કારુ,સમસ્ત પૃથ્વી પર વિચારી રહ્યા હતા,પુણ્યતીર્થોમાં 

વાસ કરી,તેઓ નિરાહારી રહીને,સુકાતા જતા હતા.એક વાર,તેમણે,જેનો એક જ તાંતણો,

બાકી રહ્યો હતો,તેવા,વીરણના ગુચ્છાનો આશ્રય કરીને,ખાડામાં ઊંધે માથે લટકી રહેલા,

પોતાના પિતૃઓને જોયા,અને તે એક તાંતણો પણ દરમાં રહેલ ઉંદર કરડી રહ્યો હતો (1-4)

 

પોતાનું રક્ષણ ઇચ્છતા તે પિતૃઓ પાસેજઈને જરત્કારુ બોલ્યો-આપ કોણ છો? આપનું આયુષ્ય બહુ થોડું 

જ બાકી રહ્યું લાગે છે,તમને વીપટ્ટીમાં પડેલા જોઈ મને દુઃખ થાય છે,કહો,હું આપનું શું ભલું કરું? 

મારા તપના ભાગથી,જો આપ આ આપત્તિને તરી શકો તેમ હો તો મને કહો,તો તે તમોને આપું.


પિતૃઓ બોલ્યા-અમારી આ આપત્તિ તમારા તપના ભાગથી દૂર થાય તેમ નથી,અમારા તપનું ફળ પણ હજુ બાકી છે,સંતતિ-ક્ષયના કારણે અમે આ અપવિત્ર નરકમાં રહીએ છીએ,અમે યાયાવર નામે,વ્રતનિષ્ઠ ઋષિઓ છીએ.

અમે પુણ્યલોકમાંથી ભ્રષ્ટ થઈને આવ્યા છીએ,અમારું તપ નિષ્ફળ ગયું છે,અમારે સંતાન નથી તેવું તો નથી,

અમારી જરત્કારુ નામનો પુત્ર માત્ર તપ કર્યા કરે છે,તેણે ગૃહસ્થાશ્રમ માંડ્યો નથી,તપના લોભથી જ તેણે અમને આ ભૂંડી દશામાં નાખ્યા છે,ને અમે આમ ખાડામાં લટકી રહયા છીએ.(5-21)


એ જરત્કારુ,તમને મળે,તો તેને તમે અમારી આ વાત કરજો અને કહેજો કે તું સારી કન્યાને પરણીને પુત્ર ઉત્પન્ન કર,કેમ કે તે એક જ અમારા કુળનો એક તંતુ છે.તમે જે ઉંદરને જુઓ છે તે એક મહાબળવાન કાળ છે.

કાળથી,હતચિત્ત થયેલા એવા અમોને બીજા કોઈનું તપ તારી શકશે નહિ.કાળથી હણાયેલો તે (જરત્કારુ) પણ,

ચોક્કસ નરકગામી થશે,કેમ કે તપ,યજ્ઞ અથવા કોઈ મહાપાવનકારી કાર્ય,સંતતિ-પ્રાપ્તિની તોલે આવતું નથી.

હે શ્રેષ્ઠ પુરુષ,અમારા વિષે,નીતર કે સંબંધીની જેમ,શોક કરનાર આપ કોણ છે? તે કહો (22-34)

અધ્યાય-45-સમાપ્ત 


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE