Feb 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-100

 
અધ્યાય-૧૦૭-માંડવ્ય-ઋષિનું ઉપાખ્યાન 

II जनमेजय उवाच II किं कृतं कर्म धर्मेण येन शापमुपेयिवान I कस्य शापाश्च ब्रह्मर्पे: शूद्रयोनायजायत II १ II

જન્મેજય બોલ્યા-ધર્મે એવું તે કયું પાપ કર્યું હતું કે,જેથી તે શાપ પામ્યા હતા?

કયા બ્રહ્મર્ષિના શાપથી તે શૂદ્રયોનિમાં જન્મ્યા હતા?

વૈશંપાયન બોલ્યા-માંડવ્ય નામના એક તપોનિષ્ઠ બ્રાહ્મણ હતા,કે જે આશ્રમના બારણામાં આવેલ 

એક ઝાડના મૂળ આગળ હાથ ઊંચા રાખીને મૌનવ્રતમાં,લાંબા કાળ સુધી તપ કરી રહ્યા હતા.

એકવાર,લૂંટારુઓ,ચોરીના માલ સાથે આશ્રમ આવી ચડ્યા,રાજ્યના રક્ષકો,તેમની પાછળ પડ્યા હતા,

એટલે ભયને લીધે,તે લૂંટારાઓએ,ચોરીનું ધન ઋષિના આશ્રમમાં મૂકી દીધું.ને ત્યાં લપાઈ ગયા.

જયારે,રાજ્યના રક્ષકો ત્યાં આશ્રમે આવ્યા ત્યારે,તેમણે ઋષિને ચોરો વિષે પૂછ્યું.કે-ચોરો કયા માર્ગે ગયા છે?'

રક્ષકોના આમ પૂછવા છતાં,ઋષિ કંઈ બોલ્યા નહિ,એટલે તે રક્ષકોએ આશ્રમની જડતી લીધી,

ત્યારે તેમણે,ધન અને લુંટારાઓને આશ્રમમાંથી પકડી પાડ્યા.(1-10)


રક્ષકોને મુનિ વિષે પણ શંકા પડી,એટલે તેમને પણ,ધન અને લૂંટારાઓ સાથે બાંધીને રાજા પાસે લઇ ગયા.

રાજાએ તરત જ 'ચોરો સાથે ઋષિને પણ મારી નાખો' તેવી આજ્ઞા આપી,એટલે તે રક્ષકોએ,ઋષિને ઓળખ્યા વિના જ શૂળીએ પરોવી દીધા.ને રાજા પાસે ચાલ્યા ગયા.શૂળી પર તે માંડવ્ય ઋષિ,લાંબા કાળ સુધી મરણ પામ્યા નહિ,ને તેમણે પોતાનો પ્રાણ ટકાવી રાખ્યો,ને તે મહાત્માએ ઋષિઓને પોતાની પાસે બોલાવ્યા.

 ઋષિઓ,રાતે પક્ષી બનીને આવ્યા,ને માંડવ્ય ઋષિની સ્થિતિ જોઈને દુઃખ પામ્યા,ને તેમને પૂછ્યું કે-

'હે બ્રહ્મન,તમે એવું તે શું પાપ કર્યું છે કે-તમારે આ શૂળીનું મહાદુઃખ સહન કરવું પડે છે?' (11-17)

અધ્યાય-107-સમાપ્ત 


અધ્યાય-૧૦૮-માંડવ્ય ઋષિએ ધર્મરાજને આપેલો શાપ 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-100

II वैशंपायन उवाच II ततः स मुनि शार्दूलस्तानुवाच तपोधनान् I दोषतः कं गमिष्यामि न हि मेन्योSपराध्यति II १ II

મુનિઓમાં સિંહ જેવા તે માંડવ્ય ઋષિએ,તે તપોધનો (ઋષિઓ)ને કહ્યું કે-'હું કોને દોષ આપું?આમાં બીજો કોઈ અપરાધી નથી' પછી,ઘણા કાળ સુધી,તે ઋષિને શૂળી પર જીવતા જોઈને,રખેવાળો રાજા પાસે ગયા,ને તેમને સર્વ નિવેદન કર્યું,ત્યારે રાજા,મંત્રીઓ સાથે મંત્રના કરીને,મુનિ પાસે આવીને તેમને પ્રસન્ન કરવા કહ્યું કે-(1-3)

 'હે ઋષિશ્રેષ્ઠ,મેં મોહ ને અજ્ઞાનમાં આ અપરાધ કર્યો છે,તે માટે હું ક્ષમા માગું છું.આપ મારા પર ક્રોધ ન કરશો'


ત્યારે મુનિ તેમના પ્રસન્ન થયા,પછી,તે ઋષિને શૂળી પરથી નીચે ઉતાર્યા,ને રાજાએ તે શૂળીનું ફણુ કાઢવા માંડ્યું,

પણ તે નીકળી શક્યું નહિ.તેતઝી તે શૂળીને,મૂળમાં જ કાપી નાખી,શૂળીની અણી સાથે જ તે ઋષિએ ઉગ્ર તપ આદર્યું,

ને તે તપથી અન્યોને દુર્લભ એવા લોકોને જીત્યા.ત્યારથી તે 'અણીમાંડવ્ય' તરીકે પ્રસિદ્ધ થયા.(4-8)

એકવાર,તે ધર્મરાજના સ્થાનમાં ગયા,ને ધર્મરાજને ઠપકો આપતાં કહેવા લાગ્યા કે-'મેં એવું કયું પાપકર્મ કર્યું હતું કે,જેથી મને એવી ફળપ્રાપ્તિ થઇ હતી?તે મને ઝટ કહો,ને પછી મારા તપનું બળ તમે જુઓ'

ધર્મરાજા બોલ્યા-હે તપોધન,તમે બાળપણમાં એક પતંગિયાની પૂંછડીમાં એક સળી પેસાડી હતી,

જેમ,થોડું કે આપેલું દાન અનેકગણું વધે છે તેમ,અલ્પ સરખો ધર્મ,અનેક દુઃખરૂપી ફળ આપે છે.

માંડવ્ય ઋષિ બોલ્યા-બાળક બાર વર્ષનું થાય ત્યાં સુધી,તે જે કરે છે તે અધર્મ-રૂપ થાય નહિ,કેમ કે તેઓ શાસ્ત્રોને જાણતાં નથી,વળી,સર્વ પ્રાણિવધ કરતાં બ્રાહ્મણ વધ વધારે પાપમય છે,છતાં,મારા નાના અપરાધનો તમે મહાન દંડ આપ્યો છે,તેથી હે ધર્મ,તમે શુદ્રયોનિમાં માનવરૂપે જન્મશો.(9-17) 

આમ,માંડવ્યના શાપને લીધે ધર્મરાજ,વિદુર તરીકે પૃથ્વી પર જન્મ્યા હતા,કે જે ધર્મ ને અર્થમાં કુશળ હતા.

લોભ-ક્રોધથી મુક્ત એવા,તે શાંતિ પરાયણ ને કુરુઓના હિતમાં તત્પર રહેતા હતા.(18-19)

અધ્યાય-108-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE