May 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-195

અધ્યાય-૨૧૮-અર્જુનનું દ્વારકામાં આગમન 

II वैशंपायन उवाच II सोSपरांतेपु तीर्थानि पुण्यान्यायतनानि च I सर्वाण्येवानुपूर्व्येण जगामामितविक्रम II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,તે અમાપ પરાક્રમી અર્જુન,પશ્ચિમ સમુદ્રને તીરે આવેલાં સર્વ તીર્થો ને પુણ્યસ્થાનોમાં ક્રમપૂર્વક ફરતાં ફરતાં તે પ્રભાસતીર્થે આવ્યો.મધુસુદન શ્રીકૃષ્ણે,જયારે સાંભળ્યું કે-અર્જુન પ્રભાસતીર્થ આવ્યો છે ત્યારે તે અર્જુનને મળવા આવ્યા ને અર્જુનને મળીને,ભેટીને પરસ્પર કુશળ પૂછીને,તે બે મિત્રો તે વનમાં બેઠા.

વાસુદેવે અર્જુનને,તેના પ્રવાસનું કારણ પૂછ્યું ત્યારે અર્જુને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો.

તે સાંભળીને શ્રીકૃષ્ણ બોલ્યા કે-'તેં કર્યું તે બરાબર જ છે ને એમ જ થવું જોઈએ' (1-7)

પછી,તે બંનેએ પ્રભાસમાં યચેછ વિહાર કરીને,રૈવતક પર્વત પર નિવાસ કરવા ગયા.કે જ્યાં શ્રીકૃષ્ણના આદેશથી,

માણસોએ તે પર્વતને શણગારીને,રહેવાની ને ભોજન આદિની વ્યવસ્થા કરી રાખી હતી.અર્જુને તે સર્વનો સત્કાર કર્યો ને ભોજન લીધું.ત્યાર બાદ વાસુદેવ સાથે તેણે નટનર્તકોને  જોઈને,તે શયનસ્થાનમાં ગયા.

શય્યામાં સૂતાં સૂતાં અર્જુને શ્રીકૃષ્ણને જળાશયો,પર્વતો,વનો-આદિની વાતો કહી.ને નિંદ્રાવશ થયા.(8-14)


મધુર ગીતો,વીણાવાદન તથા મંગલસ્તુતિઓથી તેઓ જાગ્યાને નિત્યનૈમિતિક કાર્યો કર્યા.ને પછી,સુવર્ણની ધજાથી શોભતા રથમાં તેઓ દ્વારકા જવા નીકળ્યા.અર્જુનના સત્કાર માટે સમસ્ત દ્વારકાને સુશોભિત કરવામાં આવી હતી.

અર્જુનને જોવાની ઈચ્છાથી,રાજમાર્ગ પાર દ્વારકાવાસીઓનાં ટોળાં ઉમટ્યાં.ત્યાં હજારો ને સેંકડો નારીઓ અર્જુનને જોવા માટે ટોળે મળી હતી.ભોજ,વૃષ્ણી અને અંધક વંશના સર્વ વંશજોએ,અર્જુનનો સત્કાર કર્યો.


અર્જુને પણ,પ્રણામને યોગ્ય પુરુષોને વંદન કર્યા,ને યદુકુળના સર્વ કુમારો-આદિને વારંવાર ભેટ્યો.

ને પછી,રત્નો ને સામગ્રીઓથી ભરપૂર એવા શ્રીકૃષ્ણના રમણીય ભવનમાં,તે અનેક રાત્રિઓ સુધી રહ્યો.

અધ્યાય-218-સમાપ્ત 

અર્જુન વનવાસ પર્વ સમાપ્ત