અધ્યાય-૧૬૨-પાંડવોએ સામો સંદેશો કહાવ્યો
II संजय उवाच II उलूकस्त्वर्जुनं भूयो यथोक्तं वाक्यमब्रवीत I आशीविषमिव कृद्वं तुद्न्वाक्यशलाकया II १ II
સંજયે કહ્યું-ઉલૂકે,પ્રથમથી જ ઝેરી સર્પની જેમ ક્રોધાયમાન થયેલા અર્જુનને વાકયરૂપી શૂળીથી ટાંચતાં દુર્યોધને કહેલાં વાક્યો ફરીથી પણ કહ્યાં.એટલે સર્વ પાંડવો ક્રોધમાં આવી ગયા ને આસન પર ઉભા થઈને એકબીજાની સામે જોવા લાગ્યા.
પાંડવોને ક્રોધથી લાલ થયેલા જોઈને શ્રીકૃષ્ણે ઉલૂકને કહ્યું-'ઓ કેતવ્ય,તું ઝટ અહીંથી જા અને દુર્યોધનને કહેજે કે-તારું કહેવું અમે સાંભળ્યું છે અને તેનો અર્થ પણ સમજ્યા છીએ,તો તારું જે માનવું છે તે પ્રમાણે ભલે થાય'
ભીમે અત્યંત ક્રોધપૂર્વક ઉલૂકને કહ્યું કે-સર્વ ક્ષત્રિયો,કર્ણ અને તારા પિતા શકુનિના વચ્ચે તું દુર્યોધનને કહેજે કે-અમે નિત્ય અમારા મોટાભાઈ યુધિષ્ઠિરને પ્રસન્ન રાખવાની ઈચ્છાથી તારા અપરાધો સહન કર્યા છે,પણ તે વાતને તું બહુ માન આપતો જાણતો નથી.યુધિષ્ઠિરે સલાહ માટે વાસુદેવને મોકલ્યા હતા,પણ કાળ વડે ઘેરાયેલો તું ખરેખર યમલોકમાં જવાની જ ઇચ્છાવાળો છે,માટે તું કાલે યુદ્ધ કરવા આવી જા.મેં તારા ભાઈઓ સાથે તારો વધ કરવાની પ્રતિજ્ઞા કરી છે તે તે પ્રમાણે જ થશે.મારુ કહેવું કદી પણ મિથ્યા નહિ થાય અને પ્રતિજ્ઞા પ્રમાણે હું દુઃશાસનનું લોહી પીશ.
ભીમસેનનું કહેવું સાંભળી અસહનશીલ સહદેવની આંખો લાલ થઇ ને તે ઉલૂકને કહેવા લાગ્યો કે-'તારા પિતા શકુનિ સાથે ધૃતરાષ્ટ્રનો સંબંધ થયો ન હોત તો અમારી વચ્ચે કદી ભેદ પડ્યો ન હોત .તું અને તારા પિતા અમારા કુળનાશક છો,
હું તારા પિતા શકુનિના દેખતાં જ પ્રથમ તને મારીશ અને પછી સર્વ ધનુર્ધારીઓના દેખતાં શકુનિને મારીશ.'
ભીમ અને સહદેવનાં વચન સાંભળી,અર્જુન ભીમને કહેવા લાગ્યો કે-'હે ભીમસેન,જેઓએ તારી સાથે વેર કર્યું છે તેઓ આ જગતમાં જીવતા રહેતા નથી.ઉલૂક દૂત છે ને તેનો કોઈ અપરાધ નથી,તો તેને કઠોર વચનો કહેવાં જોઈએ નહિ.'
પછી અર્જુને ઉલૂકને કહ્યું કે-તું દુર્યોધનને કહેજે કે-કાલે હું તારા બકબકાટનો ઉત્તર,સૈન્યમાં મોખરે રહેલ મારા ગાંડીવથી આપીશ કારણકે વચનથી ઉત્તર આપવો એ તો નપુંસકોનો માર્ગ છે (44)
યુધિષ્ઠિર ઉલૂકને કહેવા લાગ્યા કે-દુર્યોધનને કહેજે કે-હે પાપી,પાંડવોમાં નિત્ય 'બૈડાલવ્રત'રૂપી કપટ રહેલું છે-એમ ભલે તું કહે પણ તું ક્યાં શુદ્ધ ક્ષત્રિયપણું રાખે છે? જે પુરુષ પોતાના સામર્થ્યથી પરાક્રમ કરીને યુદ્ધ માટે શત્રુઓને બોલાવે છે અને નિર્ભય થઈને પોતાનું વાક્ય ખરું કરે છે તે જ સાચો ક્ષત્રિય છે.તું,ભીષ્મ,દ્રોણ,કર્ણ આદિનો આશ્રય કરીને અમને યુદ્ધ કરવા બોલાવે છે,પણ પોતે તો અશક્ત (નપુંસક) જ છે.છતાં અમારી સામે આવી ગર્જનાઓ કેમ કરે છે?
શ્રીકૃષ્ણે કહ્યું-હે ઉલૂક,તારે ફરી દુર્યોધનને મારુ વચન કહેવું કે-તું કાલે,આ વખતે સંગ્રામમાં ખરો પુરુષ થઈને આવ.સારથિપણું કરતો હું તારી સામે યુદ્ધ કરીશ નહિ એમ માનીને તું ભય પામતો નથી પરંતુ હું માત્ર ક્રોધ વડે જ તારા પક્ષના સર્વેને બાળી શકીશ,તેમ છતાં છેવટની ઘડી સુધી તેમ ન થાય એવી મારી ઈચ્છા છે.તું ત્રણ લોકમાં ગમે ત્યાં હોઈશ,તો પણ તે સ્થાને,તું તારી સામે અર્જુનના રથને અવશ્ય જોઇશ.વળી,તું ભીમનાં વચનને મિથ્યા માને છે પણ ભીમે દુઃશાસનનું રુધિર આજે જ પીધું છે તેમ નક્કી સમજ.પ્રતિકૂળ ભાષણ કરનારા એવા તને,પાંડવો,તુચ્છ જ સમજે છે (63)
અધ્યાય-162-સમાપ્ત