May 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-817

 

અધ્યાય-૧૬૧-ઉલૂકે દુર્યોધનનો સંદેશો પાંડવોને કહ્યો 


II संजय उवाच II सेनानिवेशं संप्राप्तं: केतव्यः पाण्डवस्य ह I सभागत: पाण्डवेयैर्युधिष्ठिरमभाषत  II १ II

સંજયે કહ્યું-'દુર્યોધનનો સંદેશો લઈને,કૈતવ્ય ઉલૂક,પાંડવોની છાવણીમાં આવ્યો અને પાંડવોને મળીને યુધિષ્ઠિરને કહેવા લાગ્યો કે-તમે દૂતના કર્મને જાણનારા છો,માટે દુર્યોધને જે પ્રમાણે સંદેશો કહાવ્યો છે તે પ્રમાણે હું તમને કહું છું,તે સાંભળીને તમારે મારા પર ક્રોધ કરવો યોગ્ય નથી.' યુધિષ્ટિરે તેને અભયવચન આપ્યું.ત્યારે કૃષ્ણ,આદિ સર્વની વચ્ચે તે સંદેશો કહેવા લાગ્યો.

ઉલૂકે કહ્યું કે-'હે યુધિષ્ઠિર,દુર્યોધને સંદેશો કહાવ્યો છે કે-'તું જુગારથી પરાજય પામ્યો ને તારી સ્ત્રી દ્રૌપદીને સભામાં મંગાવી હતી,આટલાથી જ પુરુષપણાનું અભિમાનવાળા મનુષ્યે ક્રોધ કરવો જોઈએ.રાજયહરણ,વનવાસ,અને કષ્ટોનું સ્મરણ કરીને તું પુરુષાર્થ ધારણ કર.ભીમસેને જે સોંગંધ ખાધા હતા તે પ્રમાણે તેનામાં જો શક્તિ હોય તો દુઃશાસનના રુધિરનું તે પાન કરે.

યુદ્ધની સર્વ તૈયારી થઇ ગઈ છે તો તું કેશવને સાથે રાખીને,કાલે જ યુદ્ધ શરૂ કરી દે.તું સંગ્રામમાં ભીષ્મનો સમાગમ કર્યા વિના જ કેમ આપવડાઈ હાંકે છે? બડબડાટ કર્યા વિના,કાર્ય કરીને પુરુષ થા.


દુર્જય કર્ણને,શલ્યને ને દ્રોણને સંગ્રામમાં જીત્યા વિના તું આ લોકમાં રાજ્ય લેવાની ઈચ્છા શા માટે રાખે છે?

દ્રોણ  અને ભીષ્મે,જેને મારવા ધાર્યો હોય તે,મનુષ્ય યુદ્ધમાં શી રીતે જીવતો છૂટે? સંગ્રામમાં અસહ્ય એવી મારી સેનાને 

તું કુવામાં રહેનારા દેડકાની જેમ,ઓળખાતો નથી,તેમની વચ્ચે ઘેરાયેલા,મારી સામે તું યુદ્ધ કરવવાની ઈચ્છા કરે છે કે?'

તે પછી અર્જુનના તરફ મુખ કરીને તે ઉલૂક તેને કહેવા લાગ્યો કે-


'હે અર્જુન તું બકવાદ કર્યા વિના યુદ્ધ કર.કાર્ય કરવાથી જ કાર્યની સિદ્ધિ થાય છે.હું તારા સહાયભૂત વાસુદેવને,તારા ગાંડિવને અને તારા જેવો કોઈ યોદ્ધો નથી-તે જાણું છું અને તે સઘળું જાણીને જ મેં તારું રાજ્ય હરી લીધું છે.મનુષ્ય રાજપુત્ર છે-એવા ક્રમધર્મથી રાજ્ય મેળવતો નથી.માત્ર એક વિધાતા જ પોતાના સંકલ્પથી અનુકૂળ ભાવોને વશ કરે છે.તને રખડતો રાખીને જ મેં તેર વર્ષ પર્યન્ત રાજ્ય કર્યું છે ને હવે તને મારીને પણ હું જ રાજ્ય ભોગવીશ.તમે દ્યુતમાં હાર્યા,દ્રૌપદીનું અપમાન થયું ને દાસભાવમાં સપડાયેલા હતા ત્યારે તારું ગાંડીવ ક્યાં હતું?ત્યારે એક સ્ત્રીએ (દ્રૌપદીએ)જ તમને દાસભાવમાંથી મુક્ત કર્યા હતા.ત્યારે મેં તમને ષંઢતલ કે નિર્વીર્ય કહીને બોલાવ્યા હતા.વિરાટનગરમાં તેં તો સ્ત્રીની જેમ માથે ચોટલો ધારણ કર્યો હતો તે સર્વ મારુ જ પરાક્રમ હતું.ક્ષત્રિયો,ક્ષત્રિયને એ પ્રમાણે જ શિક્ષા કરે છે,માટે તેને તું મારી શિક્ષાનું જ ફળ સમજ.


વાસુદેવના કે તારા ભયથી હું તને રાજ્ય પાછું આપીશ નહિ,માટે તું યુદ્ધ કર.માયા,ઇંદ્રજાળ કે કૃત્યા,સામાન્ય મનુષ્યને જ ભય ઉત્પન્ન કરે છે,સંગ્રામમાં ઉભેલા શસ્ત્રધારી મનુષ્યને નહિ.હજારો વાસુદેવો અથવા સેંકડો અર્જુનો,મારા જેવા બાણવાળા યોદ્ધા ની  આગળ આવતા જ દશે દિશામાં નાસી જશે.ભીષ્મ,દ્રોણ,કર્ણ,શલ્ય,દુઃશાસન,જયદ્રથ-આદિ વીરો સંગ્રામમાં પ્રવેશ કરશે,ત્યારે તારું ભાન નષ્ટ થશે,તારું મન સંતાપ પામશે અને બાંધવો સહિત તારો નાશ થશે.જેમ,તપહીન મનુષ્ય સ્વર્ગની ઈચ્છા કરે,પણ તેને સ્વર્ગ અતિદુર્લભ છે તેમ,તને રાજ્ય મળવું અતિદુર્લભ છે (43)

અધ્યાય-161-સમાપ્ત