Jun 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-835

 

અધ્યાય-૧૮૧-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ (ચાલુ)


II भीष्म उवाच II समागतस्य रामेण पुनरेवातिदारुण I अन्येद्युतमूलं युद्धं तदा भरतसत्त II १ II

ભીષ્મે  કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,બીજે દિવસે પણ મારો રામની સાથે સમાગમ થતાં પુનઃ અમારી વચ્ચે અતિભયંકર તુમુલ યુદ્ધ થયું.દિવ્યાસ્ત્રને જાણનારા ધર્માત્મા પરશુરામ રોજ રોજ મારા પર દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ કરવા લાગ્યા.ને હું પણ પ્રાણોની દરકાર ન કરતાં તે અસ્ત્રોને અટકાવતાં,અસ્ત્રોથી નાશ પમાડવા લાગ્યો.પરશુરામનાં લગભગ બધાં જ અસ્ત્રો રોકાઈ જવાથી તેમણે છેવટે અગ્નિ જેવી પ્રજ્વલિત,પ્રદીપ્ત અણીવાળી શક્તિ મારા પર મૂકી,પણ જેને મેં મારા બાણોથી ટુકડા કરી જમીન પર પાડી દીધી.ત્યારે પરશુરામે ક્રોધે ભરાઈને બીજી ભયંકર બાર શક્તિઓ મારા પર ફેંકી.અત્યંત પ્રકાશમાન તે શક્તિઓને જોઈને પ્રથમ તો હું ગભરાયો,પણ તેની સામે બાર બાણ મૂકીને તે શક્તિઓનો નાશ કર્યો.

પરશુરામે,તે પછી,બળતાં ઉંબાડિયાં જેવી,બીજી અનેક શક્તિઓ મારા પર ફેંકી,કે જેને મેં ઢાલથી વારી રાખીને તલવારના પ્રહારથી તોડી નાખી.જયારે પરશુરામે,તેમની શક્તિઓને કપાતી જોઈ,એટલે તેમણે ક્રોધાયમાન થઈને એક દિવ્ય અસ્ત્ર પ્રગટ કર્યું.કે જેના અસંખ્ય બાણોથી હું,મારા રથ સહિત ઢંકાઈ ગયો ત્યારે સામે મેં પણ બાણોનો ઢગ વર્ષાવી દીધો,ને તે બાણોથી પરશુરામ વીંધાયા ને તેમના શરીરમાંથી રુધિરની ધારાઓ વહેવા લાગી.સાંજ પડતાં અમારું યુદ્ધ બંધ થયું.(16)

અધ્યાય-181-સમાપ્ત